[:gj]પીપરાળા પાસે લાકડિયાના સરપંચની ગાડીમાંથી 18 લાખ રોકડા મળ્યા[:]

[:gj]સાંતલપુર, તા.૧૭
સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પર રાધનપુર પેટાચૂંટણીને લઇ CRPFના જવાનોના ચેકીંગ દરમ્યાન સરપંચ લખેલ કારમાંથી રોકડા 18 લાખ મળી આવતા જવાનોએ ગાડીમાં સવાર કચ્છ લાકડીયા ગામના ચાર ઈસમોને ઝડપી પોલીસ, ચૂંટણી વિભાગ અને ઈન્કમટેક્ષને જાણ કરતા ટીમો દોડી આવી હતી અને આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ ક્યાંથી અને શા માટે લઇ જવાતી હતી તે બાબતે તપાસનો દોર શરૂ કર્યો હતો, જેમાં પ્રાથમિક પૂછપરછમાં કચ્છના લાકડીયાના શખ્સોએ ઊંઝા ખાતે માલ વેચીને આવતા હોવાનું જણાવતાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હાલમાં રોકડ જપ્ત કરી પૈસા ક્યાંથી લાવ્યા તેનો પુરાવા રજુ કરવા જણાવી તપાસનો દોર માલ ખરીદ કરનાર વેપારી તરફ લંબાવ્યો છે.

સાંતલપુર તાલુકાના પીપરાળા ચેક પોસ્ટ પર મંગળવારે મોડી સાંજે સીઆરપીએફના જવાનો દ્વારા ચેંકીગ હાથ ધરવામાં આવ્યુ હતુ, તે દરમ્યાન મોટરકારની તપાસ કરતા અંદરથી 18 લાખ રોકડા મળી આવતા જવાનોએ તાત્કાલિક ચુંટણી વિભાગને જાણ કરી રકમ અને ગાડીમાં સવાર ચાર ઈસમોને બેસાડી દીધા હતા. ઘટનાના પગલે મુખ્ય ચુંટણી અધિકારીની ટીમ બાદ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી રકમ બાબતે તપાસ હાથ ધરી હતી. જેમાં કારમાં સવાર શખ્સોએ રોકડ રકમ જીરાનું વેચાણ કરી લાવ્યા હોવાના ઊંઝા માર્કેટયાર્ડના વેપારીના બિલ રજુ કરતા ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવ્યો હતો. જેમાં બીલો સાચા છે કે ખોટા તે અંગે સઘન તપાસણી હાથ ધરવામાં આવી હતી.જોકે આ રકમ ક્યાંથી અને શા માટે લઈને જતા હતા તે બાબતે ઇન્કમટેક્ષ ટેક્ષ દ્વારા કલાકો સુધી તપાસ કર્યા બાદ વેપારી તરફ તપાસનો દોર લંબાવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

કારમાંથી 18 લાખ રોકડા મળ્યા છે એ ગાડી ભચાઉ તાલુકાના લાખડીયા ગામના સરપંચની છે. પરંતુ તેઓ ગાડીમાં હાજર ન હતા. જોકે જિલ્લા ચુંટણી કચેરીના નોડલ ઓફીસરના જણાવ્યા મુજબ આ કોઇ રાજકીય વ્યક્તિઓ જણાયા નથી. રાજકીય કાર્યકર હોય તો 50000 થી વધારે રકમ માટે ચુંટણી ફંડના છે કે કેમ તેના પ્રમાણ, ખેડુતે ખેતીના અને વેચાણના તો વેપારીએ બેંકમાંથી ઉપાડ કરેલ હોય તેના પ્રમાણ ઇન્કમટેક્ષ સમક્ષ રજુ કરવાના હોય છે. જેની કાર્યવાહી ચાલુ હતી અને તેનો રીપોર્ટ હજુ જિલ્લાચુંટણી તંત્રને કરાયો નથી.

સાંતલપુર પીએસઆઇ એન.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે ચેંકીગ ચાલુ હતું તે દરમ્યાન સીઆરપીફના જવાનો દ્વારા દશ લાખથી વધુની રકમ મળી હોઇ તાત્કાલિક પોલીસ, એફ.એસ.ટી ટીમ અને ચુંટણી વિભાગને જાણ કરી હતી. જેમાં હાલમાં ચુંટણી વિભાગ અને ઈન્ક્મટેકસ્ વિભાગ દ્વારા તપાસ કરી રહ્યા છે.

રાધનપુર બેઠકની પેટાચૂંટણી આડે ગણતરીના દિવસો રહયા છે, ત્યારે પ્રચારના ગરમ માહોલમાં રોકડ રકમ ઝડપાતા આ રકમ મતદારો ખરીદવા કે અન્ય ખર્ચ માટેની હશે કે કેમ તે બાબતે મતદારો તેમજ લોકોમાં-આગેવાનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સવારથી સાંજ સુધી લોકોને સાચી હકીકતની જાણ થઇ નહોતી.

ઇન્કમટેક્ષ દ્વારા 18 કલાક થી વધુ તપાસણી કરી હતી, જેમાં ઈસમો દ્વારા આ રકમ જીરું વેચીને લાવ્યા હોવાના બિલ રજુ કર્યા હતા પરંતુ બિલ સાચા કે ખોટા તે આખરી પ્રમાણભૂત ન થતાં રકમ જમા લઇ ઈસમોને બિલની ખરાઇ કરાવવા સૂચના આપી હતી. જો પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું ઇન્કમટેક્ષ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

ઊંઝામાં જીરુ વેચાણના પૈસા હોવાનું ઈસમોએ પોલીસ સમક્ષ કહ્યું :

રકમ સબંધે કારમાં સવાર અકબરભાઈ રાઉમાંએ જણાવ્યું હતું કે, અમે ઉંઝા પેઢીમાં જીરુ પેન્ડીંગ રાખેલ હતું, તે વેચીને રોકડ રકમ સાથે ઘરે જઇ રહ્યા હતા. આ રકમ દશ ખેડુતોની છે જેના બીલ પણ અમે રજુ કર્યા છે તે તપાસ કરી શકે છે. આ કોઈ ચૂંટણી માટે કે ખોટા કામના નથી આ પૈસા ખેડૂતોના છે.

[:]