દાહોદ જિલ્લામાં ૭૭,૮૯૩ લોકોને મનરેગા અંતર્ગત રોજગારી મળી – સરકાર

દાહોદ જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭,૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં કુલ ૯૭ તળાવોને ઉંડા ઉતારવાનું કામ થઇ રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૮૨૧૧ કામો, સામુહિક કૂવાના ૮૯૬ કામો, જમીન સમતળના ૯૫૯ કામો, આંગણવાડીના ૧૬ અને ચેકડેમના કુલ ૮૨૭ સહિતના કામોનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે, જે સ્થળે કામ ચાલતા હોય ત્યાં પીવાના પાણી, છાંયડા અને આરોગ્યની સુવિધા આપવામાં આવી છે. તમામ શ્રમવીરોને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સામાજિક અંતર જળવાઇ રહે એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

ઝાલોદ તાલુકાના વરોડ ગામના સૂરપળી ફળિયા નજીક ડુંગરા વચ્ચે આવેલા અનુસરણના તળાવને ઉંડા ઉતારવાની કામગીરી થઇ રહી છે. અહીં સૌથી વધુ ૪૬૧ શ્રમવીરો કામ કરી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના એવા લોકો છે જે અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી લોકડાઉનને કારણે પોતાના ગામમાં પરત ફર્યા છે. તેઓ આ શહેરોમાં શ્રમકાર્ય કરતા હતા. બે અઠવાડિયા ઘરે બેઠા બાદ એપ્રિલમાં મનરેગાના કામ શરૂ થતાં તુરંત જોબકાર્ડ કઢાવી એમાં જોડાય ગયા છે.

મનરેગાના હેઠળના કામો વહેલી સવારથી શરૂ થઇ જાય છે. સૂરજ માથે આવે આવે ત્યાં તો કામ આટોપી ઘરે ચાલ્યા જાય છે. એટલે ગરમીથી બચી શકાય. થયેલા કામોનું મેજરમેન્ટ થાય છે અને તેના આધારે ચૂકવણું થાય છે. એક વ્યક્તિને રૂ. ૨૨૪ સુધીનું મહેનતાણું મળે છે. આ રકમ સીધા એના બેંક ખાતામાં જ જમા થાય છે.

ઝાલોદ તાલુકામાં મનરેગાના કામોની વિગતો આપતા તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. એન. પટેલ કહે છે, તાલુકામાં ૪૯,૩૯૬ માનવ દિનની રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં રૂ. ૧૦૮.૫૪ લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે. મનરેગા હેઠળ તાલુકાના કુલ ૧૯,૫૯૦ વ્યક્તિને રોજગારી મળી છે. હજુ પણ જરૂરત મુજબ રોજગારસર્જક કામોનું આયોજન છે.

DCIM100MEDIADJI_0020.JPG
DCIM100MEDIADJI_0039.JPG