PAC 3 :મુંબાઈમાં અતિથિ ગૃહ બનાવવામાં વર્ષો નિકળી ગયા

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020

સી . એ . જી . નો ઓડિટ અહેવાલ આર્થિક ક્ષેત્ર માર્ગ અને મકાન વિભાગ ફકરા કમાંક : ૩ , ૫ . ૪ વધારાના ભાડાપટ્ટા પ્રિમિયમની નિવાર્ય ચૂકવણી ઓડિટ આ ફકરામાં નોંધ્યું હતું કે ભાડાપટ્ટા કરારની શરતોનું પાલન ન કરવાના પરિણામે વધારાના પ્રિમિયમના રૂ.૭૩.૦૪ લાખની નિવાર્ય ચુકવણી થઈ હતી. ઉપરાંત રૂ.૧૧૨.૩૭ લાખનું ભાડાપટ્ટાવાળા પ્લોટમાં રોકાણ એક દસકો કરતાં વધુ સમય માટે બિનફળદાયી રહ્યું હતું. ઓડિટના જણાવ્યાનુસાર નવી મુંબઈ ખાતે એક અતિથિગૃહ અને એપોરિયમ સાથેના ગુજરાત ભવનના નિર્માણ માટે વાશી, નવી મુંબઈ ખાતે સેકટર ૩૦માં ૪,૪૮૫,૨૦ ચો.મી.ના બે પ્લોટ ર૬ અને ૨૭ મારાષ્ટ્રના શહેર અને ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન ( CIDCO ) પાસેથી ભાડાપટ્ટે સંપાદન કરવા માટે ગુજરાત સરકારે જાન્યુઆરી ૧૯૯૩માં વહીવટી મંજૂરી આપી હતી.

ગુજરાત સરકારે ઓક્ટોબર, ૧૯૯૩ અને મે, ૧૯૯૯ દરમિયાન ભાડાપટ્ટાના પ્રિમિયમ પેટે રૂ.૧૧૨.૩૭ લાખ CIDCOને ચૂકવ્યા હતા, ભાડાપટ્ટના પ્રિમિયમના છેલ્લા હપ્તાની ચુકવણી લગભગ છ વર્ષના વિલંબ પછી માર્ચ, ૨૦૦૫માં CIDCO સાથે ૯૦ વર્ષ માટે લાગુ પડતો ભાડાપટ્ટાનો કરાર કરવામાં આવ્યો હતો.

ભાડાપટ્ટાના કરાર મુજબ ગુજરાત સરકારે કરારની તારીખથી ૧૨ મહિનામાં બાંધકામ શરૂ કરવાનું હતું અને પાંચ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરીને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રહેણાંકનું પ્રમાણપત્ર મેળવવાનું હતું.

ઓડિટના મુખ્યત્વે વાંધાઓ નીચે મુજબ છે.

૧ આ પ્લોટમાં બાંધકામ શરૂ કરવા માટે મકાનનો નકશો વિભાગીય કચેરીએ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી માટે રજૂ કર્યો ન હતો.

૨ પાયાની કામગીરી એટલે કે ગુજરાત ભવનના મકાનના બાંધકામ માટે તેનો ઢાંચો / પ્રકાર નક્કી કરી પ્લાન નિષ્ણાને આખરી રૂપ આપવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું ન હતું.

૩ આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વિભાગે ભાડાપટ્ટાના કરારની શરતો મુજબ રૂ. ૨૮.૦૯ લાખ (માર્ચ – ૨૦૧૦) અને રૂ.૪૪.૯૫ લાખ ( માર્ચ – ૨૦૧૩ ) વધારાનું પ્રિમિયમ ભર્યા બાદ CIDCO પાસેથી બે વાર સમયમર્યાદામાં વધારો મેળવી લીધો હતો.

આમ મુંબઈ ખાતે ગુજરાત ભવનના નિર્માણમાં વિલંબના કારણે રૂ.૭૩.૦૪ લાખના પ્રિમિયમની વધારાની ચૂકવણી થઈ હતી. હેતુ સિધ્ધ થયા વિના રૂ.૧૧૨.૩૭ લાખનું રોકાણ દસકા કરતાં વધારે સમય માટે સ્થગિત થઈ ગયું હતું.