ગુજરાતમાં 2700 વેપારીઓના રિટર્નની અનિયમિતતાથી રિટર્ન ચેક કરવાની ક્વાયત નિયમિત બનાવતા જીએસટીના અધિકારીઓ

અમદાવાદ, તા.06

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ડિફોલ્ટરોની ગુજરાત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટે રૂા. 2000 કરોડની ચોરી પકડી પાડી છે. ગત ફેબ્રુઆરી માસમાં તેમના માસિક કે ત્રિમાસિક રિટર્ન ફાઈલ ન કરનારા વેપારીઓ 2700 કેસ જીએસટી ગુજરાતના અધિકારીઓના ધ્યાન પર જીએસટીએન તરફથી ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા. આ 2700 કેસમાંથી 2650 કેસમાં તપાસ કરવામાં આવતા તેમની પાસેથી રૂા. 630 કરોડની રિકવરી આવી હતી. એકલા ગુજરાતમાં માત્ર 2700 વેપારીઓના રિટર્નની અનિયમિતતાની ચકાસણી કરાતા જીએસટીના અધિકારીઓએ આ કવાયતને નિયમિત કવાયતમાં રૂપાંતરિત કરી દીધી છે.

જીએસટીના જાણકાર સૂત્રોએ આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2019માં જીએસટીએનના નેટવર્ક તરફથી ગુજરાત સરકારને આ પ્રકારના 27500 ડિફોલ્ટર્સની યાદી તૈયાર કરીને આપવામાં આવી હતી. તેમના જીએસટીઆર-1 અને જીએસટીએર 3બી વચ્ચેની રકમમાં તફાવત જોવા મળતા આ યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમાંથી 21000 કેસમાં નોટિસ આપીને ચકાસણી કરવામાં આવતા રૃા. 965 કરોડની કરચોરી પકડીને રિકવરી કરવામાં આવી હતી.

મે 2019માં જીએસટીઆર-1 ફાઈલ કર્યા પછી જીએસટીઆર-3બી ફાઈલ ન કરનારા 2900 વેપારીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ વેપારીઓમાંથી 18000 વેપારીઓને નોટિસ પાઠવીને તેડું આપવામાં આવ્યું હતું. તેમની પાસેથી રૂા.508 કરોડની રિકવરી કરવામાં આવી છે. આમ જીએસટીના રિટર્ન ન ફાઈલ કરીને કે પછી જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી વચ્ચે મેળ ન પડે તેવી વિગતો ભરીને કરચોરી કરવાની મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. તેવી જ રીતે વેપારીઓને જીએસટીના વેરા પેટે રૂા. 20 લાખ ભરવાના થતાં હોય તો તેની સામે તેઓ માત્ર 4 લાખ જ ભરી દેતા હોવાનું જોવા મળ્યું હતું. આ અનિયમિતતા ધ્યાનમાં ન આવે તો તેમના કેસ બારોબાર જ મંજૂર થઈ જાય તેવી ગણતરી સાથે આ ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનું જોવા મળ્યું છે.

આ ગેરરીતિઓને પકડી પાડવા માટે જીએસટીએન કાઉન્સિલે ખાસ સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે. આ સોફ્ટવેરની ચકાસણીમાંથી અનિયમિતતા આચરતા વેપારીઓ સપડાઈ જાય છે. તેમના નામ અને નંબર આગળ ડિપાર્ટમેન્ટમાં રેડફ્લેગ લાગી જાય છે. આ સ્થિતિમાં તેમને નોટિસ આપીને તેમના દરેક વહેવારોની બારીક ચકાસણી કરવામાં આવે છે. આ રીતની માહિતી હવે જીએસટીએન કાઉન્સિલ દર મહિને દરેક રાજ્યને મોકલી આપે છે. દરેક રાજ્યના કમિશનરો આ રીતે ગેરરીતિ આચરનારાઓને નોટિસ પાઠવીને તેમના દરેક વહેવારોની ચકાસણી કરે છે. આ રીતે માત્ર ત્રણ જ મહિનાના હિસાબોની ચકાસણી કરાતા રૂા. 2000 કરોડથી વધુની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. આ વેપારીઓ પાસે અઢાર ટકા વ્યાજ અને વિલંબના દિવસ દીઠ રૂા.200ની પેનલ્ટી તરીકે આ રકમ વસૂલવામાં આવી છે.

આ અગાઉ જુલાઈ 2018થી સપ્ટેમ્બર 2018ના ત્રણ મહિનાના જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી  વચ્ચેના તફાવતના કેસો અલગ તારવીને ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીમાં જીએસટીઆર-1માં વેચાણ 10 લાખનું બતાવ્યું હોય અને જીએસટીઆર-3બીમાં વેચાણ માત્ર 7 લાખનું બતાવ્યું હોય તેવા કિસ્સાઓ ધ્યાન પર આવ્યા હતા. આ પ્રકારના 977 કેસ અલગ તારવવામાં આવ્યા હતા. આ કેસમાંથી 50 કેસમાં ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ચોરી કરનારાઓ પાસેથી રૂા. 9 કરોડની ચોરી પકડવામાં આવી હતી. આ જ રીતે ઓક્ટોરબ 2018થી ડિસમ્બર 2018 વચ્ચેના ત્રણ મહિનાના ગાળામાં અનિયમિત માહિતી મૂકનારા 582 કેસમાં ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી 43 કેસમાં રૂા. 6 કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી હતી.