અમદાવાદ, તા. 10
ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.
અમદાવાદમાં શાકભાજીના ભાવ
શાકભાજી હોલસેલ (રૂપિયા પ્રતિ કિલો) છૂટક (રૂપિયા પ્રતિ કિલો)
ટામેટા 35થી 40 80થી 90
કોબી 18થી 20 100થી 120
ફૂલાવર 25થી 30 100થી 110
દૂધી 20થી 25 100થી 120
રીંગણા 25થી 30 90થી 100
ભીંડા 20થી 25 70થી 80
કારેલા 15થી 20 80થી 100
કોથમીર 35થી 60 125થી 150
શાકભાજીના વેપારીઓની દલીલ
વધી રહેલા શાકભાજીના ભાવ અંગે હોલસેલ શાકભાજીના વેપારી અહેમદ પટેલ દલીલ કરી રહ્યાં છે કે, ચાલુ વર્ષે જે રીતે વરસાદ થયો છે તેના કારણે શાકભાજીના પાકને પારાવાર નુકશાન થયું છે. અને તેના કારણે બજારમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે. અને તેના કારણે ભાવ વધારો કરવાની અમને ફરજ પડી છે.
શાકભાજીના જથ્થાબંધ વેપારીઓની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવે તો પણ જે ભાવ જથ્થાબંધ માર્કેટમાં છે તેના કરતા છૂટક વેચનારા વેપારીઓ બેથી ત્રણ ગણો ભાવવધારો લેતા હોય છે. તેમનો ભાવ પર વિસ્તાર પ્રમાણે હોય છે. કારણ કે તેમના પર શાકભાજીના ભાવો લેવા પર કોઈ નિયંત્રણ નથી રહેતું.