વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્ન વગેરે જેવી બદીઓની સાથોસાથ દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા સામે પણ જબરદસ્ત આંદોલન શરૂ કરેલ. આ તમામ કુરિવાજો તેમણે બંધ કરાવ્યા અને સમાજને સુધારવાના સક્ષમ પગલાઓ બદલ આજે પણ તેમને ’નવજાગૃતિના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
19 મી સદીમાં જ્યારે ટેકનૉલોજિનો ખાસ વિકાસ થયો ન હતો ત્યારે ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી તેનો સ્પષ્ટ ખ્યાલ આવતો નહીં. આથી બાળકનો જન્મ થાય પછી જો એ દીકરી હોય તો મોટા વાસણમાં દૂધ ભરીને દીકરીને ડૂબાડી દેવામા આવતી જેથી તેનો શ્વાસ રુંધાઇ જવાથી તેનું મૃત્યુ નીપજતું. જ્યારે અત્યારના આધુનિક સમયમાં ટેક્નોલોજીના વિકાસને કારણે બાળક જ્યારે ગર્ભમાં જ હોય છે તે દરમિયાન ‘સોનોગ્રાફી’ જેવી આધુનિક સિસ્ટમની મદદથી બાળકની જાતિ જાણી શકાય છે. જો ગર્ભસ્થ બાળક દીકરી હોય તો ગર્ભમાં જ તેની હત્યા કરવામાં આવે છે. ટૂંકમાં તેને આ દુનિયામાં આવવા પણ દેવામાં આવતી નથી. આ ઘટનાને આપણે ‘સ્ત્રી ભ્રૂણહત્યા’ નામથી ઓળખીએ છીએ.
લેખક દ્વારા: સમરથ કો નહીં દોષ ગુંસાઈ
કેટલાક સમાજમાં આટલા વર્ષો પછી પણ દીકરી પ્રત્યે અદેખાઈ રાખવામા અને દીકરાની ઘેલછા રાખવામા આવતી હોવાનું ધ્યાને આવે છે. વર્ષ 2016માં હું જ્યારે બાબરા ખાતે મામલતદાર તરીકે ફરજ પર હતો ત્યારે અહી એક મંદિરે પ્રાણીઓની બલી ચડાવવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસને સાથે રાખીને મે આકસ્મિક તપાસ કરતાં કેટલાક લોકો આવું પિશાચી કૃત્ય કરતાં પકડાયા પણ ખરા. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, કોઈ તાંત્રિકે કહ્યું હતું કે બકરાની બલી ચડાવીને એનું શાક બનાવીને 21 જણાને ખવરાવશો તો ભગવાન ખુશ થશે અને તો જ દીકરો આપશે. હવે વિચારો કે આ બેનને 5-5 દીકરીઓ હતી, ગરીબ પરિવાર હતો છ્ત્તા દીકરાની ઘેલછા કેવી કહેવાય કે તાંત્રિકનું માનીને આવું કારસ્તાન કરવા નીકળી પડ્યા હતા !!
આવા જ એક ભણેલ ગણેલ વ્યક્તિઓના કિસ્સામાં મારા જ એક મિત્રને ત્રણ સંતાનો છે. જે પૈકી ત્રીજું બાળક દીકરો જનમ્યો એટ્લે બસ કર્યું. એક વખત ઘરખર્ચ માટે પૈસાની જરૂર હતી ત્યારે મને ફોન કર્યો એટ્લે મે પુછ્યું કે, “ભાઈ તારો મધ્યમવર્ગી પરિવાર હોવા છ્ત્તા તે ત્રણ-ત્રણ બાળકો શા માટે પેદા કર્યા ? તે કેમ કોઈ ફેમિલી પ્લાનિંગ કર્યું નહીં ?” તો મને કહે કે, “મને અને મારી પત્ની બંનેને દીકરાની ઇચ્છા હતી. અગાઉ બંને બેબીઓના જન્મ સમયે ખૂબ પ્રયત્નો કરવા છ્ત્તા સોનોગ્રાફીમાં હું એમની જાતિ જાણવામાં નિષ્ફળ રહ્યો હતો. આ વખતે ઈશ્વરના આશીર્વાદથી બાબાનો જન્મ થયો.
મને ગુસ્સો આવ્યો અને સાથોસાથ ખૂબ જ નવાઈ પણ લાગી. કારણકે મારો એ મિત્ર વ્યવસાયે શિક્ષક છે. હવે વિચારો મિત્રો કે, શિક્ષક કે જે સમાજનું ઘડતર કરવાનું કામ કરતો હોય છે એ પણ જો દીકરો-દીકરીને એકસમાન ગણતો ન હોય તો આમ આદમી પાસેથી શું અપેક્ષા રાખવાની ? મને એ પણ નવાઈ લાગી કે, પુરુષ પોતે દીકરાનો આગ્રહ રાખે તો હજુ સમજી શકાય પરંતુ અહી તેની પત્ની પણ સ્ત્રી થઈને દીકરાના જન્મને મહત્વ આપતી હતી ! ભારતમાં કરવામાં આવેલ અભ્યાસો સ્ત્રી ભૃણહત્યા માટે જવાબદાર મુખ્ય ત્રણ કારણોનો નિર્દેશ કરે છે. (1) આર્થિક ઉપયોગિતા (2) સામાજિક ઉપયોગિતા અને (3) ધાર્મિક રિવાજો.
લેખક દ્વારા: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
કુટુંબમાં ખેત મજૂરી, ધંધા-વ્યાપાર, વેતન કમાવવા અને મોટી ઉંમરે ટેકો આપવામાં દીકરીઓ કરતા દીકરાઓની વધુ શક્યતા છે. લગ્ન બાબતે દીકરો હોય તો વહુ કુટુંબમાં વધુ એક મિલકત તરીકે આવે. જે કુટુંબને ઘરના કામોમાં મદદરૂપ થાય. દહેજના રૂપે આર્થિક વળતર પણ લાવે. જ્યારે દીકરી હોય તે તેના લગ્ન થાય એટલે તેણે સામું દહેજ આપવુ પડે. ચીનની જેમ ભારતમાં કુટુંબ પિતૃશાહી અને પિતૃસત્તાક વ્યવસ્થા છે જેથી કુટુંબનો વારસો ચાલુ રાખવા માટે એક પુત્ર જરૂરી છે. એકથી વધારે પુત્રો હોવા એ કુટુંબનો દરજ્જો વધારે છે. વધુમાં ભ્રૂણ હત્યાઓ પાછળનું સૌથી મહત્વનુ પરિબળ એ છે કે, હિંદુ પરંપરા મુજબ માત્ર દીકરાઓ જ ધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, જેનાથી સ્મશાન ક્રિયા અને આત્માની મુક્તિ માટે દીકરો હોય તે ફરજિયાત થઈ જાય છે, એવું પણ કેટલાક નાસમજ લોકો માને છે.
છેલ્લા કેટલાક સમયથી થતી સ્ત્રી ભ્રૂણહત્યાને પરિણામે પુરુષ અને સ્ત્રીની સંખ્યામાં પણ ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ 1000 પુરુષોની સરખામણિમાં સ્ત્રીઓ માત્ર 943 જ છે. આપને નવાઈ લાગશે કે, વધુ શિક્ષિત વિસ્તારો એટલે કે શહેરી વિસ્તારોમાં દર 1000 પુરૂષોએ સ્ત્રીઓનુ પ્રમાણ ખૂબ ઓછું 929 નું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા આ રેશિયો દર હજાર પુરૂષોએ 949 સ્ત્રીઓનો છે. એક તરફ જ્યારે આપણે ભારત દેશને ‘ભારતમાતા’ એટ્લે કે એક સ્ત્રીજાતિ તરીકે વિશ્વમાં ઓળખાવતા ગર્વ અનુભવીએ છીએ ત્યારે સમગ્ર એશિયા ખંડના 51 દેશોમાં જેન્ડર રેશિયોમાં ભારતનું સ્થાન 43 મું છે. જે એક વિચારતા કરી મૂકે તેવી બાબત ગણાય.
સમગ્ર દેશમાં સૌથી વધારે પુરુષ-સ્ત્રી પ્રમાણ 1000-1084 કેરળમાં જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો પુરુષ-સ્ત્રી પ્રમાણ 1000-918 નું છે. સમગ્ ભારત દેશના તમામ 33 રાજ્યોમાં આ બાબતે ગુજરાતનું સ્થાન 23 માં ક્રમે છે. આ બાબતે આપણે બિહાર જેવા પછાત રાજ્યની લગોલગ છીએ. જે ગતિશીલ ગુજરાતની નંબર 1 ની વાતો કરનારી રાજ્ય સરકાર માટે શરમજનક ગણાય. માત્ર “બેટી બચાવો, બેટી પઢાવો” ની મોટી મોટી વાતો કરવા માત્રથી કશું પરિણામ મળવાનું નથી.
લેખક દ્વારા: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)
ટેબલ નં.1: વસતિ ગણતરી 2011 મૂજબ કેટલાક શહેરોનો જેન્ડર રેશિયો અને સાક્ષરતા દર્શાવતુ ટેબલ.
શહેર | પુરુષ-સ્ત્રી પ્રમાણ | સાક્ષરતા રેટ |
સુરત | 787 | 85.53 |
અમદાવાદ | 904 | 85.31 |
આણંદ | 925 | 84.37 |
બનાસકાંઠા | 938 | 65.32 |
દાહોદ | 990 | 58.82 |
ડાંગ | 1006 | 75.16 |
ટેબલ નંબર 1 માં આપવામાં આવેલા કેટલાક 2011 વસતિ ગણતરી મુજબના આંકડાઓ પરથી આપણને જાણવા મળશે કે જ્યાં સૌથી વધુ સાક્ષરતા જોવા મળે છે ત્યાં સ્ત્રી-પુરુષ પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે અને જ્યાં સૌથી ઓછી સાક્ષરતા જોવા મળે છે ત્યાં સ્ત્રી-પુરુષ પ્રમાણ વધારે જોવા મળે છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતા સુરતમાં દર 1000 પુરૂષોએ માત્ર 787 સ્ત્રીઓ નોંધાઈ છે. જ્યારે ડાંગ જેવા એકદમ પછાત જીલ્લામાં સુરતની સરખામણીમાં સાક્ષરતા ઓછી પરંતુ 1000 પુરૂષોએ સ્ત્રીઓનુ પ્રમાણ 1006 જોવા મળે છે. દાહોદ જેવા સૌથી ઓછા સાક્ષર જિલ્લામાં પણ દર 1000 પુરૂષોએ સ્ત્રીઓનુ પ્રમાણ સુરત અને અમદાવાદ જેવા સાક્ષર જિલ્લાઓ કરતાં ઘણું વધુ 990 જોવા મળે છે.
ટૂંકમાં અહી તો સર્વેના પરિણામો એવા જોવા મળે છે કે, લોકો જેમ જેમ સાક્ષર થતાં જાય છે તેમ તેમ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધતું જાય છે. શિક્ષિત લોકો વધુ ક્રાઇમ કરી રહ્યા હોય એવું અહી ફલિત થાય છે. સમગ્ર દેશમાં હાલ હરિયાણાની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. ત્યાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોવાથી ખૂબ મોટી ઉંમર સુધી પુરૂષોને લગ્ન માટે યોગ્ય પાત્ર મળતું નથી. આમને આમ ચાલતું રહેશે તો આવનારા દિવસોમાં મહિલાઓ ઉપર થતાં છેડતી અને બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ વધતું જ જશે એ બહુ જ સ્વાભાવિક છે.