Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition
ગાંધીનગર, 2 માર્ચ 2021
અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળી છે. અપક્ષને 1 બેઠક મળી છે. અમદાવાદમાં જમાલપુરમાં AIMIMના 4 ઉમેદવાર જીત્યા છે, તો મક્તમપુરામાં 3 ઉમેદવાર જીત્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકાના ચોથા માળ પર વિપક્ષના નેતાની ઓફિસની સામે આવેલા કોંગ્રેસના કાર્યાલયને નાનું કરવામાં આવ્યું છે. બાજુમાં નવી કેબીન બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસનું કાર્યાલય નાનુ કરીને જે ચેમ્બર ઓફિસ બનાવવામાં આવી છે તે અપક્ષમાંથી જીતેલા કાળુ ભરવાડને આપવામાં આવી શકે છે. બે રૂમમાંથી એક કાર્યાલય બનાવામાં આવી રહ્યું છે તે AIMIMને આપવામાં આવી શકે છે.
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતમાં બે નવા રાજકીય પક્ષોનું આગમન થયું છે. સુરત મહાનગરપાલિકામાં AAP અને અમદાવાદમાં AIMIM છે. આમ આદમી પાર્ટી અને AIMIMના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અમદાવાદમાં પણ AIMIMના કારણે કોંગ્રેસને કેટલીક બેઠકો ગુમાવવી પડી.
મહત્ત્વની વાત છે કે, વર્ષ 2015ની તુલનામાં ભાજપે વધારે બેઠક હાંસલ કરી છે અને વિપક્ષ નબળો પડ્યો છે. BPMC એક્ટની જો વાત કરવામાં આવે તો 48 સભ્યો કે તેનાથી વધારે સભ્યો વિપક્ષમાં હોય તો રીક્વીઝીશન બોર્ડ બોલાવી શકે છે પણ અમદાવાદમાં કોંગ્રેસની પાસે માત્ર 24 બેઠક છે અને AIMIMની પાસે 7 બેઠક છે. જો કોંગ્રેસ અમદાવાદમાં AIMIMની સાથે મળી જાય તો પણ માત્ર 31 જ સભ્યો થશે એટલે તેઓ રીક્વીઝીશન બોર્ડ બોલાવી શકે નહીં.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જે પરિણામ મળ્યા છે તેનાથી વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને અત્યારથી કોંગ્રેસના ધારાસભ્યોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં AIMIMની એન્ટ્રી થતા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા મત વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં AIMIM મોટું ગાબડું પાડી શકે છે.