ગાંધીનગર, તા. 08
દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ જ તર્જ પર સરકારી શાળાઓને મર્જ કરવાની વિચારણા શરૂ કરી છે. ધો. 1થી 5માં જે શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા 30થી ઓછી હશે એવી શાળાઓને અન્ય શાળામાં વિલિન કરવામાં આવશે.
કઈ શાળાઓને મર્જ કરાશે?
આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધો. 1થી 5માં શાળાઓની વર્ગદીઠ સંખ્યા જો 30થી ઓછી હશે તો એવી શાળાઓને અન્ય શાળામાં વિલિન કરવામાં આવશે. આવી જ રીતે ધો. 6 અને 7માં જો વિદ્યાર્થીઓની સંખ્યા 17 કે તેથી ઓછી હશે તો તેવી શાળાઓને પણ અન્ય શાળાઓમાં મર્જ કરવાની તજવીજ સરકાર દ્વારા હાથ ધરાઈ છે. જેમાં અમદાવાદ શહેરની અંદાજે 52 પ્રાથમિક શાળાઓને નજીકમાં આવેલી અન્ય શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભેળવી દેવામાં આવશે.
એક કિ.મીના અંતરે આવેલી શાળાઓનું વિલિનીકરણ કરાશે
આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, રાજ્યભરમાં એવી ઘણી સરકારી શાળાઓ છે જે એક કિલોમીટર કે તેનાથી ઓછા અંતરે આવેલી છે. આવી શાળાઓને એકબીજા સાથે વિલિન કરવાની વિચારણા સરકારે કરી છે. તેમણે ઉમેર્યું કે, આવી બન્ને શાળાઓની સંખ્યા ઓછી હોય અથવા અપૂરતી સંખ્યા હોય તો તેને વિલિન કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. અને આવી શાળાઓનો સરવે શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. અને આવનારા દિવસોમાં સરવે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર આવી શાળાઓનું વિલિનીકરણ કરશે.
સરવે પૂર્ણ થયા બાદ આખરી નિર્ણય
શિક્ષણ વિભાગના એક અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું કે, વિભાગ પાસે જે વિગતો છે તેનાં આધારે આ યાદી તૈયાર થઈ રહી છે, પરંતુ આ બાબતમાં એ ખ્યાલ રાખવામાં આવશે કે કોઈ સ્કૂલમાં માત્ર પાંચ બાળકો પણ અભ્યાસ કરતાં હશે અને અન્ય સ્કૂલમાં ભણવા જવામાં બાળકોને તકલીફ સર્જાતી હશે તો તેવી સ્કૂલોને ચાલું જ રાખવામાં આવશે. સર્વે પૂર્ણ થયાં બાદ સ્કૂલ મર્જ કરવી કે નહિ તે અંગે સરકાર આખરી નિર્ણય કરશે.
કેમ કરાશે વિલિનીકરણ?
રાજ્ય સરકાર દ્વારા જે રીતે સરકારી પ્રાથમિક શાળાઓનું વિલિનીકરણ કરવાનો સરવે હાથ ધરાયો છે તેની પાછળ આ શાળાઓમાં અપૂરતી સંખ્યા તો જવાબદાર છે. પરંતુ બીજું એવું પણ કારણ છે કે, સરકારી શાળાઓમાં વર્ષોથી શિક્ષકોની ઘટ પણ છે. આ ઘટ પૂર્ણ કરવા સરકારે અનેકવાર પ્રયાસો કર્યા છતાં તે જગ્યાઓ ભરાતી નથી ત્યારે તેમ જ શાળાઓનું વ્યવસ્થાપન કરવામાં પણ અગવડતા પડતી હોવાનું કારણ જવાબદાર ગણાવાઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો રાજ્યની સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી વર્ષોથી સરકાર દ્વારા હાથ ધરાય છે. જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે વર્ષ 2003માં શરૂઆત કરી હતી. જે બાદ દર વર્ષે યોજાતા આ શૈક્ષણિક મેળાવડામાં સરકાર પોતાની બધી જ મશીનરી કામે લગાડતી રહી છે. જોકે, ક્યારેય 100 ટકાનો આંકડો મળ્યો નથી. ગત વર્ષે પણ 94 ટકા વિદ્યાર્થીઓએ પ્રાથમિક સ્કૂલમાં એડમિશન લીધું હતું. આ સંજોગોમાં રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન થવાના કારણે આ નિર્ણય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કેવી રીતે કઢાય છે પ્રવેશોત્સવનો અંદાજિત આંકડો?
સામાન્ય રીતે શાળામાં પ્રવેશ માટેના સરકારે ચોક્કસ નિયમો ઘડી કાઢ્યા છે અને તે મુજબ આંકડાકીય માહિતી મેળવવા માટે રાજ્ય સરકાર રાજ્યનો જન્મદર અને નવજાતનો મોર્ટાલિટી રેશિયો ધ્યાને રાખી અને પાંચ વર્ષે બાળક સ્કૂલમાં બેસાડવામાં આવે છે. તેના આધારે સરકાર એક ચોક્કસ અંદાજિત આંકડો તૈયાર કરે છે. જેના આધારે કેટલાં એડમિશન થયા અને તેની ટકાવારી કાઢવામાં આવે છે. વર્ષ 2019માં કુલ 12.09 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ ધોરણમાં દાખલ થયા છે. જેમાં 4.6 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં, 94,202 વિદ્યાર્થીઓ આરટીઈ શાળામાં અને 6.59 લાખ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.