[:gj]દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?[:]

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

[:gj]આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા:

1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બમણી છે અને તેની રાજ્ય સરકારને દારૂ પરના વેરાની થતી આવક રૂ. 25,500 કરોડ છે. એટલે જો ગુજરાતના લોકો મહારાષ્ટ્રના લોકો જેટલો જ દારૂ અત્યારે પીતા હોય અથવા માની લો કે દારૂબંધી હટાવી લેવામાં આવે પછી પીવાના હોય તો, ગુજરાત સરકારને રૂ. 12,250 કરોડની જ આવક થાય, રૂ. એક લાખ કરોડની નહિ.

2. ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ રૂ. 2.14 લાખ કરોડનું છે. એટલે રૂ. 12,250 કરોડ એ કુલ બજેટના માત્ર 5.7 ટકા જેટલી રકમ જ થાય.

3. આવક વધારવા માટે લોકોને દારૂ પીવા દેવો એ કોઈ તર્ક નથી. જો સરકારની આવક વધારવી છે તો પછી ગુટખાના વેચાણ પર કેમ પ્રતિબંધ મૂક્યો? ગુટખામાં પણ સરકારને આવક તો થાય જ છે. જે સામાજિક રીતે દૂષણ છે એમ સ્વીકારીએ તો રાજ્યે તેને ડામવા માટે પગલાં લેવાં જ પડે. ચોરી ઘણી થાય છે. પણ ચોરી કરવી એ સામાજિક દૂષણ છે એમ સ્વીકારીએ છીએ માટે તેના વિરોધી કાયદો છે અને ચોરને સજા થાય છે. હવે આવક વધારવી હોય તો કાયદો કાઢી નાખો અને ચોરીની રકમ ઉપર સરકાર ટેક્સ લઈ લે!!

લેખક દ્વારા: વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ

4. સૌથી મોટી અને પ્રભાવક લાગતી દલીલ વ્યક્તિની સ્વતંત્રતાની કરવામાં આવે છે. જેને દારૂ પીવો છે એ ભલે પીએ, તેને તેમ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ એમ કહેવામાં આવે છે. તો તો ગુટખા ખાવાની, હશીશ, ગાંજો અને ચરસ કે બ્રાઉન સુગર જેવાં માદક દ્રવ્યો લેવાની પણ બધાને આઝાદી હોવી જોઈએ. એ બધાનાં ઉત્પાદન, વેચાણ અને વપરાશમાં સરકારને આવક થાય જ. આપી દો બધાની છૂટ, જેને જે કરવું હોય તે કરે.

5. ગુજરાતમાં બધે દારૂ મળે છે અને બધા પીએ જ છે એમ કહેવામાં આવે છે. આ દલીલ તદ્દન પાયા વગરની છે. બધે કપડાં, કાગળ અને કરિયાણા જેવી અનેક વસ્તુઓ વેચાય છે, દારૂ નહિ. વળી, હું દારૂ પીતો નથી અને મારા જેવા અનેક લોકો નથી પીતા, માટે એમ નહિ કહેવાનું કે બધા પીએ છે.

6. દારૂબંધી છે એટલે વિકાસ નથી થતો એમ કહેવામાં આવે છે. આ કે તે દેશી કે વિદેશી કંપનીઓ ગુજરાતમાં આવતી નથી એમ કહેવામાં આવે છે. આ વળી, એક તદ્દન વાહિયાત દલીલ છે. સમગ્ર ભારતના વિકાસ દર કરતાં ગુજરાતનો વિકાસ દર છેક 1960 થી વધારે રહ્યો છે. એટલે ખરેખર તો એમ કહેવાય કે દારૂબંધી છે એટલે ગુજરાત વિકસિત છે. નીતીશકુમારે દારૂબંધી કરી પછી ગરીબ કહેવાતા બિહારમાં પંખો, ટ્યુબ લાઈટ અને પેન કે તેમના જેવી વપરાશી ચીજોની ખરીદી વધી છે એમ ઘણા અભ્યાસો કહે છે. શું જોઈએ છે એ તો કહો: ઘરમાં પંખો જોઈએ છે કે દારૂ?

7. સામાજિક રીતે મહિલાઓ અને બાળકો પરિવારમાં અને પરિવારની બહાર દારૂબંધી હોવાથી વધુ સુરક્ષા અનુભવે છે એ મોટી હકીકતને કેવી રીતે નજરઅંદાજ કરી શકાય?

લેખક દ્વારા: હિન્દી દિવસ: ભાષાકીય દંભનો દિવસ

8. દારૂબંધીના કાયદાનો અમલ નથી બરાબર થતો એટલે દારૂબંધી કાઢી નાખવી જોઈએ એમ સતત કહેવામાં આવે છે. તો કડક અમલ કરો ને, કોણ ના પાડે છે. પક્ષ ગમે તે હોય, કડક અમલની ઇચ્છાશક્તિનો અભાવ હોય છે. ગુજરાતના ગૃહ પ્રધાન એમ કહે છે કે સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. જરા કટિબદ્ધતા બતાવે તો સારું. બોલો છો તો કરી દેખાડો. ભ્રષ્ટાચાર બંધ કરો, પોલિસને કાયદા મુજબ કામ કરવા દો અને એની કામગીરીમાં રાજકીય ઘોંચપરોણાં ના કરો. કાયદાને કાયદાનું કામ કરવા દો.

9. એમ તો ખૂન, બળાત્કાર, ચોરી બહુ થાય છે, જુગાર બહુ રમાય છે, ક્રિકેટનો કે બીજો બધો સટ્ટો બહુ ખેલાય છે. માટે આ બધામાં સજા કરતા કાયદા જ કાઢી નાખો એમ કેમ દારૂબંધી કાઢવાની તરફેણ કરનારા કહેતા નથી?

10. પહેલાં દારૂ પીઓ, પછી કેન્સર થાય તો હોસ્પિટલો, ડોક્ટરો, નર્સો, મેડિકલ કોલેજો , દવાઓ અને ઓપરેશન નાં સાધનો પેદા કરો અને જીડીપી વધારો. આને શું ખાક વિકાસ કહેવાય? લિવરના કેન્સરથી માણસને મારવાનો એને વિકાસ કહેવાય?

11. અને છેલ્લે, ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ-૪૭ માદક દ્રવ્યો પર પ્રતિબંધની વાત કરે છે. એટલે ગુજરાત બંધારણનું પાલન કરે છે એમ કહેવાય. ગાંધીજીએ કહ્યું કે ના કહ્યું એ મહત્ત્વનું નથી, બંધારણ કહે છે તે મહત્ત્વનું છે. બીજાં રાજ્યોને જે કરવું હોય તે કરે. એમની નકલ કરવી હોય તો એમ કરોને કે દિલ્લીમાં જેવી શાળાઓ અને દવાખાનાં સરકારે બનાવ્યાં છે એવાં ગુજરાત સરકાર બનાવશે.

પ્રો.હેમંતકુમાર શાહ

લેખક દ્વારા: આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?

[:]