[:gj]સરકારની આખી યોજના અધિકારીઓ ખાઈ ગયા[:]

[:gj]- ગૌતમ ઠાકર

ગુજરાત સરકારે ગયા મે-જુન માસમાં ચલાવેલા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનમાં ખરેખર કેટલું કામ કેટલા ખર્ચે થયું તેની સાચી વિગતો છુપાવીને ગુજરાતની છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી છે. નીતિ આયોગની સંચાલન સમિતિમાં તા. 17-6-2018ના રોજ મુખ્ય પ્રધાને એમ જણાવ્યું હતું કે સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતની 32 નદીઓ પુનર્જીવિત કરી છે અને તેમણે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને તે જોવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. પરંતુ આ નદીઓ કઈ, તે ગુજરાત સરકારે હજુ સુધી કહ્યું જ નથી. સરકારની કોઈ જ વેબ સાઈટ પર આ નદીઓનાં નામ આપવામાં પણ આવ્યાં નથી કે જ્યારે મુખ્ય પ્રધાને અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે એમ કહ્યું હતું કે આ અભિયાનનો હિસાબ સંપૂર્ણપણે પારદર્શક રહેશે.

અત્યારે તો વરસાદ આવ્યો એટલે આ નદીઓમાં પાણી આવ્યાં જ છે અને આપોઆપ જ તે પુનર્જીવિત થઇ ગઈ છે, પણ જ્યારે જળ સંચય અભિયાન ગયા જુન મહિનામાં પૂરું થયું ત્યારે તો નદીઓ કેવી રીતે પુનર્જીવિત થઇ હતી તેની વિગતો સરકારે આપી નહોતી. સરકારે ખાડા ખોદવાનો અને ખોદાયેલા ખાડા પૂરવાનો જ કાર્યક્રમ ચલાવ્યો છે.

વળી, જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતે તા. 29-04-2018ના રોજ એમ જાહેર કર્યું હતું કે સરકાર જળ સંચય અભિયાનના હિસાબો લોકો સમક્ષ જાહેર કરશે. પણ હજુ સુધી અભિયાનનો કોઇ હિસાબ જાહેર કરવામાં આવ્યો નથી. મુખ્ય મંત્રી પાસે આ હિસાબ માંગતો પત્ર લખવામાં આવ્યો તો પણ તેમણે હિસાબ આપ્યો નથી. અરજીના જવાબમાં મુખ્ય મંત્રીના કાર્યાલયના ઉપસચિવે ખો આપીને એમ કહ્યું કે આ અંગે રાજ્ય સરકારના નર્મદા વિભાગનો સંપર્ક કરવો. ઉપસચિવે પોતે તા.28-06-2018ના રોજ રાજ્ય સરકારના જ નર્મદા વિભાગને પત્ર લખીને આ હિસાબ અમને આપવા જણાવ્યું હતું પણ આજે એક મહિનો થવા છતાં તેનો કોઈ હિસાબ અમને આપવામાં આવ્યો નથી. જુન મહિનામાં જળ સંચય અભિયાન પૂરું થયું ત્યારે સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી પણ તેના કોઈ હિસાબો લોકોને વચન આપ્યું હોવા છતાં આપ્યા જ નથી.

આને પરિણામે એ દીવા જેવું સ્પષ્ટ થાય છે કે સરકારે આ આખું અભિયાન ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું જે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું તેને છાવરવા માટે અને તેના પર ઢાંકપિછોડો કરવા માટે જ શરૂ કર્યું હતું અને ચલાવ્યું હતું. મુખ્ય મંત્રીએ જાતે જ એમ કહ્યું હતું કે જળ સંચય અભિયાનમાં કોઈ ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહિ અને તેના ખર્ચના હિસાબો તરત જ જાહેર કરવામાં આવશે, પણ એવા કોઈ હિસાબો હજુ સુધી જાહેર કરાયા નથી અને માગવા છતાં આપવામાં આવ્યા નથી. આમ, ગુજરાતના મુખ્ય મંત્રી નીતિ આયોગની સંચાલન સમિતિમાં વડા પ્રધાન અને તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સમક્ષ જૂઠું બોલ્યા છે અને એ રીતે તેમણે આખા દેશને છેતર્યો છે.

મહત્ત્વનું એ પણ છે કે સરકારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું કૌભાંડ બહાર આવ્યા પછી એ નિગમની કામગીરી સ્થગિત કરી દીધી હતી અને તેની બધી કામગીરી નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગને સોંપી દીધી હતી. પણ સરકારની ફરજ છે કે તે આ કૌભાંડના સંદર્ભમાં કડકમાં કડક પગલાં લે પણ એવાં કોઈ પગલાં તેણે લીધાં હોવાનું નાગરિકોની જાણમાં આવ્યું નથી. જમીન વિકાસ નિગમના ચેરમેન તો આઈએએસ અધિકારી હોય છે તો તેમની સામે કયાં પગલાં લેવાયાં તેની જાણ પણ સરકારે નાગરિકોને કરી નથી.

જમીન વિકાસ નિગમનું આ જે કૌભાંડ છે તે તો તદ્દન નવતર પ્રકારના ભ્રષ્ટાચારવાળું છે. તેમાં સરકારની આખી યોજના જ નિગમના અધિકારીઓ ખાઈ ગયા છે. તેનો અર્થ એ થાય છે કે આ મામલો વ્યક્તિગત ભ્રષ્ટાચારનો નથી પણ સામૂહિક કૌભાંડનો જ છે. કદાચ સરકાર તેથી જ કોઈ પગલાં લેતી નથી એમ લાગે છે. જળ સંચય અભિયાન ચલાવીને સરકારે પોતે જ ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો કર્યો હતો. જૂનું કૌભાંડ ઢાંક્યું અને નવું કૌભાંડ કર્યું.[:]