[:gj]દાહોદ, 07 માર્ચ 2020
જિલ્લા નિરંતર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2019થી શરૂ કરવામાં આવેલા સાક્ષરતા પ્રોજેકટ અંતર્ગત જિલ્લાના 4 તાલુકાની 4000 નિરક્ષર મહિલાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવ્યું છે. ધાનપુર, લીમખેડા, ગરબાડા અને ઝાલોદ તાલુકાના 10-10 ગામોની 100 મહિલાઓને ત્રણ મહિના સુધી 1 થી 3 ધોરણ સુધીનો અભ્યાસક્રમ શીખવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં સ્ત્રી સાક્ષરતાનો દર 50 ટકા કરતા પણ નીચે છે.
આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નિરક્ષર મહિલાઓને વાંચતા-લખતા અને સરવાળા-બાદબાકી જેવી સામાન્ય ગણતરીઓ ઉપરાંત તેમને સ્વચ્છતા, આરોગ્ય, માર્ગ સલામતી, ટ્રાફીક નિયમો, બાળકોના શિક્ષણ બાબતે પણ સમજ આપવામાં આવે છે. 20 નિરક્ષર મહિલાઓ દીઠ ધોરણ 12 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા એક સ્વંયસેવકની શિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવે છે.
સમય અને સ્થળ મહિલાઓને અનુકુળ હોય તેવા પસંદ કરવામાં આવે છે. જે સવારના 7 થી 8 પણ હોઇ શકે અને સાંજના 8 થી 9 પણ. ત્રણ મહિના સુધી રોજ એક કલાક સૌ મહિલાઓને અનુકુળ હોય તેવા નજીકના જ કોઇ ઘરને ક્લાસરૂમ બનાવીને શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ માટેની સામગ્રી જેવી કે પાટી-પેન, સાહિત્ય વિગેરે પણ નિશુલ્ક આપવામાં આવે છે.
રાજય સરકાર દ્વારા મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં શરૂ કરવામાં આવેલો આ પ્રોજેકટ ખૂબ જ સફળ થઇ રહ્યો છે. ફતેપુરા તાલુકાના 10 ગામો જેમાં જગોલા, ડુગરા, પાટવેલ, નવા તલાવ, ઘુઘસ, જવેસી, ફતેગડી, ઇટા, મોટીબારા અને નાના બોરીદા ગામમાં આ સાક્ષરતા પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.[:]