લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન રૂપાણીએ લઘુમતીઓને આર્થિક બેહાલ કર્યા

Rupani, the Chief Minister of Minority Religions, made the minorities economically destitute

ગાંધીનગર, 19 માર્ચ, 2021

વિધાનસભા ગૃહમાં સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે ચર્ચામાં ભાગ લેતાં લઘુમતીઓની વાત કરતાં જણાવ્‍યું હતું કે, અગાઉના વર્ષોમાં લઘુમતીઓના કલ્‍યાણ માટે બજેટમાં પૂરતી જોગવાઈ થતી હતી અને તે પૈકી પૂરેપૂરી રકમ વપરાતી પણ હતી. રાજ્‍યનું બજેટનું કદ વર્ષોવર્ષ વધતું જાય છે, રાજ્‍યની વસ્‍તી પણ ઉત્તરોત્તર વધતી જાય છે.

રાજ્‍યનું બજેટ અને વસ્‍તીને ધ્‍યાને લઈ, જૈન સમાજનો પણ જ્‍યારે લઘુમતીઓમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે ત્‍યારે લઘુમતી સમાજના વિકાસ માટે ઉત્તરોત્તર જોગવાઈ વધવી જોઈએ, પરંતુ તેમ ન થતાં આ જોગવાઈમાં વર્ષોવર્ષ ઘટાડો થઈ રહ્‌યો છે અને જોગવાઈ કરેલ રકમ પૈકી પણ પૂરતી રકમ વપરાતી નથી.

લઘુમતીઓના વિકાસ માટે રાજ્‍ય સરકારે વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં રૂ. ૬૫.૧૬ કરોડની જોગવાઈ કરેલ હતી, જેની સામે રૂ. ૧૨.૯૪ કરોડ જેટલી રકમ વણવપરાયેલ રહી અને વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂ. ૧૦૪.૩૬ કરોડની જોગવાઈ સામે રૂ. ૭૬.૮૦ કરોડની રકમ વણવપરાયેલ રહી છે. લઘુમતીઓના કલ્‍યાણ માટે વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં માત્ર રૂ. ૭૧.૬૧ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, જે જોગવાઈ વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂ. ૧૦૪.૩૬ કરોડ હતી. આમ, ચાલુ વર્ષે રૂ. ૩૨ કરોડની જોગવાઈ ઓછી કરવામાં આવી છે. રાજ્‍યમાં લઘુમતીઓની વસ્‍તીના આધારે બજેટમાં ફાળવણી કરવી જોઈએ તેવી માંગણી શેખે સરકાર સમક્ષ કરી હતી.

ગ્‍યાસુદ્દીન શેખ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદી એમ કહે છે કે, એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્‍પ્‍યુટર હોવું જોઈએ. તો મારી સરકારને વિનંતી છે કે, તાત્‍કાલિક રાજ્‍યમાં મદ્રેસા બોર્ડની રચના કરવામાં આવે અને સ્‍વેચ્‍છાએ જે મદ્રેસાના સંચાલકો આધુનિક શિક્ષણ આપવા માંગતા હોય તો તેમને ગ્રાન્‍ટેબલ શાળાની મંજૂરી સીંગલ વિન્‍ડો સીસ્‍ટમ દ્વારા આપવામાં આવે. આવી મદ્રેસાના સંચાલકો પાસે તમામ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર તૈયાર છે ત્‍યારે સરકારને ફક્‍ત તેના માટે ગ્રાન્‍ટ અને મંજૂરી જ આપવાની રહેશે.
શેખે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનના ૧૫ મુદ્દા કાર્યક્રમમાં લઘુમતીઓને આવાસ ફાળવવાની બાબતનો સમાવેશ કરવામાં આવેલ છે ત્‍યારે વડોદરામાં બની હતી તેવા ઘટના રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોમાં ન બને તે માટે લઘુમતીઓ સારૂ તેમના વિસ્‍તારની આજુબાજુના વિસ્‍તારમાં જ એફોર્ડેબલ હાઉસીંગ સ્‍કીમ બનાવવી જોઈએ.
શેખે જણાવ્‍યું હતું કે, ગુજરાત લઘુમતી બોર્ડમાંથી ગુજરાત અલ્‍પ સંખ્‍યક નાણાં અને વિકાસ નિગમમાં ફેરવવા છતાં નિગમને ૨૧ વર્ષે પણ કાયમી સ્‍ટાફનું માળખું મળી શક્‍યું નથી. રાષ્‍ટ્રીય નિગમની ગાઈડલાઈન મુજબ રૂ. ૩૦ લાખ સુધીનું ધિરાણ કરવા માટે રાજ્‍યના નિગમને માર્ગદર્શન આપેલ છે છતાં નિગમ રૂ. ૫ લાખ કરતાં વધુની લોન આપવા માટે કોઈ અરજી ફોર્મ કે પ્રક્રિયા જાહેર કરવામાં આવી નથી.
શેખે જણાવ્‍યું હતું કે, શિષ્‍યવૃત્તિ યોજના માટે વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂ. ૫૭૫ કરોડની જોગવાઈ હતી, વર્ષ ૨૦૨૧-૨૧ના બજેટમાં રૂ. ૫૪૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણની વાતો કરતી ભાજપ સરકારમાં શિષ્‍યવૃત્તિ યોજના માટે રૂ. ૨૬ કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે. લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧થી ૧૦માં પ્રિ-મેટ્રીક શિષ્‍યવૃત્તિ મેળવવા આવકમર્યાદા રૂ. ૧.૦૦ લાખ નક્કી કરવામાં આવેલ છે. જ્‍યારે શહેરી વિસ્‍તારોમાં રૂ. ૧.૫૦ લાખ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવકના દાખલા જ મળતા નથી, જેથી રાજ્‍ય સરકારે આ સમસ્‍યાના નિવારણ માટે આવકમર્યાદાની રકમમાં વધારો કરવો જોઈએ તેમજ પ્રિ-મેટ્રીક, પોસ્‍ટ મેટ્રીક, મેરીટ કમ મીન્‍સની સ્‍કોલરશીપની સંખ્‍યામાં વધારો કરવો જોઈએ. ધોરણ-૧થી ૫માં પ્રિ-મેટ્રીક સ્‍કોલરશીપ તરીકે ફક્‍ત
રૂ. ૧,૦૦૦ મળે છે, જે રકમ ખૂબ જ અપૂરતી હોઈ તેમાં તાત્‍કાલિક વધારો કરવો જોઈએ.
ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, રાજ્‍યની ભાજપ સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ વિકાસ કરવા માંગતી હોય તો, રાજ્‍યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે વસ્તીના આધારે રકમની ફાળવણી કરવી જોઈએ. રાજ્‍યમાં લઘુમતી આયોગની રચના કરી તેને બંધારણીય મજબુતી આપતું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે. રાજ્‍યના લઘુમતી બહુસંખ્‍યા ધરાવતા વિસ્‍તારોમાં ધોરણ-૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે. મદ્રસા શિક્ષણ આપતી સંસ્‍થાઓ જો જનરલ શિક્ષણ આપવા માંગતી હોય તેવી સંસ્‍થાઓને ગ્રાન્‍ટેડ શાળાઓ તરીકે પરવાનગી આપવામાં આવે. હજયાત્રીઓની સુવિધા માટે હજ સમિતિની તાત્‍કાલિક રચના કરવી જોઈએ. લઘુમતી સમાજના હાજીપીર, શાહેઆલમ, ભડીયાદ પીર જેવા ધર્મસ્‍થાનોનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી તેનો વિકાસ કરવો જોઈએ. માઈનોરીટી ફાઈનાન્‍સ કોર્પોરેશનને અપાતી ગ્રાન્‍ટમાં વધારો કરવો જોઈએ. વકફ બોર્ડને કબ્રસ્‍તાનોની જગ્‍યા નીમ કરીને સોંપવી જોઈએ અને વકફ બોર્ડની મિલ્‍કતોમાં થતા ભ્રષ્‍ટાચારને અટકાવી તેનું રક્ષણ કરવું જોઈએ. લઘુમતી સમુદાયના ઉત્‍થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવાની માંગણી પણ શેખે કરી હતી.