Bhunga Houses of Kutch: The Best Defense Against Heat कच्छ के घर “भूंगा” गर्मी से बचने के लिए सबसे अच्छे हैं
23 માર્ચ 2025
દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને આદિવાસી પટ્ટામાં ખૂબ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. કચ્છના દૂરના લોકોને ગરમીની પરવા નથી. તેઓ કચ્છી મકાન ભૂંગામાં સલામત છે.
વાતાવરણ સામે
ભૂંગા માટી, લાકડા અને ઘાસથી બનેલ હોવાથી તેની અંદર વાતાવરણ સમ રહે છે.
ગરમીમાં ઠંડુ રહે અને ઠંડીમાં ગરમ રહે. મકાનમાં માખી, મચ્છર, કીડા આવતા નથી. ભૂંગાની છત ઘાસની અને દીવાલ માટીની બનેલી હોવાથી ગરમીમાં તે ગરમ થતા નથી. અંદરનું વાતાવરણ ઠંડુ રહે છે. શિયાળામાં છત અને દીવાલ ઠંડા થતા નથી, તેથી અંદરનું વાતાવરણ હૂંફાળું રહે છે.
બહારના અને ભૂંગાની અંદરના વાતાવરણમાં પાંચ ડિગ્રીથી વધારેનો તફાવત રહે છે.
કચ્છમાં અતિશય ગરમી અને ખૂબ ઠંડી પડે છે. તેનાથી બચવા નાના કદની એક કે બે બારીઓ હોય છે. બારણું નાનું રખાય છે. જેથી બહારની ગરમ કે વધારે ઠંડી હવા અંદર ન આવી જાય.
ભૂંગાનો સમુહ
ભૂંગા પરંપરાગત મકાન છે. ઇકો-ફ્રેન્ડલી છે. તીવ્ર ગરમી સહન કરી લે છે. ભૂંગા બાંધવામાં બહુ ખર્ચ થતો નથી. ભૂંગાના બારણા આગળ નળિયાં વાળું એક છાપરું હોય છે, જેને ‘પેઢી’ કહેવાય છે. તે ઘરની બહાર બેસી કામ કરવાની જગ્યા છે. ભૂંગાની બાજુમાં ‘ઓતાંગ’ તરીકે ઓળખાતું નળિયાં વાળું મકાન હોય છે, જે મહેમાનો માટે હોય છે. નળિયાની છત્રવાળું ‘રાંધણિયું’ એટલે કે રસોડું અને ‘નાયણી’ કહેવાતા સ્નાનઘર હોય છે.
કચ્છના ગામોમાં ગોળ આકારના સાદા મકાનોની આ કમાલ છે.
ધરતીકંપ
કચ્છના ભૂકંપને 25 વર્ષ પુરા થયા છે.
કચ્છ જિલ્લો ભૂકંપની થવાની શક્યતા અતિશય વધારે હોય છે. 2001ના ભૂકંપમાં 2 લાખ મકાનો પડી ગયા હતા. 5 લાખ મકાનોને નુકસાન થયું હતું. 12 હજાર લોકોના મોત થયા હતા. પણ ત્યાં ભૂંગા સૌથી વધારે સલામત હતા. (બિનસત્તાવાર રીતે 22 હજાર લોકોના મોત થયા હતા. 6 લાખ લોકો બેઘર બન્યા હતા.)
7.7ની તીવ્રતાની ધરતીકંપી હતી છતાં શક્તિશાળી ભૂકંપ છતાં એકેય પરંપરાગત ભૂંગો પડ્યો ન હતો અને ભૂંગામાં રહેનાર કોઈ લોકોનું મૃત્યુ થયું ન હતું.
ગમે ત્યારે ધરતી ધ્રુજે
1819 અને 2001ના ધરતીકંપનો ઊંડો અભ્યાસ કર્યો છે. 200 વર્ષ પહેલાં કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપનું આધુનિક સાધનો દ્વારા પહેલી વખત ઊંડો અભ્યાસ કર્યો છે. જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ દસ્તાવેજીકરણ કર્યું છે કે 66 સક્રિય ફોલ્ટ લાઇન છે. જે તમામ ભૂકંપ પેદા કરી શકે છે. જેમાં ગુજરાત એક છે.
1819ના અગાઉના ધરતીકંપો લગભગ 1,000 વર્ષના પુનરાવૃત્તિ અંતરાલ સાથે સમાન કદના અને ભૌતિક અસરોના હતા.
ભૂકંપ સામે ભૂંગા
ભૂંગાનો ગોળ આકાર અને હલકી છત ભૂકંપની તાકાતને સહન કરી જાય છે. સામાન્ય રીતે ચોરસ મકાનમાં પૃથ્વીના વાતાવરણના દબાણ અને ગુરુત્વાકર્ષણના કારણે વજન મકાનની છત પર હોય છે, તે ચાર દીવાલો વાટે જમીન પર ઉતરે છે. ભુંગામાં આવું થતું નથી.
ભૂકંપની તાકાત મકાનની ચારમાંથી કોઈ એક દીવાલ સાથે અથડાય છે. સામેની તરફની દીવાલને ધક્કો મારે છે, આથી, મકાન પડી જાય છે.
ભૂંગાની દીવાલ ગોળાકાર હોવાથી કોઈ એક દિશામાંથી આવતી ભૂકંપની તાકાત ગોળાકારમાં વહેંચાઈ જાય છે. ખૂણો ન હોવાથી બાંધકામ મોટો ધક્કો ખમી જાય છે. છત હલકી હોવાથી દીવાલને ધક્કો મારતી નથી. તેથી માટીમાંથી બનેલા પરંપરાગત ભૂંગા ભૂકંપ સામે મોટા ભાગે ટકી રહે છે.
વાવાઝોડા સામે ટક્કર
2023ના વાવાઝોડામાં પણ ભૂંગાને કોઈ મોટું નુકસાન થયુ ન હતું. ગોળ આકારની દીવાલ અને તેના પરની શંકુ આકારની છત પવનના પ્રવાહને અટકાવવાને બદલે આજુબાજુમાં વહેંચી દે છે.
ભૂંગા વસાહતો
ખડીર ટાપુ, ધોળાવીરા, બન્નીનું મેદાન, કચ્છ પચ્છમ, ખાવડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પશુપાલન, ખેતી, કાંતણ અને છૂટક મજૂરી કરતા લોકો માટીની દીવાલો વાળા પરંપરાગત ભૂંગામાં રહે છે. કચ્છના બન્નીમાં 2497 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. જ્યાં ભૂંગા ઘણા છે. બન્ની ઘાસ પ્રદેશમાં 1 લાખ પશુ છે. બન્ની પ્રદેશમાં 46 જેટલા ગામ (વસાહતો) આવેલા છે, તેને સ્થાનિક ભાષામાં વાંઢ કહે છે. વાંઢ એટલે નેસડા જેવી વસાહતોના નાના નાના એકમો. આ બધા જ રણદ્વીપ સમાન હોય છે. આ વસાહતોમાં આવેલા ઘરની સંખ્યા આશરે 670 જેટલી જોવા મળે છે. તેને ભૂંગા કહે છે. અહીંના મુખ્ય ગામોમાં ભિરંડિયારો, ભોજરાડો, ડુમાડો, ગોરેવાલી, મિસરિયાડો, ધોડકો, શીરવો, ભિટારો અને ધોરડોનો સમાવેશ થાય છે. 1991માં અહીંની વસ્તી 14,500ની હતી.
બન્નીમાં એકસમયે 55 જેટલા ગામ વસતાં હતાં અને અહીંયા ચારથી પાંચ ગામ એવાં છે જે હવે ભૂતિયા બની ગયાં છે.
5 હજાર વર્ષનો પુરાવો
5 હજાર વર્ષ પહેલાના નામશેષ શહેર ધોળાવીરામાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં ગોળ આકારના મકાનોના નિશાન છે. જે ભૂંગા જેવા લાગે છે. ઇસવી સન પૂર્વે 1300 ની આજુબાજુ બંધાયેલા હોવાનું જણાય છે. કચ્છના ભૂંગા હજારો વર્ષથી લોકોના રહેણાક રહ્યા હોય તેવું મનાય છે.
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાર્યમેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા કચ્છના છેલ્લા 20 હજાર વર્ષના ક્લાઇમેટ ચેન્જ તથા વિવિધ સભ્યતાના ચઢાવ-ઉતાર પર ગહન સંશોધન કરાઇ રહ્યું છે.
ભુંગા નિષ્ણાંતો
કચ્છમાં 1819માં આવેલા ભૂકંપ સાથે ભૂંગાનો ઇતિહાસ જોડાયેલો છે. સેંકડો મકાનો પડી ગયાં હતાં. 200 વર્ષ પહેલાં કચ્છમાં ડાંગર પાકતી હતી. 1819માં ત્યાં ધરતીકંપ આવ્યો અને કચ્છને બરબાદ કરી નાંખ્યું હતું. કચ્છ અને હાલના પાકિસ્તાનમાં રહેલા સિંધ પ્રાંતના કડિયા ભેગા થયા હતા. ગોળ આકારનાં ભૂંગા ભૂકંપ સામે ટકી શકે છે તેથી એવા મકાનો બનાવવા. ભુજ તાલુકામાં પાકિસ્તાનની સરહદ નજીક આવેલા ખાવડા ગામ નજીકના લૂડિયાં ગામના કેટલાય રહીશોએ પરંપરાગત ભૂંગા ચણવાના કારીગર તરીકે તેમની ઓળખ સ્થાપિત કરી છે. કચ્છના વાતાવરણમાં લોકો માટે ભૂંગા તડકા અને ટાઢથી બચાવનારાં સારાં મકાન ગણાતાં.
આધુનિક ભૂંગા
નળિયા વાળા મકાન હોવા છતાં ઘણા લોકો ભૂંગામાં રહે છે. હવે લોકો પાકાં મકાનો કે પાકી દીવાલો અને નળિયાવાળા છત ધરાવતા ભૂંગામાં રહેતા થયા છે. પાકી દીવાલવાળા આધુનિક ભૂંગા છે, જેમાંના મોટા ભાગનાં કચ્છમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ લોકોના પુનર્વસન દરમિયાન બાંધવામાં આવ્યા હતા.
બાંધકામ
એક ભૂંગો તૈયાર કરતાં બે મહિના કરતાં વધારે સમય લાગે. દીવાલ નવેક ફૂટ ઊંચી હોય અને એકાદ ફૂટ પહોળી હોય છે. ભૂંગાનો વ્યાસ અઢારેક ફૂટ સુધી હોય છે. ચણવા માટે સારી ચીકણી માટી, ગધેડા કે ઘોડાની લાદ, ભેંસ કે ગાયનું છાણ મિશ્રિત કરી આઠથી દસ ફૂટ જમીનમાં ઊંડો ખાડો ખોદી તેમાં રાખવામાં આવે છે. તેમાં પાણી ભેળવી વીસેક દિવસ સુધી પલળવા દેવામાં આવે છે.
માટીની ઈંટો બનાવી તેને સૂકવી અને તેનાથી ચણતર કરવામાં આવે છે. દીવાલ પર માટીનું લીંપણ કરવામાં આવે છે. દીવાલ ચણાય ગયા પછી તેના પર એક આડી મૂકી તે આડીના આધારે વાંસ કે નીલગીરીની વળીઓથી શંકુ આકારની છતનું માળખું બનાવવામાં આવે છે.
ખપેડા ઉપર દાભડા જેવું ઘાસ કે ડાંગરનું પરાળ દોરડી વડે બાંધી દેવામાં આવે છે. છતના શંકુની ઊંચાઈ 17 ફૂટ સુધીની હોઈ શકે છે.
અંદરની બાજુએ દિવાલમાં લીપણ કરી તેના પર માટી વડે પશુ-પક્ષી અને વૃક્ષો-વેલી કે વિવિધ અકારોના ચિત્રો દોરીને કે ભાત પાડી મોટા ભાગે સફેદ માટીનો ઢોળ ચઢાવાય છે. ભોંયતળિયામાં છાણ-મિશ્રિત કાળી માટીથી લીંપણ કરવામાં આવે છે.
પરિવારના સભ્યોની સંખ્યા મુજબ એક જ પ્રાંગણમાં એક કરતાં વધારે ભૂંગા હોય છે.
શંકુની રચના કરતી સર્પાકાર ફ્રેમ પર ટેકવવામાં આવે છે. બારીઓમાં લાકડાની ફ્રેમ હોય છે અને ક્રોસ વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે તેને નીચા સ્તરે સેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે, દરેક ભૂંગામાં એક દરવાજો અને બે બારીઓ હોય છે. છત પરનું ઘાસ પણ વાર્ષિક ધોરણે બદલવું પડે છે.
પવનની દિશા, ધરતી સાથે જોડાણ, ઊંચાઇ, બારીઓનું મહત્ત્વ અને અંદર કેવું સુશોભન કરવું એ કોઠાસૂઝ છે.
ભૂંગા કળા
બાહ્ય દિવાલોને રંગબેરંગી ચિત્રોથી શણગારવામાં આવે છે જ્યારે આંતરિક ભાગને ઉત્કૃષ્ટ સફેદ માટી અને મટ્ટિકમ નામના મિરર વર્કથી શણગારવામાં આવે છે. અરીસાનો આ ઉપયોગ માટીના ઘરની અંદરના પ્રકાશને વધારે છે અને સફેદ માટી તેને ચો તરફ ફેલાવે છે.
લીંપણ કામમાં સૌ પ્રથમ ભીંત પર એકાદ ઇંચની ગાર લીંપી, તેને સૂકાવા દેવાય છે, તે પછી તેના પર વિવિધ આકૃતિઓ, ફૂલ વેલની ભાત ઉપસાવે છે. પછી સફેદ ખડીના પોતાથી ભીંતને ધોળવામાં આવે છે. અને આખી ભીંત દીપી ઊઠે છે.
પહેલાં માત્ર સફેદ કે લાલ માટીથી રંગેલાં ભૂંગાં જોવા મળતાં હતાં, પણ તેમાં કેટલાંક વર્ષોથી અન્ય કુદરતી રંગોનું ઉમેરણ કરી ભૂંગા વિવિધ રંગીન બન્યા છે.
બાંધકામ ખર્ચ
ભૂંગા ઓછા ખર્ચે નહીં પણ કચ્છમાં લગભગ મફતમાં બની જાય છે. એક ભૂંગાનો સમૂહ ચણવામાં સાડા ત્રણેક લાખનો ખર્ચ થાય. હવે અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ જેવા મોટા શહેરોમાં રહેતા લોકો પણ ભૂંગા ચણાવે છે અને તેનો ખર્ચ સાડા આઠ લાખ સુધી થઈ શકે છે.
વીજળીથી ચાલતા ઉપકરણોનો ઉપયોગ બહુ કરવો પડતો નથી.
બહારથી સામાન્ય લાગતા ભૂંગા અંદરથી કલામંડિત, આકર્ષક અને એકદમ સ્વચ્છ હોય છે. અંદરની દીવાલ પર માટીકામ, વાસણો મૂકવાની છાજલી, પાણિયારા તથા ગોખલાઓનું સુશોભન હોય છે અને સૌથી ધ્યાન ખેંચે એવી તો એની રંગબેરંગી છત હોય છે.
કચ્છનું ભરતકામ જેમ આગવો કસબ છે, તેમ આ ભૂંગાઓની રચના અને તેની પર ઉપસાવાતી કળા પણ કચ્છી હસ્તકળાનો આગવો નમૂનો છે.
બેડાંમાં દૂધ ભરી વેચવા જતી, ભાતીગળ વસ્ત્રો ધારણ કરેલી, રબારણ કે ભરવાડણનું ચિત્ર, મોર, પોપટ, ઢેલ, વૃક્ષો, ભાતીગળ ચાકળા, ફૂલ-વેલ, સૂર્ય, ચંદ્ર, શ્રી ગણેશ વિગેરેનું ચિત્રણ હોય છે. ક્યાંક બારીની આસપાસ ભૌમિતિક આકારનું ચિત્ર ચોરસ-ત્રિકોણ સર્જી બનાવેલું હોય છે. કેટલાક ઘરોની બહાર હાથીઓની હાર, ફૂલ પાંદડીની આકૃતિ સર્જે છે.
જાળવણી ખર્ચ
ભૂંગામાં રહેવું હવે મોંઘુ પડવા માંડ્યું છે. છતમાં દાભડો આઠ વર્ષ ટકે. દાભડો મળતો નથી. અન્ય ઘાસ વાપરે તો વીંછી કે અન્ય જંતુઓ આવે છે. ડાંગરનું પરાળ પાંચ વર્ષમાં સડી જાય છે. છત બદલવા પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. દીવાલ અને ભોંયતળિયે વર્ષમાં બે વાર માટીનું લીપણ કરવું પડે છે. નવી પેઢીને તે ગમતું નથી. તેમને પાકાં મકાન વધારે ગમે છે.
બન્નીમાં વનસ્પતિના 900થી વધારે નમૂના નોંધાયેલા છે. જેમાંથી 400 જેટલા તો ઔષધીય મહત્વ ધરાવે છે. આબોહવા પરિવર્તનની અસરને પગલે ઉત્તરોત્તર બન્નીના ઘાસની ઊંચાઈ ઘટી છે. વરસાદમાં ફરક પડ્યો છે તેને લીધે ઘાસમાં પણ ફરક પડ્યો છે.
કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં પરંપરાગત પશુ વૈદ્ય “ભાગિયો” ઘટી રહ્યાં છે
કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં પરંપરાગત પશુ વૈદ્ય “ભાગિયો” ઘટી રહ્યાં છે