ગાંધીનગર, 25 જૂન 2021
શરીરમાં ઝીંક અને આયર્ન જેવા પોષક તત્ત્વોની ઊણપને પહોંચી વળવા માટે સારો ખોરાક લેવાની તબિબો સલાહ તો આપે છે. પણ ચોખા અને રોટલી હવે પહેલાની જેમ પોષક નથી.
ભાત અને રોટમાં પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે. ઘઉં અને ચોખા ગુજરાતમાં સૌથી વધું ખાવામાં આવે છે. ઝીંક અને આયર્નમાં 17થી 30 ટકા ઘટાડો થતાં આરોગ્ય સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
50 વર્ષમાં ઘઉંમાં માણસનું પોષક તત્વ ઝીંકનો 29.42 ટકાનો ઘટાડો થયો. ઘઉંમાં માણસને પોષતું આયર્ન 50 વર્ષમાં 19.27 ટકા ઘટી ગયું છે.
50 વર્ષમાં ચોખામાં માણસને ઉપયોગી તત્વ ઝીંક 23.98 ટકા ઘટી ગયું છે. ચોખામાં માણસને ઉપયોગી આયર્નમાં 16.7 ટકા ઘટાડો થયો છે.
કૃષિ સંસ્થાનું સંશોધન
ભારતીય કૃષિ સંશોધન સંસ્થા અને પશ્ચિમ બંગાળના વિધાનચંદ્ર કૃષિ યુનિવર્સિટી સાથે ગુજરાત સહિત અનેક સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન ગુજરાતના 6.50 કરોડ લોકો માટે ચિંતાનો વિષય છે.
ચોખા અને ઘઉંમાં આવશ્યક પોષક તત્ત્વોની ઘનતા 50 વર્ષ પહેલાં કૃષિમાંથી મેળવેલા ચોખા અને ઘઉં જેટલી વધારે નથી. ઉગાડવામાં આવતા ચોખા અને ઘઉંમાં ઝીંક અને આયર્નની ઉણપ જોવા મળી છે.
રાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા, કટક, ઓરિસ્સા અને ભારતીય ઘઉં અને જવ સંશોધન સંસ્થા ખાતે સ્થિત જીન બેંકમાંથી ચોખાની 16 જાતો અને ઘઉંની 18 જાતોના સતત બે વર્ષ 2018-19 અને 2019- 20 સુધી કરેલાં સંશોધન પછી ચોંકીવે દે એવી શોધ બહાર આવી છે.
બીજ ઉગાડી 2 વર્ષ સંશોધન ચાલ્યું
ચોખા અને ઘઉંના 1960ના દાયકામાં ઉગાડવામાં આવતી જાતોના 2018માં ઉગાડવામાં આવતાં બીજ એકત્રિત કર્યા અને ત્યારબાદ તેને કોઈ તત્વોની ઉણપ વગરની વિશ્વ વિદ્યાલયની ફળદ્રપુ જમીનમાં ઉગાડવામાં આવ્યા હતા. પુરતાં પોષક તત્વો આપવામાં આવ્યા હતા.
બે વર્ષ સુધી વાવણી અને લણણી પછી વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે 50 પહેલા ઘઉં અને ડાંગરમાં ઝીંક અને આયર્ન હતા તેની નોંધપાત્ર ઉણપ જોવા મળી રહી છે.
ચોખામાં તત્વો ઘટી ગયા
ઝીંક અને આયર્નની ઘનતા 1960ના દાયકામાં ઉગાડવામાં આવતાં ચોખીની જાતોમાં એક કિલોએ જિંક 27.1 મિલિગ્રામ અને એક કિલોએ આયર્ન 59.8 મિલિગ્રામ હતી.
2020માં તપાસ કરી ત્યારે એક કિલોએ જિંક 20.6 મિલિગ્રામ અને એક કિલોએ આયર્ન 43.1 મિલિગ્રામ થઈ ગઈ હતી.
ઘઉંમાં તત્વો ઘટી ગયા
1960 ના દાયકામાં ઘઉંની જાતોમાં ઝીંક એક કિલોએ 33.3 મિલિગ્રામ અને એક કિલોએ આયર્ન ની ઘનતા 57.6 મિલિગ્રામ હતી.
2020માં એક કિલોએ ઝીંક 23.5 મિલિગ્રામ અને આયર્નનું પ્રમાણ એક કિગ્રામાં 46.5 મિલિગ્રામ થઈ ગયું છે.
કારણો
ઘઉં અને ચોખામાં આ પ્રકારની ઝીંક અને આયર્નની ઉણપના ઘણા કારણો હોઈ શકે છે. ઝીંક અને લોહ એકબીજા સાથે ટકરાતા હોય છે. જે એક બીજાને ઓછા કરવાનો પ્રયત્ન કરે છે.
ઊંચી અનાજનું ઉત્પાદન મેળવવાની હરિફાઈમાં પોષક તત્વો ઘટી રહ્યાં છે. આનો સીધો મતલબ એ થયો કે ઉપજ વધવાના દરની સામે છોડ તેના પોષક તત્ત્વો જાળવી શકતા નથી. ઉત્પાદન વધે છે પણ પોષક તત્વો ઘટે છે.
અન્ય કુદરતી તત્વો ગણ ઘટી રહ્યાં હોઈ શકે છે એવી શંકા છે.
ઉણપ દૂર કરવા માટે ઝીંક અને આયર્ન ગોળીઓ લેવી જોઈએ.
બાયોફોર્ટીફિકેશન
ચોખા અને ઘઉંમાં જરૂરી પોષક તત્ત્વોનો અભાવ એ ગંભીર સમસ્યા છે. બાયોફોર્ટીફિકેશન જેવા અન્ય વિકલ્પો કૃષિ વિજ્ઞાનીઓએ વિચારવા પડશે. જેના દ્વારા સુક્ષ્મ પોષકતત્ત્વોથી સમૃદ્ધ ખાદ્ય પાક ઉત્પન્ન થઈ શકે છે.
તત્વો ઘટી ગયા પણ ઉત્પાદન વધ્યું
50 વર્ષમાં ઝીંક અને આયર્નમાં મોટો ઘટાડો થયો છે પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થયો નથી. વધારો થયો છે.
ઉત્પાદન વધારવા જીંક, આયર્ન વધારે આપે છે
ઉત્પાદન વધારવા માટે ખેડુતો વધુ માત્રામાં ઝીંક અને આયર્નનો ઉપયોગ કરે છે. જેના કારણે ઉપજમાં વધારો થયો છે પણ પોષક તત્ત્વોમાં ઘટાડો થયો છે.
30 વર્ષથી તત્વો ઘટી ગયા
1990 પછી વિકસિત ઘઉં અને ડાંગરની નવી જાતો ઝીંક અને આયર્નની ઉણપને પહોંચી વળવા સક્ષમ નથી. તેથી નવી જાતો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધવી પડશે.
વિજાપુરના કૃષિ વિજ્ઞાનીઓ શું કહે છે
વિજાપુરના મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓના મતે ગુજરાતમાં હાલ ઘઉંની જાતો ખેડૂતો ઉગાડે છે તેમાં ટુકડી જાતોમાં જી.ડબલ્યું. 366, જી.ડબલ્યું. 322, જી.ડબલ્યું. 496, જી.ડબલ્યું. 503, જી.ડબલ્યું. 190, જી.ડબલ્યું. 273, જી.ડબલ્યું. 11 છે. ડ્યૂમર જાતો અલગ છે.
દેશી ખાતર કોઈ નાંખતું નથી
ગુજરાતના વિજ્ઞાનીઓ ઘઉં વાવતી વખતે હેક્ટર દીઠ 10થી 12 ટન દેશી ખાતર નાંખવાનું કહે છે. પણ ખેડૂતો નાંખતા નથી. રાસાયણીક ખાતર જ નાંખે છે. ગાય અને બળદો ખેડૂતો રાખતા બંધ થયા છે. તેથી આવી સ્થિતી આવીને ઊભી રહી છે.
વાવેતર અને ઉત્પાદન વધ્યું
10 વર્ષમાં ચોખાનું ઉત્પાદન 125 ટકા અને ઘઉંનું ઉત્પાદન 300 ટકા વધ્યું છે. 60 વર્ષ પહેલા આ 30 ધાન્યોનો ખોરાક 40 ટકા હતો, જે 2006માં 21 ટકા અને 2020માં 11 ટકા થઈ ગયો છે.
કૃષિ વિજ્ઞાનીઓ માને છે કે 50 વર્ષમાં આ બધી પરંપરાગત અનાજની જાતો લુપ્ત થઈ જશે.
ડાંગરનો વાવેતર વિસ્તાર 1.10 લાખ હેક્ટર વધ્યો છે. 7.36 લાખ હેક્ટરથી 8.48 લાખ સુધી થઈ ગયો છે.
ગુજરાતના 30 અનાજ લુપ્ત
બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, વારી, છીણા, જેવા 30 જેટલાં ગુજરાતના પરંપરાગત અનાજની હજારો જાતો હતી. જે નાશ પામી છે. તેના સ્થાને ઘઉંનું વાવેતર વધારી દેવામાં આવ્યું છે.
જુવાર, બાજરી અને મકાઈ રહ્યાં
જુવારમાં ભારે ચઢાવ ઉતાર આવી રહ્યાં છે. 42 હજાર હેક્ટરમાં થતી જુવાર 77 હજાર હેક્ટરમાં પણ થઈ છે. એવું જ બાજરીનું છે. 3.55 લાખ હેક્ટરમાં બાજરી ઉગાડાતી હતી તે અડધી ઘટીને 1.84 લાખ હેક્ટર સુધી થઈ ગઈ છે.
મકાઈ ઘટી
મકાઈનો પાક 3.73 લાખ હેક્ટરનો હતો તે ઘટીને 3 લાખ હેક્ટરનો થઈ ગયો છે. જે બતાવે છે કે લોકોના ખોરાકમાં અને કૃષિ પાકના ભાવમાં ઘટાડો થતાં મોટો બદલાવ આવ્યો છે.
હવામાન સામે બાજરાની ટક્કર
પરંપરાગત બાજરી, મકાઈ અને જુવાર છોડીને લોકો ચોખા, ચોમાસામાં નહીં પાકતાં ઘઉં કે જે શિયાળું પાક તરફ વળી ગયા છે.
બાજરાનો પાક એવો પાક છે કે તે મોટા હવામાન ફેરફારમાં પણ ટકી શકે તેની ક્ષમતા છે. છતાં બાજરીની સેંકડો પેટા જાતો ખતમ થઈ ગઈ છે. દરેક તાલુકા દીઠ અલગ વેરાઈટી બાજરીની હતી હવે એક સમાન સંકર જાતો થઈ ગઈ છે.
વિવિધતા ખતમ થતાં આરોગ્ય સામે ખતરો
અનુવંશીક ફેરફારો લાવીને આરોગ્યનું મોટું નુકસાન થઈ શકે છે. પોતાના ગામને અનુરૂપ પરંપરાગત બીજ હવે રહ્યાં નથી. એક સમાન બીજ ઉગાડવામાં આવતાં હોવાથી અન્ય ધાન્ય પાકો નેસ્ત નાબુદ થઈ રહ્યાં છે. 30 હજાર હેક્ટરમાં થતા આવા વિવિધતા વાળા ધાન્યો ઘટીને 12-15 હજાર હેક્ટર સુધી સીમીત થઈ ગયા છે.
આ બદલાવ ખેતીને સમૃદ્ધ કરશે પણ ગુજરાતના લોકોના આરોગ્યને ખરાબ કરશે. રાગી, કાંજી જેના શ્રેષ્ઠ પાક હવે લુપ્ત થઈ રહ્યાં છે.
કુદરતી ખેતી ઉપાય
ઘઉં અને ચોખામાં જે થયું એવું બીજા હાઈબ્રિડ જાતોમાં થઈ શકે છે. આનો ઉપાય કુદરતી ખેતી છે. રસાયણ કે હાઈબ્રિડ જાતોના પાકતાં ચોખા, ઘઉં, બાજરો, મકાઈ, જુવાર અને 30 જાતના અનાજ તરફ ફરી પાછા વળવાનો છે.