કરવેરા ભરતા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર અને અક્ષમ્ય બેદરકારી બહાર આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની અક્ષમ્ય બેદરકારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એકબાજુ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરીને ઉત્સવો ઉજવી વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે. પરંતુ બીજી બાજુ નાગરિકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યાં છે. બીજીબાજુ કોર્પોરેશનના અધિકારીઓ કેવી બેદરકારી દાખવી રહ્યા છે. દૂધેશ્વર વોટરવર્ક્સમાં આવેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકીના સ્લેબમાં ગાબડાં પડ્યા છે. જે અત્યંત ગંભીર બાબત હોવા છતાં અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવી રહી છે.
પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ અને વાઈબ્રન્ટ ગુજરાત જેવા કરોડો રૂપિયાના ખર્ચ કરીને સરકાર તાયફાઓ કરી રહી છે. તાયફાઓ કરીને વિકાસના મોટામોટા દાવા કરાઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તાયફાઓમાં વાહવાહી મેળવતા અને સરકારના છૂપા આશીર્વાદ મેળવનાર સરકારી અધિકારીઓ કેવી અક્ષમ્ય બેદરકારી દાખવતા હોય છે. તેની સાબિતી આપતી ઘટના અમદાવાદના દૂધેશ્વર વોટર વર્કસમાં જોવા મળી રહી છે. દૂધેશ્વરના વોટર વર્કસ હાઈલી રીસ્ટ્રિક્ટેડ એરિયા છે. જ્યાં સામાન્ય નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અન્ડરગ્રાઉન્ડ ટાંકીના સ્લેબ પર મોટું ગાબડું પડ્યું છે. જે ગાબડું દિવસે દિવસે મોટું થતું જાય છે. ચારેબાજુ વનરાજી અને ઝાડ-છોડ-ઝાંખરા હોવાથી ઝેરી સાપ સતત ફરતા રહે છે. કૂતરાં પણ વોટરવર્ક એરિયામાં રખડતા જોવા મળે છે. ચોંકાવનારી બાબત એ છે કે ગાબડાંના કારણે કોઈ પશુ, કોઈ વ્યક્તિ કે સાપ જેવા જીવજંતુ ટાંકીમાં પડી જાય તો.તેનો કોહવાયેલો મૃતદેહ વેક્યૂમ થઈને ઉપર ટાંકીમાં જતો રહે. મૃતદેહના અવશેષો પાણીમાં ભળી જાય. જે દૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય તો ભયાનક રોગચાળો પણ ફેલાય તેવી દહેશત નકારી શકાય તેમ નથી. વોટર વર્કસની પાછળ રહેતા લોકોના ઘરોમાં અવારનવાર ઝેરી સાપ-નાગ પહોંચી જાય છે. અન્ડરગ્રાઉન્ડ ટાંકીના સ્લેબ પર ગાબડાં અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ કોઈ ગંભીરતા દાખવતા નથી.
ચોંકાવનારી અને સનસનીખેજ બાબત એ છે કે ખખડધજ સ્લેબ પર જીવના જોખમે કર્મચારીઓ મજબૂરીવશ તેમના જીવને જોખમમાં મુકી ફરજ બજાવી રહ્યા છે. જો કર્મચારી ફરજ દરમિયાન ગાબડાંના કારણે અંદર પડી જાય તો તે કલ્પના જ ધ્રુજાવનારી છે. તાયફાઓ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરનાર સરકારી તંત્ર પાસે અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ નવો નાખવાના રૂપિયા કે ફંડ નથી. સરકારના આશીર્વાદ મેળવવા માટે સરકારી અધિકારીઓ ગંભીરતા દાખવી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે વોટરવર્કસનાં મુખ્ય દરવાજા પર સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરાયા છે, પણ પાછળનો ભાગ રામ ભરોસે છે. જ્યાં કોઈપણ ભાંગફોડીયા તત્વો સરળતાથી અંદર ઘૂસી જાય તેવી પરિસ્થિતિ છે.