ગાંધીનગર, 7 ઓક્ટોબર 2020
રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ.500 ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે, નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ.5000નો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આખા ગુજરાતમાં 250 શહેરોમાં 20 લાખથી વધું ગટર કે નળ જોડાણો નથી. કોઈ પૈસા ભરવા તૈયાર ન હોવાથી મુખ્ય પ્રધાન હવે નળ જોડાણ નહીં આપવાની ધમકી આપે છે અને બીજી બાજું 100 ટકા ઘરોમાં નળ જોડાણની વાતો કરે છે. ગેરકાયદે નળ જોડાણ કાયદેસર કરવા માટેની સ્કીમમાં વધુ ચાર્જ હોવાથી પ્રતિસાદ મળ્યો ન હોવાથી આમ કરે છે. રૂપિયા 500ની રકમ પ્રતિ કનેકશન લઇ અડધા ઇંચના જોડાણ કાયદેસર કરી આપવામાં આવે છે. ઘરેઘરે નળ જોડાણ આપવાના હતા ત્યાં હવે ગેરકાયદે નળ જોડાણ તરફ વાત લઈ જવામાં આવી છે.
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પાઇપ વોટર સપ્લાય વિના 15 લાખ ઘરો હતા. જે ગુજરાત સરકારે 17 જૂલાઈ 2019માં જાહેર કર્યું હતું કે 25 લાખ ઘરમાં નળ નથી.
20 લાખ ઘરમાં ગેરકાયદે જોડાણ
ગુજરાતમાં 20 લાખ ગેરકાયદે નળ જોડાણ છે. એકલા સુરતમાં 5 લાખ છે. 31 ડિસેમ્બર 2020 સુધીમાં અડધા ઇંચનાં નળ જોડાણના નિયત દર ઉપરાંત રૂ. 500ની રકમ ભરવાની છે. ઓગસ્ટ 2019થી શરૂ કરવામાં આવેલી હર ઘર જળ યોજના મૂકી છે.
મહેસાણામાં દોઢ લાખ ગેરકાયદે નળ
નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના મહેસાણા જિલ્લામાં 5.10 લાખ મકાનમાંથી 3.67 લાખ નળના જોડાણ આપી દેવામાં આવ્યા છે. બાકી 1.43 લાખ ઘરમાં ગેરકાદયે પાણી આપવામાં આવતું હતું.
અમદાવાદમાં 8 લાખ ગેરકાયદે નળ જોડાણ
અમદાવાદના ઓઢવની ઇન્દ્રવિહાર સોસાયટીમાં 107 મકાનોના માલિકોએ 500 રૂપિયા લેખે 53,500 રૂપિયા ભરીને જોડાણ મેળવવા માટે અરજી કરી હતી. તેમને જોડાણો કાયદેસર કરી આપવામાં આવ્યા છે. અમદાવાદમાં 8-10 લાખ ઘરમાં નળ જોડાણ ન હોવાનું અનુમાન છે. અમદાવાદમાં એક સપ્તાહ દરમિયાન 240 સર્વિસ સ્ટેશનમાં ગેરકાયદે કનેકશન કાપવામાં આવ્યા હતા. તો આખા અમદાવાદમાં કેવી સ્થિતી હશે. અમદાવાદમાં 3 એપ્રિલ, 2018થી તા. 2 મે, 2018 સુધીના પાણીના ‘અનિફટ’નમૂનાનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરના 214 સ્થળે પીવા માટે પ્રદૂષિત પાણી આવતું હતું.
રાજકોટમાં 70 હજાર કુટુંબો નળ વગર જીવે છે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં 70 હજાર ઘરોમાં ડ્રેનેજ જોડાણ જ નથી. નળ જોડાણ લેનારે પ્રથમ ડ્રેનેજ જોડાણ લેવું ફરજીયાત છે. 70 હજાર ઘરોમાં ડ્રેનેજ જોડાણ જ નથી. આખા ગુજરાતમાં 5 લાખ ઘરમાં ગટરનું જોડાણ નથી ત્યાં તેમને નળથી પાણી આપવાથી કેવી ગંદકી થશે તે અંગે વિજય રૂપાણીએ વિચાર્યું નથી. ગટર જોડાણ આપવા માટે કંઈ કર્યું નથી. ગંદકી થશે અને રોગચાળો ફેલાશે.
સુરતમાં 5 લાખ નળ જોડાણ ગેરકાયદે
સુરતમાં 5 ચોરસ મિટર અથવા અડધા ઈંચ નળ જોડાણનો 2000 જેટલો ખર્ચ થતો હતો. 16થી 25 ચોરસ મીટરનો 4000 થતો હતો હવે 1000 રૂપિયામાં, 26થી 50 ચોરસ મિટરના 6000ની જગ્યાએ 1500, 51થી 100 ચોરસ મિટર 8000ની જગ્યાએ 2000 અને 101થી 200 ચોરસ મિટરના 10 હજારની જગ્યાએ 2500 રૂપિયામાં નળ જોડાણ ખર્ચ થશે. સુરત શહેરમાં 17 લાખ નળ જોડામાંથી 5 લાખ જેટલા ગેરકાયદેસર નળ જોડાણ છે.
કડીમાં 5600 વસૂલાયા
કડી નગરપાલિકામાં ગેરકાયદેસર પાણી ખેંચતા 450થી વધુ નળ જોડાણ મળેલા છે. 152 ગેરકાયદેસર પાણી જોડાણની પાસેથી રૂ.8.50 લાખ વસૂલ કરાયા હતા. એક જોડાણ પાસેથી 5592 રૂપિયા વસૂલ કરેલા હતા.
જામનગરમાં 4 હજાર ગેરકાયદે જોડાણ
જામનગર કોર્પોરેશના વોટરવર્કસ અધિકારી પી.સી.બોખાણીની આગેવાનીમાં 14 ટીમોએ 4000 જેટલા ભૂતિયા નળ જોડાણ શોધી કાઢ્યા છે.
દ્વારકામાં પાણી માટે પોલીસ ફરિયાદ
દ્વારકાના ગોરીયારી ગામના આશાભા બુધાભા ભઠ્ઠડે પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે જોડાણ દ્વારા રૂા.25 હજાર, નાગેશ્વરના ભીખુભા કુંભાભા સુમણીયાએ રૂ.15 હજાર, જીમલાભા સમાભા માણેકે રૂા.45 હજાર, સીદાભા વલૈયાભા માણેકે રૂ.55 હજાર તથા ચાપાભા મોરભા માણેકએ રૂ.50 હજાર અને ભરતભા જેઠાભા માણેકએ રૂ.60 હજારની પાણી ચોરી કરી હતી. મીઠાપુર પોલીસે 9 લોકો સામે રૂ.3.50 લાખનું સરકારી સંપતિને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આઈપીસી કલમ 430, 431, 114 ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધેલો હતો.
18%નો સુધારો
1991 અને 2001ની વચ્ચે, ગુજરાતમાં પાઈપોથી પાણીની પહોંચમાં લગભગ 18%નો સુધારો થયો હતો. વાસ્મોને નળ જોડાણ માટે 2018માં રૂ.258 કરોડ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સરેરાશ પાઇપ સપ્લાયની 74% ની સરખામણીમાં 92 ટકા છે.