ગાંધીનગર, 9 ઓક્ટોબર 2020
ગુજરાતમાં 1.25 લાખ નીલ ગાયની વસતી જંગલ બહાર છે. જે ખેતરમાં જઈને ચારો ચરે છે. તેનાથી ખેડૂતોને વર્ષે રૂ.5000 કરોડ આસપાસનું નુકસાન પાકમાં થાય છે. છતાં તેનો કોઈ ઉપાય નથી. ખેતરમાં જ નહીં પણ ગાંધીનગર શહેરમાં પ્રધાનોની વસાહત આસપાસ 700 નીલ ગાયો છે. સચિવાલયમાં ગાયો ઘુસી જાય છે. જે આસપાસના ખેતરોમાં જઈને ચારો ચરવા જાય છે ત્યારે પારાવાર નુકસાન કરે છે.
જ્યાં કૃષિ વિભાગના 1200 અધિકારીઓ રહેતા હોય ત્યાં આવી હાલત હોય તો ગુજરાતના 18 હજાર ગામોમાં નીલ ગાયનું આક્રમણ કેવું હશે ? ગુજરાતને એક નીલ ગાય રૂ.4 લાખમાં એક વર્ષ માટે પડી રહી છે. એક નીલ ગાય વર્ષે રૂ.4 લાખનું નુકસાન કરે છે. રોજ રૂ.1100નું નુકાસ ખેડૂતોને કરે છે.
5 લાખ હેક્ટરમાં સીધું નુકસાન
એક હેક્ટર જમીન હોય ત્યારે 5 પાલતુ પશુને ખોરાક પુરો પાડી શકાય છે. એક હેક્ટરે 25 હજાર કિલો ઘાસ એક ઋતુમાં થઈ શકે છે. એક પાલતુ પશુ 20 કિલો અને નીલ ગાયને 30 કિલો લીલો ચારો ખાવા જોઈએ છે. એક પશુને 30 લીટર પાણી જોઈએ. એ હિસાબે નીલ 1.25 લાખ નીલ ગાયોને રોજ 37-40 લાખ કિલો કૃષિ પાક ખાઈ જાય છે. 137-140 કરોડ કિલો ઘાસ વર્ષે ખાય જાય છે.
55 હજાર હેક્ટરમાં સંપૂર્ણ કૃષિ પાક ખાઈ શકે છે. તે એક ખેતરથી બીજા ખેતર જઈને પાક ખાય છે, ખાવા કરતાં પાક 10 ગણો બગાડે છે. આમ 5થી 6 લાખ હેક્ટરમાં નીલ ગાય પાકને નુકસાન કરે છે. ગુજરાતમાં 45 લાખ ખેડૂતો અને 10 લાખ ખેતીના ભાગીયા છે તેમને નીલ ગાય પરેશાન કરી રહી છે.
એક હેક્ટરે ઉત્પાદન
એરંડી 1800 કિલો, તમામ કઠોળ 1015 કિલો, મકાઈ 2500 કિલો, ભાલિયા ઘઉં 756 કિલો, જુવાર 1000 કિલો, ઘઉં 2800 કિલો, કપાસ 525 કિલો, મગફળી 3715 કિલોનું ઉત્પાદન થાય છે. કપાસનું 17 લાખ હેક્ટર અને મગફળી 25 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. હવે 5થી 6 લાખ હેક્ટરમાં નીલ ગાય જો 10 ટકા નુકસાન કરે તો એક હેક્ટરે 1 હજાર કિલોનું ખેડૂતોને ઉત્પાદન ઘટ કે નુકસાન આવે છે. એક કિલોના સરેરાશ રૂ.100 ગણવામાં આવે તો રૂ.5000 કરોડનું નુકસાન નીલ ગાય કરી રહી છે. એવું ગણિત જાણીતા પત્રકાર દિલીપ પટેલે અમને સમજાવ્યું હતું.
મારવા મંજૂરી
વન અને પર્યાવરણ વિભાગે નીલ ગાયને મારી નાંખવા માટે મંજૂરી આપી છે. ખેડૂતોને બંદૂકના પરવાના નીલ ગાયને મારવા માટે 2000થી આપવામાં આવે છે. પણ ખેડૂતો તેને મારતાં નથી. કેટલાંક માંસના વેપારીઓ તેનો શિકાર કરીને શહેરોમાં ગાયના માંસ તરીકે વેચે છે. નીલ ગાય જંગલી પ્રાણી છે પણ તે હવે મહેસુલી વિસ્તારો અને ખેતરો પર નભતી થઈ ગઈ છે. રોડ પર આવી જાય છે. જેના કારણે વાહન અકસ્માતમાં વર્ષે 700 લોકોના મોત થાય છે.
એક નીલ ગાય રોજ
રોજનું રૂ.1100નું નુકસાન કરતી ગાયોને ખેતરથી દૂર રાખવા માટે સાયલાના ખેડૂત વાલજી ચતુર સભાણીએ એક અદભૂત રીત શોધી છે. અમદાવાદની સૃષ્ટિ સંસ્થાએ તેની રીતનો અભ્યાસ કર્યો છે. તેમના કિમિયાથી પાક રક્ષણ માટેની નવી રીતને માન્યતા આપી છે.
છાસ અને ગૌમૂત્રનો પ્રયોગ
20 દિવસ જૂની છાસની આસ – નીતારેલું પાતળું પાણી અને ગૌમૂત્રને સરખા ભાગે મેળવીને ખેતરની આસપાસ શેઢા પર છાંટવાથી નીલગાય દૂર ભાગે છે, બીજાના ખેતરમાં જઈને પાક ખાય લે છે. આવો છંટકાવ કર્યા બાદ 6થી 7 દિવસ નીલગાય ખેતરમાં આવતી નથી. હવે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં તેમનો આ પ્રયોગ ખેડૂતોને કામ આવી ગયો છે. પેદા થતી ગંધના કારણે નીલ ગાય ખેતરના પાકને ખાવા આવતી નથી. એવું ખેડૂતોનું માનવું છે.
છાણ અને છાશ
વળી, નીલ ગાયના છાણને ખેતરની ચારેબાજુ નાંખવાથી નીલ ગાય દૂર રહે છે. નીલ ગાયનું છાણ કે ગાયનું છાણ 3 કિલો લઈને તેમાં 1 લિટર છાશ અને 10 લીટર પાણીમાં પલાળીને સાંજે ખેતરમાં ફરતે છાંટી દેવાથી નીલ ગાય દૂર રહે છે.
રંગીન સાડી
ઉપરાંત ખેતરની ચીરેબાજુ નકામી રંગીન સાડીને ખેતરની ચારેબાજુ બાંધી દેવાથી નીલ ગાય નજીક આવતી નથી.
તારની વાડ
ખેતરને ફરતે કાંટાળી તારની વાડ બનાવીને પણ રોકી શકાય છે. તે માટે સરકાર સબસીડી આપે છે.
દીવા દાંડી
ભેંસાણના ખંભાળીયા ગામના ખેડૂત હરિભાઈએ રૂ.500માં દીવાદાંડી બનાવી છે. તેલના ખાલી ડબ્બાને બે બાજુ કાપીને તેમાં ટોર્ચ મૂકી દઈ નીચે બેરીંગ રાખી ઉપર પવન પાંખ રાખી દેવાથી તે જાહે ગોળ ફરે છે. પવનની સાથે તે રાતભર ફરતો રહે છે તેથી નીલગાય કે વન્ય પ્રાણી દૂર રહે છે. તેમાં થાળીને ગોઠવીને તે વાગે એવી વ્યવસ્થા ખેડૂતો જાતે કરી શકે છે. જેથી ડબ્બો ફરે અને થાળીમાં અથડાય છે, જેમાં થાળીનો અવાજ આવે છે.