મજૂરોની હિજરત કરાવી અને હવે સમિતિ બનાવી તેની ચર્ચા કરાશે

ગાંધીનગર, 14 મે 2020

કોરોના વાયરસ – કોવિડ-19ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે ગુજરાતે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.

મજૂરો અંગે ભલામણ

ગુજરાત સરકારે કહ્યું છે કે, સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્થિતીને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરિય સમિતી રચવાનો નિર્ણય કર્યો છે.

સરકારે કહ્યું છે કે, રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ઊદ્યોગોને ઉત્પાદન માટે શ્રમિકો-લેબર એક મહત્વપૂર્ણ પરિબળ છે. ગુજરાતમાંથી મોટાપાયે આવા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ચાલ્યા ગયા છે ત્યારે શ્રમિકોની ઉપલબ્ધિની વ્યવસ્થાઓ સુધારણા માટેની બાબતો પણ આ સમિતીના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

મજૂર સંગઠન કહે છે, ટ્રેનમાં 4 લાખ સાથે કૂલ 20 લાખ મજૂરો ગુજરાત છોડી ગયા છે.

ઉદ્યોગોને અસર

ગુજરાત સરકારે પહેલી વખત કબૂલ કર્યું છે કે, અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિમાં રાજ્યને વ્યાપક અસર પહોંચી છે. રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે.

સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપશે.

અંદાજપત્ર સુધારા માટે ભલામણ

રાજકોષિય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતીની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે. અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પૂર્નવિચારણા તેમજ પૂર્નગઠનની બાબતે પણ આ સમિતી ભલામણો કરશે.

રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ – ત્વરિત, મીડીયમ ટર્મ – ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ – લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતી તૈયાર કરશે.

વિદેશી કંપનીઓને લવાશે

અન્ય રાષ્ટ્રોમાંથી પોતાના એકમો બીજા દેશ-રાષ્ટ્રમાં ખસેડવા ઇચ્છતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા માટેની યોગ્ય નીતિ ઘડતરની ભલામણો પણ રાજ્ય સરકારને કરશે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.

કોણ છે સમિતિમાં ?

સમિતીના અધ્યક્ષપદે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમૂણંક કરી છે. 6 સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે. કાર્યયોજના એકશન પ્લાન સાથે પોતાની ભલામણોનો અહેવાલ રાજ્ય સરકારને એક મહિનામાં આપવાનો રહેશે. વચગાળાનો અહેવાલ બે સપ્તાહમાં સરકારને સોંપશે.

સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ  પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.