કુકાનો અને ધંધામાં 24 કલાક સંસ્થા ચાલુ રાખવાની છૂટ આપવાનો નિર્ણય સરકારે લીધો છે. ગ્રાહકોને અનુકુળ સમયે ખરીદી કરવાની સગવડ થતાં ધંધામાં વધારો થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે પ્લેટફોર્મ, એસ.ટી. બસમથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલ દુકાનોને 24 કલાક ખુલ્લી રાખવાની તેમજ નગરપાલિકા અને સ્ટેટ હાઈવે પર આવેલ દુકાનોને સવારના 6 વાગ્યાથી રાત્રીના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપતી જોગવાઈ વિવિધ શરતોને આધીન કરવામાં આવી છે.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ ક્ષેત્રે ગુજરાત સરકારે નવતર અભિગમ દાખવીને દુકાનો અને સંસ્થા અધિનયમ (ગુમાસ્તા ધારો) રદ કરીને નવો શોપિંગ એન્ડ એસ્ટાબ્લીશ મેન્ટ એક્ટ ૨૦૧૯નો કાયદો અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે.
જે હેઠળ નાના વેપારીઓ અને નાના ઔદ્યોગીક એકમોએ નોંધણી એક જ વખત કરવાનું રહેશે. એકમો અને દુકાનોને પ્રતિ વર્ષ નોંધણીમાંથી મુક્તિ અપાશે. આ માટેનું વિધેયક રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાના સત્રમાં રજુ કરીને કાયદો બનાવવામાં આવશે.
મળેલી પ્રધાન મંડળની બેઠકમાં આ વિધેયક માટે મંજુરી આપવામાં આવી છે. હાલ, જે ૧૯૪૮ નો કાયદો છે તેમાં સુધારા વધારા કરીને નાના વેપારીઓ, નાના ઔદ્યોગીક એકમોના માલિકો અને શ્રમયોગીઓ માટે આ કાયદામાં મહત્વના નિર્ણયો કરવામાં આવશે.
વેપારીઓ તથા ધંધાદારીઓ માટે રીન્યુઅલની પ્રથા રદ કરી વન ટાઈમ રજીસ્ટ્રેશન (જ્યાં સુધી માલિકી કે કામના પ્રકારમાં ફેરફાર ન થાય ત્યાં સુધી), દસથી ઓછા શ્રમયોગીઓને કામ ઉપર રાખે ત્યાં સુધી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહી ફક્ત તેની જાણ કરવાની રહેશે.
આ વિધેયકમાં કર્મચારીઓ માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. શ્રમયોગીઓ માટે શીફ્ટમાં કામ કરવા માટેની છૂટની સાથે સાથે ઓવરટાઈમમાં પણ દોઢ ગણાને બદલે હવે થી બમણું વેતન આપવામાં આવશે. મહિલા શ્રમયોગીઓ માટેનો સમય સવારના ૬.૦૦ થી રાત્રીના ૯.૦૦ સુધીનો રહેશે તથા ૩૦થી વધુ મહિલા શ્રમયોગીઓ જે એકમોમાં નોકરી કરતી હોય તો તેમના બાળકો માટે ઘોડીયાઘરની સુવિધા ઉપલબ્ધ કરાશે. જે એકમોમાં ૧૦૦ થી વધુ શ્રમયોગીઓ નોકરી કરતાં હોય ત્યાં અલાયદી કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ નવા અધિનયમ હેઠળ સ્થાનિક સત્તા મંડળના વિસ્તારો ઉપરાંત સમગ્ર રાજ્યને આવરી લેવાશે. ધંધાદારીઓ તથા વેપારીઓને કાયદાના સરળીકરણનો લાભ મળવાની સાથે શ્રમયોગીના હિતોનું રક્ષણ થાય તેની પણ પુરતી કાળજી રાખવામાં આવશે. તેમ નાણાં પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
પ્રત્યાઘાત
*સરકારનો ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય બંધ મગજ ની ઉપજ-રાજેશ ઠાકર*
___________________
1948ના ગુમાસ્તા ધારાને રદ કરી ચોવીસ કલાક દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાનો સરકારનો નિર્ણય ટાલીયા ને કાંસકો પકડાવવા જેવો છે. જ્યાં દીવસે જ ઘરાકીના ફાંફા છે ત્યારે રાત્રે દુકાનો ખુલ્લી રાખી વેપારીઓ શું રળી લેશે તે સમજાતું નથી
અમદાવાદ શહેરના મોટાભાગના શો રૂમ જ્યાં ઘરાક આવે એટલે લાઈટ – પંખા કે એસી ચાલુ કરી ખર્ચ કેમ ઓછો કરવો એની મથામણમા હોય છે ત્યારે રાત્રે શો રૂમ ખુલ્લા રાખી ખાતર પર દીવેલ જેવો ધંધો શું કામ કરે? જ્યાં દીવસે ધંધો કરી વરસના અંતે જમા-ઉધારના ટાંટીયા માંડ સરખા થતા હોય તેવામાં વળી રાત્રે સ્ટાફના પગાર ખર્ચનો ઉમેરો કરીને પગ પર કુહાડી મારવાનો ધંધો કેટલા કરશે તે અલગ પ્રશ્ન છે. રાજ્યના મુખ્ય શહેરોમાં આ સ્થિતિ હોય ત્યારે સેમી અર્બન વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે તે સમજી શકાય. મોટા મોટા મોલ્સ ની પરિસ્થિતિ પણ આ રીટેલર્સ થી જુદી નથી. શનિ-રવિ કે રજાના દીવસો સિવાય મોલ્સ પણ ઘરાકી ની રાહ જોતા ડચકાં ખાતા હોય છે. જો રાત્રે દુકાનો ખુલ્લી રાખવાથી ધંધો વધતો હોય તો પાનના ગલ્લા અને ચાની કીટલી સિવાય તમામ શોપીંગ કોમ્પલેક્ષ સવારે વહેલા ખુલવાના બદલે દસ વાગ્યા ની આસપાસ ના ખુલતા હોત. આજનો ગુમાસ્તા ધારો સવારે વહેલા દૂકાન ખોલવામાં નડતો જ નથી. ચાર કલાક વહેલી દુકાન ખોલીને ફાયદો થતો હોય તો શો રૂમ કે મોલ્સ શું કામ ચાર કલાક મોડો ધંધો શરૂ કરી નુક્શાન કરે?
ધંધાકીય સિવાય આની સામાજીક અસરો પણ સરકારે વીચારી નથી. અડધી રાતે કે વહેલી સવાર સુધી ભટકવું એ ગુજરાતની સંસ્કૃતિ નથી. દીકરી કે દીકરાએ કોઈ વસ્તુ રાતે દસ વાગ્યે યાદ આવી હોય ને માંગે તો એના મા-બાપ “સવાર નથી પડવાની? સવારે ખરીદી લેજે અત્યારે અડધી રાતે નથી જવાનુ” આવો ઉત્તર વાળે. તેની પાછળ સંતાન મોડા સુધી બહાર ના ફરે એની ચિંતા હોય છે. મને સમજાતુ નથી કે એવી કેવી ઈમરજન્સી હોય કે માણસે રાતે બાર કે બે વાગે પેન્ટ – શર્ટ, જુતા કે અન્ય કોઈ ચીજ ખરીદવા નીકળવું પડે? સરકારના આ નિર્ણય થી દીવસે ના થતાં જે ધંધા રાતે ચોરી છુપી ચાલતા તે હવે ખુલેઆમ થશે. જે અસામાજીક કે નવરી બજાર જેવાઓ ને રાત્રિ પેટ્રોલિંગ કરતી પોલીસ દંડા પછાડી રાતે બાર વાગે ઘેર મોકલી દેતી તે તમામ તત્વો માટે આ ઉઘાડી બજારો રાત્રિ અડ્ડા બની જશે. છોકરાઓ ને રાત્રે બહાર રહેવાના બહાના મળશે. દીવસે ચેઈન સ્નેચીંગ કે છેડતી જેવી સમસ્યાઓ નો હલ ના શોધી શકતી સરકારે આવા તત્વો ના લાભાર્થે રાત્રિ બજાર શરૂ કર્યા હોય તેવું લાગે છે.
એક રાત્રિ કલ્ચર ને આમંત્રણ આપી સરકાર અસમાજીકો ને મોકળું મેદાન આપી રહી છે. તમામ પબ્લીસીટી સ્ટંટ ની જેમ આ નિર્ણય કેટલો સફળ રહે છે તે સમય બતાવશે. ચિંતા એ વાતની છે કે સરકાર પોતાનો નિર્ણય સાચો પુરવાર કરવા દંડા પછાડી દુકાનો ના શટર ખુલ્લા રખાવવાના કે લોકોને ઘરેથી ઉઠાડી ફરજીયાત રાત્રિ શોપીંગનો ફતવો બહાર ના પાડે!!
સરકારે દુકાનો નહીં પોતાના આંખ કાન અને મગજ ચોવીસ કલાક ખુલ્લા રાખવાની જરૂર છે.
રાજેશ ઠાકર
9714350505
Rajthaker207@gmail.com