પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021

ભાજપ ઝોન અને જિલ્લા લેવલે બેઠકો કરીને જેમને ટિકિટ નથી મળી તેવા નેતાઓને કામ સોંપશે. જોકે, કયા પ્રકારનું કામ હશે તેનો ફોડ તેમણે પાડ્યો નથી. જોકે, આ પ્રકારની બેઠકો કરવી પડે તે વાત જ દર્શાવે છે કે પાર્ટીને એવો ખ્યાલ છે કે આંતરિક વિરોધને ડામવો જરૂરી છે. નહીં તો અંદર-અંદર એકબીજાને હરાવવાની કોશિશ થઇ શકે છે. પાર્ટીને એ ખ્યાલ છે કે આ નવા નિયમોથી આંતરિક ખટરાગ ઉભો થશે. તેને ડામવા માટેની તૈયારીઓ પણ પહેલાથી કરી રાખી છે.

જે લોકોને ટિકિટ નથી મળી તેમને પાર્ટી તેમના અનુભવ મુજબ કામ સોંપશે.

શું વિધાનસભા અને લોકસભામાં પણ આવા નિયમો આવશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેની સત્તા રાજ્યની પાર્લામેન્ટરી બોર્ડ પાસે નથી એટલે તે અંગે કઇં કહી શકે. આ ઉપરાંત પાટીદારોને વધુ ટિકિટ આપવાની વાત પર તેમણે કહ્યું કે તે બાબતે તેમણે કોઇ જવાબ આપવાની જરૂર નથી.

પાટિલે પદાધિકારીઓને ટિકિટ આપવા બાબતે પણ સ્પષ્ટતા કરી કે કોઇ કોઇ વ્યક્તિ પાર્ટીમાં હોદ્દા પર છે અને તેને ટિકિટ મળે છે તો તેને હોદ્દો છોડવો પડશે. હોદ્દો છોડયા પછી તેમને ફરીથી તે હોદ્દો મળી શકશે નહીં. દરેક ઉમેદવારે શુક્રવારે વિજય મુહુર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જવાનું છે. તેઓ કોવિડના નિયમોનું પાલન કરીને જ ઉમેદવારી પત્રક ભરવા માટે જશે.