ચોમાસામાં 300 સિંહ જંગલ બહાર

300 lions out of the forest in monsoon मानसून में 300 शेर जंगल से बाहर
8 સપ્ટેમ્બર 2024
2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે.

2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજાર વર્ગ કિલોમીટર થઈ ગયો છે.

સિંહોની ગણતરી પર ગુજરાત રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે, 51.04 ટકા સિંહો જંગલની અંદર રહે છે, જ્યારે 47.96 ટકા સિંહો વનવિસ્તારની બહાર રહે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વનવિસ્તારની બહાર 13.27 ટકા સિંહો ખેતીની જમીનવાળા વિસ્તારોમાં, 2 ટકા રહેણાક વિસ્તારોમાં અને 0.68 ટકા ખાણ અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ જોવા મળે છે.

કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં 555 સિંહોનાં મોત થયાં છે. તત્કાલીન પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચોબેએ કહ્યું કે 2019માં 113 સિંહોનાં મોત થયાં હતાં. જ્યારે 2020, 2021, 2022 અને 2023માં અનુક્રમે 124, 105, 110 અને 103 સિંહોનાં મોત થયાં હતાં.

કાઠિયાવાડ ગૅઝેટિયર અનુસાર વર્ષ 1884માં 10થી 12 સિંહ જ બચ્યા હતા. ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા ‘એશિયાટિક લાયન : અ સક્સૅસ સ્ટૉરી’ નામથી માહિતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે, અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એ પછી પહેલી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે આ સંખ્યા 285 પર પહોંચી ગઈ હતી.

ગીરના જંગલમાં વસતા સિંહો ઘણી વાર જંગલની બહાર નીકળી જતા હોય તેવા વીડિયો વાઇરલ થતા હોય છે.

નિષ્ણાતોનું માનીએ તો ચોમાસામાં સિંહોનું જંગલમાંથી બહાર નીકળી જવાનું પ્રમાણ વધી જતું હોય છે અને તેનાં કેટલાંક ચોક્કસ કારણો પણ હોય છે.

ચોમાસામાં ગીરની હરિયાળી, ગીચ જંગલ સહિત અનેક કારણો આમાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં હોય છે.

સિંહને ખુલ્લી હવા માફક આવે છે અને આથી તે ચોમાસામાં ગીચ અને ઘનઘોરથી જંગલથી દૂરના વિસ્તારોમાં રહેવા ચાલ્યો જાય છે.

સિંહો ગીરનું જંગલ છોડીને બીજે કેમ જતા રહે છે એ જાણવા માટે બીબીસીએ ગીર વનવિભાગ અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.

જૂનાગઢ મુખ્ય વનસંરક્ષક (વન્ય પ્રાણી) આરાધના સાહુ છે.

ચોમાસામાં વરસાદને કારણે જંગલમાં ભેજનું પ્રમાણ હોય છે, ક્યાંક પાણી ભરાઈ ગયાં હોય છે. આથી સિંહો સૂકા પ્રદેશ કે ટેકરીવાળા વિસ્તારોને વધુ પસંદ કરતા હોય છે.
વરસાદમાં જંગલમાં કેટલાંક જીવડાં કે મચ્છરોનું પ્રમાણ પણ વધી જતું હોય છે. તે પ્રાણીઓને પરેશાન કરતાં હોય છે. આથી પ્રાણીઓ જ્યાં મચ્છરો વગેરેનું પ્રમાણ ઓછું હોય ત્યાં જવાનું વધારે પસંદ કરતા હોય છે.
સિંહો સામાન્ય રીતે જંગલ કે જંગલ જેવા અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ રહેવાનું પસંદ કરતા હોય છે. ક્યારેક વાડી વિસ્તારોમાં પણ રહેવાનું વધુ પસંદ કરતા હોય છે.

સિંહો ઘણી વાર જંગલ છોડીને આસપાસનાં ગામો કે રસ્તા પર જોવા મળતા હોય છે.

એવું નથી કે માત્ર ચોમાસામાં સિંહો આ રીતે જંગલ છોડીને જતા હોય છે. સિંહોના કેટલાક ચોક્કસ કૉરિડૉર હોય છે, ગીર-ગિરનાર સક્રિય કૉરિડોર છે. ગીર-મિતિયાળા, સાવરકુંડલા વગેરે સક્રિય કૉરિડૉર છે. તો સિંહો આવી જગ્યાએ જવાનું વધુ પસંદ કરતા હોય છે.

નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે હવે સિંહોને ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે. સમય જતાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, એવામાં સિંહો માટે હરવાફરવાના વિસ્તારો સીમિત થતા જાય છે.

વાઇલ્ડ લાઇફ ઍક્ટિવિસ્ટ રાજન જોશી છે. સંખ્યા વધી જવાને લીધે સિંહોને ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે. તેથી ગીરની બહારના વનવિસ્તાર એટલે કે બૃહદ ગીરમાં સિંહો ટહેલતા હોય છે. બૃહદ ગીરમાં શિકાર માટે પશુની સંખ્યા પણ વધારે છે. તેથી સિંહ મારણ માટે પણ થોડી અનુકૂળતા રહે છે. ચોમાસામાં તો તેઓ બૃહદ ગીરમાં ખાસ જોવા મળે છે.

ચોમાસામાં વનવિસ્તાર ઘનઘોર થઈ જાય છે. વરસાદને લીધે ત્યાં માખી, મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે, જે સિંહોને કનડે છે. જંગલની બહાર બૉર્ડર પરનો જે ખુલ્લો વિસ્તાર હોય ત્યાં માખી, મચ્છરનો એટલો ઉપદ્રવ હોતો નથી. આથી સિંહ જંગલમાંથી એવા ખુલ્લા વિસ્તારોમાં જતા રહે છે.
માખી-મચ્છરના ત્રાસથી કંટાળીને ચોમાસામાં સિંહ ક્યારેક રોડ ઉપર પણ આવી જાય છે. ત્યાં માખી મચ્છર ઓછા નડે છે.

ખુલ્લા વિસ્તારોમાં સિંહોના જવાનું બીજું એક કારણ એ પણ છે કે ગીરની બહારના વિસ્તારોમાં ચોમાસા પછીના દિવસોમાં શિકાર પ્રમાણમાં સરળતાથી મળી રહે છે.

ચોમાસાને લીધે જંગલને અડીને આવેલા ખુલ્લા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળે છે તેથી ઢોર પણ ત્યાં ચરવા આવતાં હોવાથી સિંહને ત્યાં શિકાર પણ મળી રહે છે.

ગીરનું જંગલ ઝાડીઝાંખરા અને વૃક્ષોથી ભરેલું છે. જ્યારે આફ્રિકાના જંગલમાં ઘાસનાં મેદાનો પ્રમાણમાં વધારે છે. ઉનાળામાં ગીરનું જંગલ સૂકું હોય છે જે સિંહને વધુ માફક આવે છે.

ઉનાળામાં ગીરનું જંગલ થોડું ખુલ્લું હોય છે તેથી શિકાર દેખાય અને એને પકડવામાં પ્રમાણમાં સરળતા રહે છે. ચોમાસામાં જંગલ ઘનઘોર થઈ જતાં સિંહને શિકાર કરવામાં પણ તકલીફ પડે છે. તેથી પણ તેઓ જંગલ બહાર જાય છે.

ગુજરાતમાં સિંહોને જંગલની આસપાસના વિસ્તારોમાં પાળેલાં પશુઓ આરામથી મળી આવે છે. સિંહ મૂળે ઘાસિયા કે ખુલ્લા જંગલનું પ્રાણી છે. તેને ઝાડીઝાંખરાની ગીચતા માફક નથી આવતી. તેથી જ ચોમાસામાં જંગલની બહાર ખુલ્લામાં જોવા મળે છે.

સિંહ વિશે ભગવદ્ગોમંડલ શું કહે છે.
હિંસા કરનાર પ્રાણી. પુરાણમાં કહેલું છે કે, ક્રોધવશાની પુત્રી શાર્દૂલાને પેટે આ હિંસક જાતિ ઉત્પન્ન થઈ છે. બધાં પ્રાણીઓમાં તે વધારે શક્તિમાન, ઉદાર અને માનવાળો હોઈને વનરાજ કે પશુઓનો રાજા કહેવાય છે. ઇરાન, હિંદ અને આફ્રિકાનાં ગરમ જંગલોમાં આ પ્રાણી થાય છે.
            તેને મૃગૈંદ્ર, પંચાસ્ય, હર્યક્ષ, કેસરી, ચિત્રકાય, મૃગદ્વિષ, હરિ, મૃગરિપુ, મૃગદ્રષ્ટિ, મૃગાશન, પુંડરીક,પંચનખ, કંઠીરવ, મૃગપતિ, પંચાનન, પલલભક્ષ પણ કહે છે. સિંહો પ્રાચીનકાળમાં ઉત્તપ ગ્રીસ અને મેસોડોનીઆમાં પણ હતા. તેઓનો વસવાટ ઇરાન અને મેસીપોટોમીઆમાં પણ હતો. ઉત્તર અને મધ્ય ભારત પણ તેઓની ડણકથી ગાજતો હતો. ઈ.સ. ૧૮૨૨માં તેઓ પંજાબમાં પથરાયેલા હતા. ઉત્તર રોહિલખંડ અને રામપુર આસપાસ તેઓ અજાણ્યા નહોતા. ઈ.સ. ૧૮૪૭માં સાગોર અને નર્મદાનાં વનોમાં તેઓની વસતી નોંધાઈ છે. અલ્હાબાદથી ૮૦ માઈલ ઉપર જ તેનો શિકાર થયેલ સાંભળવામાં છે.
              મધ્યભારત અને ગુજરાતમાં હજુ એક સદી પહેલાં સિંહોની સારી સંખ્યા જોવામાં આવતી હતી. ઈ.સ. ૧૮૩૦ સુધીમાં તે અમદાવાદ, આબુ અને ડીસાની સીમને શોભાવતા હતા. ડીસામાં છેલ્લા સાવજ ઈ.સ. ૧૮૭૦માં મરાયાની નોંધ મળે છે. સૌરાષ્ટર્માં ધ્રાંગઘ્રા, જસદણ, ચોટીલા અને પૂર્વ ગીરથી માંડી પશ્ર્ચિમ ગિરનાર સહિત આલેચ અને બરડાની ડુંગરમાળ તેઓના વસવાટથી સભર હતી. હવે તો સામાન્યત: તેઓ એશિઅ અને આફ્રિકામાં માલૂમ પડે છે. એશિઅમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં અને તે યે માત્ર ગીરમાં તે માલૂમ પડે છે. ગિરનારની આસપાસના ૨૦, ૨૫ માઈલના ઘેરાવાને ગીરનું જંગલ કહે છે. આ ગીરના ૫૦૦ ચોરસ માઈલમાં તેઓની છેલ્લી વસતી ગણતરી થઈ છે. તે ગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર ૨૧૨(હાલ ની સંખ્યા 523) સિંહો છે. સિંહની વસતી ગણતરી કરવા માટે તે કામ માટે નિષ્ણાતોને ખાસ રોકવામાં આવે છે અને તેઓ સિંહના વસવાટનાં સ્થાન, શિકારનાં સ્થાન, આરામના સ્થાન, પાણી પીવાના સ્થાન પાસેના સિંહ, સિંહણ ને તેઓનાં બચ્ચાંને તેમનાં પગલાં ઉપરથી જોઈતી તમામ હકીકત એકઠી કરે છે.
              ગિરના સિંહની કેશવાળી સાધારણ રીતે આફ્રિકાવાસી સિંહની કેશવાળી જેટલી હોતી નથી. કદમાં બંને ખંડના સિંહો લગભગ સરખા જ હોય છે. અત્યાર સુધીમાં ગીરનો લાંબામાં લાંબો સિંહ ૯ ફૂટ ૭ ઇંચ મપાયો છે: જ્યારે આફ્રિકાવાસી સિંહની લંબાઈ ૧૦ ફૂટ ૭ ઇંચની થઈ છે ગીરના લોકોની માન્યતા એવી છે કે, અહીં બે પ્રકારના સિંહ થાય છે: એક લાંબા દેહવાળા અને બીજા ઊંચા દેહવાળા. લાંબા દેહવાળાને વેલિયા કે વેલર અને ઊંચા દેહવાળાને ગધૈયા એવાં નામ આપ્યાં છે. એ સિવાય નેસવાળાએ પોતાની આસપાસના સાવજનાં નામ તેઓના રંગ અને અવાજ ઉપરથી રાખ્યાં છે. જેમકે, રાતડો, મશિયો, ખાંખરો વગેરે. સિંહનાં નાનાં બચ્ચાંના રંગમાં ડાઘા તથા લીટા હોય છે. આ ડાઘા તથા લીટા બતાવે છે કે, આ પ્રાણીના પૂર્વજોનો રંગ દીપડાના ગુલ અને વાઘના પટ્ટાની વચ્ચેના રંગવાળો હશે. આ ચિહ્નો ઉંમર વધવાની સાથે ઝાંખાં પડતાં જાય છે. નર બચ્ચાંને ગરદન ઉપર લાંબા વાળ હોય છે અને ઉંમર વધવાની સાથે તે વધતા જાય છે.
               સિંહ જ્યારે છ વરસની ઉંમરનો થાય છે ત્યારે તે પૂર્ણ જુવાનીમાં આવી જાય છે, ત્યાંસુધી તેની કેશવાળીના વાળ વધતા રહે છે. પચીસ વર્ષ પછી તેને ઘડપણની નિશાની જણાય છે. તેનું આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું લેખાય છે. રંગે તે બદામી રંગનો છે. તેનો દેખાવ દમામદાર, ચાલ ધીરી, મર્યાદિત, અવાજ ઘોર ગર્જના જેવો અને સ્વભાવ ક્રૂર પણ ગંભીર હોય છે. તેની ડોક અને માથું મોટું હોવાથી તે ડાલામથ્થો કહેવાય છે. ગરદન ઉપર લાંબા વાળ હોય છે તેને યાળ કહેવાય છે. તેની લાંબી પૂછડીને છેડે વાળનો ઝૂમખો હોય છે.
               છેક પુરાણકાળથી પરિચિત આ પ્રાણી એક કાળે ગ્રીસ, સમગ્ર આફ્રિક ને દક્ષિણ એશિઅમાં વસતું હતું. પણ હાલ તો પૂર્વ આફ્રિક, મેસોપોટેમિયા તથા ઇરાન ઉપરાંત હિંદમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં ગીરનાં જંગલોમાં જ તેની વસતી રહી છે. સિંહને એશિઅના ને આફ્રિકાના એમ બે વિભાગમાં વહેંચી નખાય છે. તેમાં યે સોરઠનો સિંહ આખી દુનિયાના સિંહોની એક વિશિષ્ટ જાતિ ગણાય છે. એશિયન સિંહની કેશવાળી આછી ને પૂર્ણ વિકસિત દશામાં છેડેથી કાળી હોય છે. સેનિગાલના સિંહોને યાળ હોતી નથી. નાકથી પૂછડીના છેડા સુધી સિંહ નવ ફૂટથીયે લાંબો ને લગભગ ૫૦૦ રતલ વજનનો હોય છે. માદા નર કરતાં એકાદ ફૂટ નાની હોય છે. બંનેની પૂંછડીને છેડે વાળનો કાળો ગુચ્છો હોય છે; જેમાં શિંગડા જેવો સખત કાંટો હોય છે.
                સિંહને હિંદીમાં શેર બબર, ગુજરાતમાં ઊંટિયો વાઘ ને સોરઠમાં સાવજ કહે છે. તે રેતાળ, સપાટ ને ખડકાળ તથા થોર અને પાણી કાંઠે ઊંચા ઘાસવાળી ખુલ્લી ભૂમિમાં વસે છે. અધિક બળવાન ને અતિશય હિંમતવાન તથા સાંકડી જગ્યામાં યે આસાનીથી સારું કૂદી શક્તો હોવા છતાં સિંહ વાઘ જેટલો ચપળ નથી. વળી ખુલ્લામાં સામે મોંએ મોં-ફાડીને હુમલો કરવાની તથા હંમેશા ધોરી માર્ગે જ આવજા કરવાની તેની ટેવ શિકારીને ઘણી અનુકૂળ નીવડે છે. દિવસ આખો એ ટાઢે છાંયે આરામ લે છે ને ગોરજ ટાણે ઊભા થઈ શિકારની શોધમાં નીકળે છે ત્યારે ગર્જનાઓ કરતા રહેવાની તેને ટેવ છે. તેનો ડણકવાનો સમય સાંજ અને ભળકડું ખાસ છે, છતાં રાતમાં તેઓ ડણકતા સાંભળવામાં આવે છે.
                તેની ગર્જના મેઘગર્જના જેવી અત્યંત મોટી અને ગંભીર હોય છે. તેઓની ચોક્કસ પ્રજનન ઋતુ નથી, પરંતુ ગીરમાં વધારે ભાગમાં સિંહસિંહણોનો સંયોગ ઓકટોબર નવેંબર માસમાં થાય છે અને સિંહણો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બચ્ચાંને જન્મ આપે છે. જે બચ્ચાંનો જન્મ વર્ષાઋતુ દરમિયાન થાય તેઓ ઘણે ભાગે પ્રતિકૂળ હવામાન અને ખોરાકની અછતને લઈ લાંબું નભતાં નથી. સિંહણ જ્યારે અઢી ત્રણ વર્ષની થાય ત્યારે જુવાનીમાં આવે છે અને એ અરસામાં તે બચ્ચાંને જન્મ આપે છે. તેનો ગર્ભાધાનનો સમય ચારેક માસનો છે. સિંહણ એકી સાથે બે બચ્ચાંને જન્મ આપે છે પણ ક્યારેક તેમાં એકાદનો વધારો પણ દેખાઈ આવે છે. બે વિયાજણ વચ્ચે ઓછામાં ઓછું દોઠ કે બે વરસનું અંતર હોય છે. એક વર્ષે બચ્ચાંના દુધિયા દાંત પડી બીજા આવવા શરૂ થાય છે. બચ્ચાંના ઉછેરમાં સિંહ પણ પૂરતો ભાગ લે છે અને આખા કુટુંબનું પોષણ કરે છે. સિંહ અને વાઘનો સંયોગ કરાવીને લાઈગર નામની વર્ણસંકર પ્રજા પણ ઉપજાવાઈ છે.