મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 7
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
મરાઠાઓએ લીધેલ અમદાવાદનો કબજો તથા મુલકગીરી ચડાઈઓ
પેશવા અને ગાયક્વાડ વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ગુજરાતમાંથી મુઘલ સત્તાના અંતની પ્રક્રિયા ઝડપી બની. નિશ્ચિત કર્યા મુજબ દમાજી ગાયકવાડ તથા પેશવાના ભાઈ રઘુનાથરાવ (રાઘોબા)નાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદ પર આક્રમણ કર્યું. તેઓએ ૪પ દિવસના ઘેરા બાદ એપ્રિલ ૧૭૫૩માં અમદાવાદ કબજે કર્યું હતું. જવાંમર્દખાને ભદ્રનો કિલ્લો ખાલી કર્યો હતો. એને પાટણની સૂબાગીરી ભોગવવાની છૂટ આપવામાં આવી હતી. રાઘોબાએ વિઠ્ઠલ શિવદેવને અમદાવાદ શહેરના વહીવટકર્તા તરીકે નિયુક્ત કર્યો તથા થયેલી સમજૂતી પ્રમાણે રાઘોબા અને દમાજીએ સૌરાષ્ટ્રના જુદા જુદા મહાલો પર મુલકગીરી ચડાઈઓ કરીને પુષ્કળ રકમ એકઠી કરી તથા આ પ્રદેશોમાં મરાઠાઓનું વર્ચસ્વ સ્થાપ્યું. આમ ૧૭૫૪ સુધીમાં જૂનાગઢ, વાડાસિનોર, રાધનપુર, પાટણ, ખંભાત, ભરુચ તથા સુરત બાદ કરતાં ગુજરાતના બાકીના મોટા ભાગના પ્રદેશો પર મરાઠાઓનું આધિપત્ય સ્થાપ્યું હતું.
અમદાવાદ ખોયું અને પાછું મેળવ્યું
અમદાવાદ તાબે કર્યા બાદ ખંભાતના સૂબેદાર મોમીનખાનને પણ મરાઠાઓએ ખંડણી અને ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણીની રકમ આપવા ફરજ પાડી હતી. આથી મોમીનખાન નારાજ થયો હતો અને એ અમદાવાદ કબજે કરવાની યોગ્ય તક શોધતો હતો. દમાજી અને રાઘોબા મુલકગીરી — ચડાઈઓ પર ગયા એનો લાભ લઈને મોમીનખાને અમદાવાદ તાબે કરવાની યોજના ઘડી. અમદાવાદના મુખ્ય લશ્કરી અધિકારીઓ બ્રાહ્મણ શંભુરામ તથા રોહિલા સરદાર મુહમ્મદ લાલને મોટી લાંચ આપીને મોમીનખાને ફોડ્યા. અમદાવાદની કોળી ટુકડીના મુખ્ય નેતા હરિને પણ સારી એવી રકમની લાંચ આપીને મોમીનખાને પોતાના પક્ષ લીધો.
ત્યારબાદ અમદાવાદના એ સમયના મરાઠા વહીવટકર્તા રઘુની સપ્ટેમ્બર ૧૭૫૬માં મુહમ્મદ લાલે હત્યા કરી. આ સંજોગોમાં પેશવાના પ્રતિનિધિ સદાશિવ દામોદર તથા ગાયકવાડના પ્રતિનિધિ સેવકરામનો અમદાવાદને બચાવવાનો પ્રયાસ સફળ થઈ શક્યો નહિ અને મોમીનખાને ઑક્ટોબર ૧૭૫૬માં એનો કબજો લીધો. આ બનાવ દર્શાવે છે કે મરાઠાઓ ગુજરાતમાં વિસ્તરી શક્યા હતા , પરંતુ પોતાની સત્તા દઢ કરી શક્યા ન હતા.
ઉપર્યુક્ત હકીક્તની પેશવા બાલાજી બાજીરાવને જાણ થતાં એ ગુસ્સે ભરાયો અને પોતાના સેનાપતિ સદાશિવ રામચંદ્રને મોટા લશ્કર સાથે ગુજરાતમાં મોકલ્યો તથા એણે દમાજીને એની સાથે જોડાવા આદેશ આપ્યો , માજી પણ તોપો અને લકર સાથે સદાશિવની સહાયે આવ્યો. મોમીનખાને અમદાવાદના બચાવ માટે ભારે તૈયારીઓ કરી હતી. એણે એક વર્ષ ચાલે તેટલો પુરવઠો શહેરમાં ભરી રાખ્યો હતો. તથા કોટ અને દરવાજા પર મજબૂત ચોકી – પહેરો મૂક્યો હતો. એ નોંધપાત્ર છે કે પાટણના સૂબેદાર જવાંમર્દખાને મરાઠાઓને મદદ કરી છતાં મોમીનખાને મરાઠાઓના આક્રમણ સામે આશરે એક વર્ષ સુધી અમદાવાદને ટકાવી રાખ્યું, પરંતુ ત્યારબાદ શહેરનો પુરવઠો ખૂટી પડતાં એને મરાઠાઓને તાબે થવાની ફરજ પડી (ફેબ્રુઆરી, ૧૭૫૮) , આમ અમદાવાદ ૧૭૫૮માં મરાઠાઓ હસ્તક આવ્યું , જે છેક હિંદમાંની મરાઠી સત્તાના અંત (૧૮૧૮) પર્યત પેશવાના પ્રતિનિધિ હસ્તક રહ્યું હતું.
નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.