દ્વારકામાં ગેસ પાઈપલાઈન સામે 39 ગામના 2 હજાર ખેડૂતોનો વિરોધ

દિલીપ પટેલ

અમદાવાદ, 26 જૂલાઈ 2026

21 જૂલાઈ 2026ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા વડાલિયા–સિંડણથી પાડલી સુધી નાખવામાં આવી રહેલી 100 કિલોમીટરની 18 ઇંચની ગેસ પાઈપલાઈનનો વિરોધ કર્યો હતો. 39 ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ લાઈન, ટાટા કેમિકલ્સ અને વહાઈ મથકના આંદોલન ચારી રહ્યાં છે ત્યારે બીજું શરૂ થયું હતું. દરરોજ 30 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ વહન કરશે.

ખંભાળિયા તાલુકાના વડાલિયા ગામથી પાઈપલાઈન શરૂ થાય છે. સિંહણ ગામના ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કલ્યાણપુરના નાના માંઢા ગામના ખેતરમાં ઊભા પાકમાં જેસીબી ફેરવવાનો વિરોધ થયો હતો. દ્વારકા તાલુકાના પાડલી ગામ પાસે પાઈપલાઈનનું અંતિમ સ્ટેશન છે. ઉપરાંત મોટા માંઢા, ભાટીયા નજીકના ગ્રામ્ય વિસ્તારો અને લાંબા ગામો મળીને 30 ગામના ખેતરોમાંથી લાઈન પસાર થાય છે.

પાઈપલાઈન રૂટ પર આવતા 39 ગામોના આશરે 1,500 થી 2,500 જેટલા ખેડૂતો અને જમીન માલિકોને સીધી કે આડકતરી રીતે અસર થવાની સંભાવના છે.

100 કિલોમીટર જેટલો લાંબો પટ્ટો જમીન ખેતરમાં આશરે 30 થી 50 ફૂટ પહોળો પટ્ટો કામચલાઉ બાંધકામ અને ખોદકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સરેરાશ પહોળાઈને ગણતરીમાં લેતા, આશરે 300 થી 400 એકર જેટલી ખેતીની ફળદ્રુપ જમીન આ પ્રોજેક્ટના બાંધકામ ગાળા દરમિયાન સીધી રીતે પ્રભાવિત થશે. જેના પર કામ પૂરું થયા પછી ખેડૂત ઉપર માત્ર હળવી ખેતી કે કપાસ-મગફળી જેવા પાક લઈ શકે છે. પરંતુ તે જમીન પર મોટા હોર્ડિંગ્સ, પાકા મકાન-શેડ બનાવવા કે ઊંડા મૂળ ધરાવતા વૃક્ષો વાવવાની કાયમી મનાઈ હોય છે.

(નકસામાં લાલ લાઈન બતાવી છે એ પાઈપલાઈન છે.)

ગામ લોકોએ ટ્રેક્ટરથી પાઈપલાઈન ઉખેડીને ફેંકી દીધી હતી. નાના માંઢા ગામમાં GSPL દ્વારા ગેસ પાઇપલાઇન ઉભા પાકમાં JCBથી પાકનો નાશ કરાયો હતો. ખેડૂત અતુલભાઈ નકુમના ખેતરમાં વળતર ચૂકવ્યા વિના કામગીરી શરૂ કરવામાં આવી હતી. પેટ્રોલિયમ અને મિનરલ પાઇપલાઇન સંબંધિત કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.

કલેક્ટરને આવેદનપત્ર આપી પાઈપલાઈનનું કામ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી હતી. ગેસ પાઈપલાઈન અધિનિયમ-2000ની જોગવાઈઓનું પાલન કર્યા વગર કામગીરી કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ અંગે માહિતી આપવામાં આવી નથી. જમીન માલિકોની મંજૂરી લીધા વગર જ સીધેસીધું જમીનોમાં ખોદકામ કરીને પાઇપલાઇન પસાર કરવાની જોહુકમી ચલાવવામાં આવી હતી.

સિંહણ અને તેની આસપાસના ગામોના સેંકડો ખેડૂતો આજે પોતાના ખેતરો બચાવવા માટે એકજૂથ થઈને વિરોધ કરી રહ્યાં હતા. અસરગ્રસ્ત ખેડૂતોને વ્યક્તિગત નોટિસ આપવામાં આવી નથી. અનેક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં સામેલ નથી અને જમીન, પાક, બોર, કૂવા તેમજ અન્ય મિલકતના નુકસાન અંગે સરવે કરાયો નથી.

વળતર નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. બજારભાવ મુજબ કાયદેસર વળતર આપવામાં આવતું નથી. પર્યાવરણ મંજૂરી તેમજ જાહેર સુનાવણી કરવામાં આવી નથી.

ONGCની જેમ માત્ર એક વખતનું વળતર નહીં પરંતુ જમીનના ઉપયોગ બદલ માસિક અથવા વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે તેમજ દર વર્ષે તેમાં વધારો કરવામાં આવે.

કાયદાકીય પ્રક્રિયા ન થાય કે વળતર નક્કી ન થાય ત્યાં સુધી GSPL કંપનીને ખેતરોમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં ન આવે અને કંપનીને પોલીસ પ્રોટેક્શન પણ ન આપવામાં આવે.

પોલીસ કાફલાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાના બહાને પોલીસે અટકાવ્યા હતા. જેના કારણે મામલો આક્રમક બન્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર વાતાવરણ બન્યું હતું.

કંપનીના કર્મચારીઓ ચાલુ કામ છોડીને ભાગી જવું પડ્યું હતું. કંપનીના સત્તાધીશો કેમેરા સામે જવાબ આપવાનું ટાળીને ભાગતા નજરે પડ્યા હતા.

કંપની કે સરકાર તેમની સાથે બેઠક કરીને ન્યાયી ઉકેલ નહીં લાવે, ત્યાં સુધી તેમનું આ આંદોલન અને વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. સત્વરે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, તો મોરબીની જેમ દ્વારકા જિલ્લામાં પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ તરફ જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતોની રજૂઆતો સ્વીકારીને નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

મંજૂરી
18 જાન્યુઆરી, 2021ના રોજ નવી દિલ્હીના વર્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)ના સચિવને જામનગરથી દ્વારકા (ગુજરાત) સુધી સ્પુર પાઈપલાઈન નાખવાની મંજૂરી માંગવામાં આવી હતી.

ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ગુજરાતમાં અંદાજે 2696 કિમી લાંબી કુદરતી ગેસ પાઇપલાઇનનું સંચાલન કરે છે. આ પાઈપલાઈન ગુજરાત રાજ્યના લગભગ 25 જિલ્લાઓને આવરી લે છે અને ગુજરાતને ‘ગેસ આધારિત અર્થતંત્ર’ બનાવવામાં આ નેટવર્કની ભૂમિકાને અવગણી શકાય તેમ નથી.

પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ઇંધણની પહોંચને વિવિધ વિસ્તારોમાં વિસ્તારવા માટે સમગ્ર રાજ્યમાં ટ્રાન્સમિશન પાઇપલાઇન્સ વિકસાવવી મહત્વપૂર્ણ છે. પણ ખેડૂતોના ભોગે ઉદ્યોગો અને કંપનીઓને ફાયદો ભાજપ સરકાર કરાવી રહી છે.

ગુજરાત ગેસ લિમિટેડ જેને દેવભૂમિ દ્વારકા GA, ગુજરાતમાં CGD નેટવર્ક વિકસાવવા માટે અધિકૃત કરવામાં આવ્યું છે. એ GSPL ને તેના HP ગેસ ગ્રીડને ખંભાળિયા, દ્વારકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા ખાતેથી ગેસ મેળવશે.

જીએસપીએલ જામનગરથી દ્વારકા સુધી સ્પુર-લાઈન નાખવાની દરખાસ્ત કરી રહી છે. આ દરખાસ્ત PNGRB – નેચરલ ગેસ પાઈપલાઈન નાખવા, બિલ્ડ કરવા, ઓપરેટ કરવા અથવા વિસ્તરણ કરવા માટે અધિકૃત સંસ્થાઓના એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2014 ના રેગ્યુલેશન 21(3) ની જોગવાઈઓ અનુસાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ ટેપ-ઓફ (કનેક્શન પોઈન્ટ) અને જિલ્લામાં વિવિધ મોટા અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો અને ઔદ્યોગિક ક્લસ્ટરોને ગેસ આપવા પાઈપ નંખશે.

આ જિલ્લામાં પર્યાવરણને અનુકૂળ ઇંધણ એટલે કે કુદરતી ગેસની પહોંચ વધારવામાં મદદ કરશે.

30 લાખ ફી ભરવામાં આવી હતી.

સ્પરલાઈન કે જે મુખ્ય પાઈપલાઈનમાંથી શાખા કરતી નાની પાઈપલાઈન માટે બોર્ડને જામનગરથી દ્વારકા સુધી સૂચિત સ્પુરલાઈન માટે GSPLને મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી.

ગ્રુપ ED (ગેસ બિઝનેસ) રવીન્દ્ર અગ્રવાલે મંજૂરી માંગી હતી.

ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ભારતની બીજી સૌથી મોટી નેચરલ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સમિશન કંપનીએ ગુજરાત રાજ્યમાં 2696 કિમીથી વધુની હાઈ-પ્રેશર પાઈપલાઈનથી હાઈ-પ્રેશર ગુજરાત ગેસ ગ્રીડ નેટવર્ક’ બનાવ્યું છે. પાઈપલાઈન નેટવર્કનું વધુ વિસ્તરણ ચાલી રહ્યું છે.

પ્રોજેક્ટ માહિતી:
જીએસપીએલ ગુજરાતના જામનગરથી દ્વારકા સુધી 100 કિલોમીટર લાંબી અને 18 ઇંચ વ્યાસની પાઇપલાઇન નાખવાની દરખાસ્ત કરે છે.

ગેસનો સ્ત્રોત:
ઘરેલુ ગેસ સ્ત્રોતમાંથી RLNG અને ગુજરાતમાં LNG મેળવતા ટર્મિનલ GSPL ના નેટવર્ક સાથે જોડાયેલા છે.

પ્રોજેક્ટ 36 મહિનાનો
પ્રોજેક્ટ પુરો તમામ કાનૂની મંજૂરીઓની પ્રાપ્તિની તારીખથી 36 મહિનાનો હશે. મંજુરી મળ્યા બાદ ડીટેઇલ એન્જીનીયરીંગ, રૂટ સર્વે અને ટેન્ડરીંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

જામનગર ખાતે GSPL HP મેઇનલાઇનની ‘સ્પર-લાઇન’ (બ્રાંચ લાઇન) છે. સ્પુર-લાઇન ટ્રંક લાઇન જામનગર ખાતે 30 ઇંચની મુખ્ય પાઇપલાઇનથી શરૂ થાય છે.
સ્પુર-લાઇનનો વ્યાસ ટ્રંક લાઇન કરતાં વધુ નથી. જામનગરથી દ્વારકા સ્પુર-લાઇનનો વ્યાસ 18 ઇંચ છે.

સ્પુર-લાઇન પર કોઈ કોમ્પ્રેસર નથી. 100 કિલોમીટરની સ્પુર-લાઇન ટ્રંક લાઇનની ક્ષમતાનો ઉપયોગ કરે છે.

30 લાખ ક્યુબિક મીટર ક્ષમતા:
GSPL 18 ઇંચની સ્પુર-લાઇનની ક્ષમતા લગભગ 3 MMSCMD – Million Metric Standard Cubic Meters per Day છે. ગેસના વહન અને વપરાશને માપવાનો એક વૈજ્ઞાનિક એકમ (Unit) છે. 3 MMSCMD એટલે કે દરરોજ 30 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ વહન કરશે.

1 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એટલે કે 1 મીટર લાંબા, 1 મીટર પહોળા અને 1 મીટર ઊંચા બોક્સમાં ચોક્કસ તાપમાન અને દબાણે જેટલો ગેસ સમાય, તેને 1 ક્યુબિક મીટર ગેસ કહેવાય છે.

3 MMSCMD ક્ષમતા એટલે પાઈપલાઈનમાંથી એક દિવસ (24 કલાક) ની અંદર આવા 30 લાખ બોક્સ જેટલો ગેસ પસાર થઈ શકે છે. આ પાઈપલાઈનની ગેસ સપ્લાય કરવાની ક્ષમતા દર્શાવે છે.

પર્યાવણીય અસર અહેવાલ
જીએસપીએલ (GSPL) કંપની દ્વારા જામનગરથી દેવભૂમિ દ્વારકા વડાલિયા-સિંડણથી પાડલી 18 ઇંચ વ્યાસની ભૂગર્ભીય કુદરતી ગેસ પાઇપલાઇન માટે તૈયાર કરવામાં આવેલા પર્યાવરણીય અહેવાલ (Environmental Impact Assessment – EIA) અને સામાજિક અસર અહેવાલ (Social Impact Assessment – SIA) તૈયાર કરાયો છે.

અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોવાથી કાયમી પર્યાવરણીય નુકસાન નહિવત છે, પરંતુ કામગીરી દરમિયાન ઘણી બાબતો અંગે ધ્યાન રાખવું પડે છે.

પાઇપલાઇન નાખવા માટે ચોક્કસ પટ્ટા (Right of Use – RoU) માંથી અસ્થાયી રૂપે ઝાડ-છોડ દૂર કરવામાં આવે છે. કામ પૂરું થયા પછી જમીનને મૂળ સ્થિતિમાં લાવવી અનિવાર્ય છે.

દરિયાઈ અને અખાતી સંવેદનશીલતા:
જામનગર અને દ્વારકાનો વિસ્તાર મરીન નેશનલ પાર્ક અને ઇકો-સેન્સિટિવ ઝોનની નજીક હોવાથી વન્યજીવો અને વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે રૂટ નક્કી કરવામાં આવ્યો છે.

બાંધકામ દરમિયાન ધૂળ અને અવાજનું પ્રદૂષણ રોકવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો મુજબ પાણીનો છંટકાવ અને સાઉન્ડ બેરિયરનો ઉપયોગ કરવો જરૂરી છે.

સામાજિક અસર અહેવાલ (Social Impact Assessment – SIA) અને ખેડૂતોના પ્રશ્નો, સ્થાનિક લોકો, રોજગારી અને ખેતીની જમીન પર થતી અસરો અંગે અભ્યાસ કરાયો છે.

જમીન સંપાદન નહિ, માત્ર વપરાશનો અધિકાર:
આ પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન કાયમી ધોરણે ખરીદવામાં આવતી નથી, પરંતુ જમીનનો વપરાશ ‘Right of Use’ (RoU) કાયદા હેઠળ પાઇપલાઇન દબાવવા પૂરતો જમીનનો ઉપયોગ થાય છે.

પાઇપલાઇન નખાઈ ગયા પછી ખેડૂત ઉપર ખેતી કરી શકે છે. પાકા મકાન કે મોટા ઝાડ વાવી શકતા નથી.

વળતરની જોગવાઈ:
પેટ્રોલિયમ અને સબસરફેસ પાઇપલાઇન એક્ટ મુજબ ખેડૂતોને જમીનના પાકનું નુકસાની વળતર અને જમીનના વપરાશ બદલ કાયદાકીય વળતર ચૂકવવું ફરજિયાત છે.

સામાજિક વિરોધ:
39 ગામના ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના કે ઊભા પાકનો સર્વે કર્યા વિના જ કામગીરી શરૂ કરી દેવાઈ છે, જે સામાજિક અસરના નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે.

પાઇપલાઇન પ્રોજેક્ટ્સના પર્યાવરણીય અહેવાલો અને પ્રી-ફિઝિબિલિટી સ્ટડી કરવા પડતા હોય છે.

ચોક્કસ રૂટના સર્વે નંબરો વાળા વિગતવાર એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ (EC) રિપોર્ટ સ્થાનિક કલેક્ટર કચેરી અથવા GPCB ની પ્રાદેશિક કચેરી ખાતે લોક-સુનાવણી (Public Hearing) દરમિયાન જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા હોય છે.