મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 4
ગુજરાત પર મરાઠાઓનું સ્થપાયેલું આધિપત્ય
અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્ર)માં તેઓને વિસ્તરવાનો માર્ગ મોકળો થયો હતો. કંથાજીએ વીરમગામ, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવી. પરિણામે ગુજરાતમાંની મુઘલ સત્તા તદ્દન નિર્બળ બની હતી. ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં રાજ્યો પર મરાઠાઓનું વર્ચસ વધ્યું હતું. દરમિયાનમાં કંથાજીની સહાયથી હમીદખાને સુજાતખાનના ભાઈ તથા સુરતના મુત્સદ્દી રુસ્તમઅલીને પરાજય આપ્યો હતો. આના બદલારૂપે પિલાજી ગાયકવાડને દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવવાનો હક મળ્યો હતો. આમ ઉત્તર તથા પશ્ચિમ ગુજરાતમાં કંથાજીનું અને દક્ષિણ ગુજરાતમાં પિલાજીનું વર્ચસ સ્થપાયું હતું. આનેપરિણામે હમીદખાન ભારે આર્થિક મુસીબત અનુભવવા લાગ્યો હતો. તથા મરાઠાઓને ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ ભરપાઈ કરી શક્યો નહિ, જેથી મરાઠાઓએ ફરી અમદાવાદ લૂંટવાની તૈયારી કરી હતી. પરંતુ અમદાવાદના નગરશેઠ ખુશાલચંદે પોતાની અંગત મૂડીમાંથી મરાઠાઓને ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ ભરપાઈ કરીને શહેરને ફરી લૂંટાતું બચાવ્યું (૧૭૨૫) હતું. અન્યથા અમદાવાદની સ્થિતિ પણ કિદાચ સુરત જેવી થાત. શેઠ ખુશાલચંદના આ કાર્યની કદરરૂપે અમદાવાદનાં જુદાં જુદાં મહાજનોએ આવતા – જતા માલ પર દર ૧૦૦ રૂપિયે ચાર આના ખુશાલચંદ શેઠ અને ત્યારબાદ એમના વારસદારોને મળે એવી ગોઠવણી કરી હતી.
પિલાજી તથા કંથાજીએ એ સમયે ગુજરાતમાં ખૂબ સમૃદ્ધ ગણાતાં શહેર ખંભાત અને વડનગરમાંથી દસ લાખ ઉપરાંતની રકમ ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી તરીકે એકઠી કરી.
મરાઠાઓની કામચલાઉ પીછેહઠ
ગુજરાતમાં મરાઠાઓના વધતા જતા વર્ચસથી દિલ્હીની મુઘલ સરકાર બેચન બની હતી. એણે આ પરિસ્થિતિ માટે હમીદખાનને જવાબદાર ગણીને એને બરતરફ કર્યો હતો. તથા એના સ્થાને ગુજરાતના સુબેદાર તરીકે સરબુલંદખાનની નિયુક્તિ કરી હતી. હમીદખાને સરબુલંદખાનને સત્તા સોંપવાનો ઇન્કાર કર્યો હતો. પોતાનું સ્થાન જાળવવા ફરી મરાઠાઓની સહાય માગી હતી. પરંતુ મરાઠાઓની લૂંટફાટની નીતિથી તંગ આવી ગયેલા ગુજરાતના તમામ મુઘલ સરદાર મરાઠાઓ સામે એકત્ર થયા હતા. તેઓએ હમીદખાન તથા મરાઠાઓને પરાજ્ય આપ્યો હતો. આ પરાજયને પરિણામે મરાઠાઓને વડોદરા સુધી પાછા હઠી જવું પડ્યું હતું. મરાઠાઓ સાથે મુઘલોનો આ અંતિમ વિજય હતો. જોકે ગુજરાતમાં નવા સૂબેદાર સરબુલંદખાનને દિલ્હીથી યોગ્ય સહાય નહિ મળતાં , એ ગુજરાતમાંની મરાઠાઓની આગેકૂચને ખાળી શક્યો નહિ. દરમિયાનમાં દખ્ખણના મરાઠી રાજકારણે પલટો લીધો, જેની અસર ગુજરાતમાં પણ થઈ.
(ક્રમશઃ) 5
નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.