તુવેર ખરીદીમાં કૌઈ કૌભાંડ થયું નથી, પણ ખરાબ માલ પકડાયો – અન્ન પ્રધાન

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પણ હવે સરકાર કહે છે કે, 22 હજાર બોરીમાંથી 3 હજાર બોરીમાં જ ખરાબ માલ મળી આવ્યો છે. કોઈ કૌભાંડ થયું નથી. એવું અન્ન પ્રધાન રાદડીયાએ જણાવ્યું હતું. બીજી બાજુ મગફળી અને તુવેરમાં હલકી ગુણવત્તાનો માલ સરકારે જ પકડ્યો છે. રાદડીયા અને કૃષિ પ્રધાન ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરોડોના કૌભાંડમાં કંઈક છુપાવી રહ્યાં છે.

તુવેર ખરીદી કૌભાંડ નથી, પણ હલકી ગુણવત્તાનો માલ છે

અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રાદડીયાએ કહ્યું હતું કે, ટેકાના ભાવે તુવેર ખરીદીના નિયમો અનુસાર ખરીદી કરતી વખતે સરકાર દ્વારા ગુણવત્તા ચકાસણી માટે  ચારણો રાખીને ખેડૂતની તુવેર ખરીદવામાં આવતી હોય છે. ખેડૂતના માલમાં કોઈ ખામી હોય તો માલ પરત કરવામાં આવતો હોય છે. એમાં કાંકરી કે ડાઠા હોય તો એમાં મશીન મારવાનું હોય છે. આ મશીન મારવા માટે ગુણી દીઠ ખેડૂત પાસેથી રૂ.15 વસૂલ કરવામાં આવ્યા છે.

જેમણે કૌભાંડ કર્યું તે નિગમ તપાસ કરે છે

પ્રાથમિક તપાસમાં રૂ.29 લાખનો હલકી ગુણવત્તાવાળા તુવેરનો જથ્થો શોધી કરાયો છે. જેને સીઝ કરવામાં આવ્યો છે. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં 7 આરોપી સામે ગુનો દાખલ કરી ફરિયાદ નોંધવામાં આવી છે. 4ની ધરપકડ કરી છે. પુરવઠા ખાતાના એમડી કૌભાંડની તપાસ કરી રહ્યા છે. આ કૌભાંડમાં સરકાર ગમે એવાં ચમરબંધી હશે તો પણ તેને છોડશે નહીં. જોકે, રાદડીયાએ એક પણ અન્ન પુરવઠા અધિકારી સામે પગલા ભર્યા નથી કે જે ખેડૂતોએ આ કૌભાંડ પકડી પાડ્યું તેનું સન્માન પણ કર્યું નથી. જે વિભાગે કૌભાંડ કર્યું તે વિભાગના પુરવઠા નિગમના એમડી જ તેની તપાસ કરી રહ્યાં છે. ખરેખર તો પોલીસ કે ખેડૂતોને સાથે રાખીને તપાસ કરવી જોઈતી હતી. પણ જેમના નિગમે કૌભાંડ કર્યું છે તે અધિકારી જ તપાસ કરી રહ્યાં છે.

હલકો માલ મળી આવ્યો છતાં કૌભાંડ નહીં

અન્ન પ્રધાન જયેશ રાદડીયાએ કહ્યું હતું કે કેશોદ માર્કેટિંગ યાર્ડમાં 1 હજાર જેટલી તુવેરની બોરીનો જથ્થો હલકી ગુણવત્તાના આવતા તેને સીઝ કરાયો છે. ખેડૂતોના વિવિધ પાકની ટેકાના ભાવથી તમામ ખરીદી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ થઇ રહી છે. ક્યાં કશું ખોટું કરવા દેવામાં આવતું નથી. કૌભાંડમાં પણ જે કોઈ સંડોવાયેલું મળશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. જોકે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ટોચના અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ તે અંગે રાદડીયાએ કંઈ કહેવાનું ટાળું હતું.

34 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં થશે જમાં

3 હજારથી વધુ બોરી સિઝ કરવામાં આવી છે. તો 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા મુદ્દે પણ રાદડિયાએ કહ્યું કે, કોઈ પણ ખેડૂતોનુ પેમેન્ટ બાકી નથી. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં રૂ.150 કરોડ જમા થઈ ગયા છે. 184 કરોડ પૈકી 150 કરોડનું પેમેન્ટ કરાયું છે. જ્યારે 34 કરોડનું પેમેન્ટ આગામી સમયમાં ખેડૂતોને ચૂકવાઇ જશે.

22,685 બોરીઓની ચકાસણી કરાઈ છે. તેમાં કોઈ ભેળસેળ જોવા મળી નથી.

અગાઉ શું થયું હતું

રાદડીયાએ 25 એપ્રિલે શું કહ્યું

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રૂપાણી સરકારના પ્રધાન જયેશ રાદડીયાએ 25 એપ્રિલ 2019માં જણાવ્યું હતું કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવરેના રદ થયા છે. અન્ય કટ્ટામાં કોઇપણ સમસ્યા નથી.

અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારી સામે કોઈ પગલાં નહીં

કોઇ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં. તેમણે તે સામયે જાહેર કર્યું પણ 16 મે 2019 સુધીમાં એક પણ પુરવઠા અધિકારી સામે પગલાં લીધા નથી. ભાજપના નેતાઓએ માંગણી કરી હોવા છતાં જયેશ રાદડીયાએ કોઈ પગલાં લીધા નથી.

તો બીજી બાજુ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા અન્ન પ્રધાન જયેશ રાદડિયાની વાત પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જયેશ રાદડિયાના ખુલાસા ખોટા છે. સરકારની મિલિભગતથી કૌભાંડ થયું છે અને આ મામલે તટસ્થ તપાસ થશે તો જ હકીકત બહાર આવશે.

33 હજાર ટન ખરીદી

કેશોદમાં જે હલકી ગુણવત્તાની તુવેર સામે આવી છે. તે ખેડૂતો પાસેથી લેવાયેલી નથી. એટલે ખેડૂતોને નુકશાન થયાની વાત જ નથી. રાજ્યમાં રૂ.184 કરોડની 33 હજાર મેટ્રીક ટન તુવેરની ખરીદી થઈ છે.

તપાસ પહેલાં જ કૌભાંડ ન થયું હોવાનું પ્રધાને કહીને દબાણ ઊભું કરી દીધું

એપ્રિલ મહિનામાં અન્ન પ્રધાન જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની 3-4 ટ્રક તુવેર ઘૂસાડી છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં. નબળી તુવેરની ખરીદી કરી તેને ઘૂસાડવામાં સંડોવાયેલા ગ્રેડર સહિત 7 સામે ગુનો દાખલ કરાયો છે.

ખેડૂતોએ કૌભાંડ પકડ્યું હતું

તુવેર કાંડમાં ૩૦ માર્ચ અને 11 એપ્રિલ 2019ની રાત્રીના ડાઠાની ભેળસેળ કરવામાં આવતા ખેડૂતોએ તુવેરની સફાઇની કામગીરી અટકાવી હતી. તેમ છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારી સામે કોઈ પગલાં લેવાયા નથી. તેમને છાવરવામાં આવી રહ્યાં છે.

3 ટ્રક હલકો માલ ખેતરમાંથી ખેડૂતોએ પકડ્યો

ખરીદી પૂર્ણ થતાં યાર્ડના શેડમાંથી માલ ગોડાઉન સુધી પહોંચતો કરવાનો હતો. જોકે 3 ટ્રકમાંથી નબળી ગુણવત્તાની તુવેર મળી આવી હતી. ટેકાના ભાવે ખરીદેલી 3241 ગુણી સીઝ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા કુલ રૂ.90 લાખની કિંમતનો જથ્થો સીઝ કરાયો હતો. તુવેર કાંડની તપાસમાં કેશોદના રાજકીય નેતાના નામ સામે આવે તેવી શક્યતા હતી. જેમાં ન જો રાજકીય નેતાનું નામ બહાર આવ્યું કે ન તો અન્ન અને નાગરિક પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓના નામ 16 મે 2019 સુધીમાં બહાર આવ્યા.

સામાન્ય માણસો પકડાયા

તુવેરનો ગ્રેડર ફેઝલ મુઘલ નામના શખ્સની ધરપકડ, આરોપી જયેશ બાવાજી ભરત વઘાસિયાની વાડી માંથી ત્રણ ટ્રક તુવેર ભેળસેળ કરી લાવ્યો હતો. અને આ કામ માટે તેને રૂ.23 હજાર મળ્યા હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી. આરોપી જયેશ બાવાજી ભરત વઘાસિયાની વાડી માંથી ત્રણ ટ્રક તુવેર ભેળસેળ કરી લાવ્યો હતો. અને આ કામ માટે તેને રૂપિયા 23 હજાર મળ્યા હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

કોંગ્રેસે માંગણી કરી

તુવેર કૌભાંડ બાબતે કોંગ્રેસ દ્વારા ઊંડી તપાસની માંગણી કરી હતી. અન્ન પ્રધાન જયેશ રાદડીયાએ જવાબદારી સ્વિકારવી જોઈએ એવું જાહેર કર્યું હતું. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડ બાદ તુવેર કૌભાંડમાં પણ મોટા માથાનો હાથ છે. સરકાર કૌભાંડને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. જો યોગ્ય તપાસ થશે તો મોટા માથાના નામ સામે આવશે. સરકારની બેદરકારીને લીધે ફરી કૌભાંડ થયું છે.

ભાજપના નેતાએ તપાસની માંગણી કરી

નાફેડના ઉપાધ્યક્ષ અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ તુવેરની ખરીદીના કૌભાંડમા પુરવઠા વિભાગ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી અત્યાર સુધી નાફેડ ઊપાડતું હતું પણ હવે પુરવઠા વિભાગને આ જવાબદારી સોંપતા આવા બનાવો બની રહ્યા છે. ખેડૂત આગેવાન તરીકે રાજ્ય સરકારે આવા બનાવોમાં ગંભીરતાથી તપાસ કરવી જોઈએ તેવી હું માંગણી કરું છું.

ઓછુ વજન આવે તે વાજબી નથી, રૂપાલા

કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 300 ગ્રામ 200 ગ્રામની ઘટ આવે, તે વિષય વ્યાજબી નથી એ આવવી ન જોઈએ. પણ એ વિષયને આવું રાજકીયરૂપ આપવું એ મારી દૃષ્ટિએ ઠીક નથી. આની તપાસ થવી જોઈએ અને જે યોગ્ય નિર્ણય હશે અને જે ખેડૂતોના હિતમાં હશે, તેવા તમામ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે. અમારી રાજ્ય સરકાર સાથે વાતચીત થઇ છે.