શંકરસિંહ નવી સેના બનાવશે પણ આવશે કોણ

પૂર્વ મુખ્યપ્રધાન અને વારંવાર બળવો કરીને પાર્ટીઓ બદલનારા શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાઇ ગયા બાદ તેમણે શક્તિ દળ જેવું નવું દળ બનાવવાની રાજકોટમાં જાહેરાત કરી હતી. તેઓ નવી સેના બનાવશે પણ અગાઉના અનુભવોના આધારે હવે તેમની સાથે કોણ જોડાશે એ એક સવાલ છે.

શંકરસિંહ અમદાવાદમાં શરદ પવાર, પ્રફૂલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં એનસીપીમાં જોડાયા છે, અને તેમને જનરલ સેેક્રેટરીની જવાબદારી આપવામાં આવી છે, તેમને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે લોકોને ભાજપના ત્રાસમાંથી મુક્તિ આપવાની છે.

થોડા દિવસ પહેલા જ બાપુ એનસીપીમાં જશે તેવા સમાચાર હતા અને આજે તેઓ જોડાઇ ગયા છે, અગાઉ તેઓ કોંગ્રેસમાંથી નારાજ થઇને પાર્ટી છોડી દીધી હતી, ત્યાર બાદ વિધાનસભા ચૂંટણીમાં જનવિકલ્પ પાર્ટીના સલાહકાર બન્યાં હતા, જો કે આ પાર્ટી તેમને જ ઉભી કરી હતી.

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાતા આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઇ શકે છે, એનસીપી ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખી શકે છે, શંકરસિંહ વાઘેલા ગોધરા અથવા સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે, ત્યારે હવે આગામી લોકસભામાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી બાપુ કોને ફાયદો કરાવે છે તે જોવું રહ્યું.

શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં થયો હતો, ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટ્સમાં અનુસ્નાતક થયેલા વાઘેલા 1964માં આરએસએસ અને ત્યાર બાદ 1969માં ભારતીય જનસંઘ(ભાજપ)માં જોડાયા હતા, શંકરસિંહ 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચ વાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે, તેમજ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા,13મી વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી પણ સંભાળી હતી, 1996માં ભાજપમાં બળવો કર્યા બાદ શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી,ત્યાર બાદ બાપુએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં બળવો કર્યો હતો અને જનવિકલ્પ પાર્ટી બનાવીને 100 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જો કે તેમને એક પણ બેઠક મળી ન હતી, અને હવે તેઓ એનસીપીમાં જોડાયા છે.