ખેડૂતોએ મગફળીના વાવેતરમાં 100 ટકાનો વધારો કરી બતાવ્યો, કયા પરિવર્તન આવી રહ્યાં છે

અમદાવાદ, 26 જૂન 2020

15.40 લાખ હેક્ટરમાં ગયા વર્ષે મગફળીનું વાવેતર થયું હતું. તેની સામે અત્યારે 12થી 14 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આમ 80-85 ટકા વાવેતર થઈ ગયું છે. આ વર્ષે ખેડૂતો મગફળી ઉગાડવામાં ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. તેની પાછળનું મહત્વનું કારણ તો ખેતીની નફાકારકતાં જ હોઈ શકે છે. ગયા વર્ષે સારા ભાવ મળેલા હોય તો આ વખતે ખેતીમાં તે પાકનું વાવેતર વધું થતું હોય છે. આવું મગફળીમાં જોવા મળે છે.

ગુજરાતમાં કોઈ પણ પાકમાં મગફળી તરફ સૌથી વધું ટ્રેન્ડ ખેડૂતોમાં આ મોસમમાં જોવા મળી રહ્યો છે. બીજા 52 પ્રકારના પાક કરતાં મગફળી આ વખતે ટોચ પર છે. જે 17 લાખ હેક્ટરની આસપાસ વાવેતર થઈ શકે છે. ખેડૂતો મગફળી તરફ કેમ વધું આકર્ષાઈ રહ્યાં છે તેની પાછળનું બીજું કારણ કપાસ છે. કપાસના ભાવ ગયા વર્ષે ખેડૂતોને પૂરતાં મળ્યા નથી. તેથી આ વર્ષે કપાસનું વાવેતર કરવાનનું ખેડૂતોએ પસંદ કર્યું નથી. તેના સ્થાને મગફળી તરફનો ટ્રેન્ડ વધું જોવા મળી રહ્યો છે.

મગફળીના વાવેતરમાં 2003-4માં 45.77 લાખ હેક્ટર વિસ્તારનો વિક્રમ છે. જે આ વર્ષે સારું ચોમાસું હોવા છતાં તૂટે એવું લાગતું નથી. 1949-50ના વર્ષમાં 4.72 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થતું હતું. હેક્ટરે માંડ 504 કિલો હેક્ટરે મગફળી પાકતી હતી.

10 વર્ષ પહેલા 18.22 લાખ હેક્ટરમાં મગફળી થઈ હતી. જેમાં હેક્ટરે 964 કિલો મગફળી પાકતી હતી. આમ વાવેતર વધવાની સાથે ઉત્પાદકતાં પણ વધી હતી.

આ સમયગાળા દરમિયાન મગફળીનું વાવેતર 6 લાખ હેક્ટર હતું. પણ 2020ના ચોમાસામાં સમય કરતાં વહેલો વરસાદ થતાં વાવેતર 12 લાખ હેક્ટર 22 જૂન સુધીમાં થઈ ગયું છે. આમ 100 ટકાનો વધારો મગફળીના વાવેતરમાં જોવા મળે છે. આ પાછળનું બીજું એક કારણ ખેડૂતો એવું કહે છે કે, ગયા વર્ષે સારા વરસાદ હતા અને ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ સારી રીતે થયો હતો. તે ચોમાસા પહેલાં આગોતરું વાવેતર કે ઓરવણું સારા પ્રમાણમાં થઈ શક્યું હતું.