બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગુણ આપશે

ગાંધીનગર, તા. 16
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહેશે.

એક પરિપત્ર દ્વારા પરીક્ષા સચિવે તમામ શાળાના આચાર્યોને જાણ કરી છે. અહીં મહત્વનું છે કે ગયા વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ઓએમઆર પદ્ધતિ રદ્દ કરી નવી પરીક્ષા પદ્ધતિની જાહેરાત કરવામાં આવી હતી. જે અંગે હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને શાળાના આચાર્યોને અને પરીક્ષાર્થીઓને નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાશે એ અંગે માહિતગાર કરવા આદેશ આપવામાં આવ્યો છે.

પરિપત્રમાં શું કહ્યું છે?

ગુજરાતમાં પ્રતિવર્ષ 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે. આ સંજોગોમાં રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવે ધોરણ 10ના બદલાયેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ મામલે એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં માર્ચ 2020થી ધોરણ 10માં અમલીકરણ કરાયેલા નવા અભ્યાસક્રમ અને નવી પરીક્ષા પદ્ધતિ અંગે કરેલા પરિપત્ર મુજબ આગામી પરીક્ષા લેવાશે.

શૈક્ષણિક વર્ષ 2019-20થી એસએસસીની પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે, તેમ જ કેટલાક એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકો અમલી બન્યા છે. આ સંદર્ભે તમામ શાળાના આચાર્યોએ નિયમિત અને ફરી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કયા પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે તેની સ્પષ્ટતા ખાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ધોરણ 10માં અભ્યાસ કરતા નિયમિત વિદ્યાર્થીઓની 80-20ની પદ્ધતિથી વર્ષ 2020માં પરીક્ષા લેવાશે. જેમાં બોર્ડ દ્વારા પરીક્ષાનું પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે જ્યારે આંતરિક મુલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહેશે.

રિપીટરને પણ આ જ નિયમ લાગુ પડશે

માર્ચ 2020થી પ્રથમ ભાષા ગુજરાતી, મરાઠી, સિંધી, તમિલ, તેલુગુ, ઓડિયા, તેમ જ બીજી ભાષા ગુજરાતી, હિન્દી, સિંધી, અંગ્રેજી સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, પર્શિયન, અરેબિક અને ઉર્દૂના પાઠ્ય પુસ્તકો બદલાયા નથી. પણ પરીક્ષા પદ્ધતિ બદલાઈ હોવાથી પૂનરાવર્તિત ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 80 ગુણનું જ પ્રશ્નપત્ર અપાશે.
જ્યારે શૈક્ષણિક વર્ષ 2019-20થી હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ પ્રથમ ભાષા તેમ જ વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત જેવા વિષયોમાં એનસીઈઆરટી પેટર્નના નવા પાઠ્યપુસ્તકો અમલી બન્યા છે. તેથી આ વિષયોમાં 80 ગુણનું પ્રશ્નપત્ર અપાશે. જ્યારે આ વિષયોમાં પૂનરાવર્તિત વિદ્યાર્થીઓને જૂના પાઠ્યપુસ્તક આધારિત 80 ગુણનું પ્રશ્નપત્ર અપાશે.
અત્રે નોંધનીય છે કે, ધોરણ 10માં ગયા વર્ષ સુધી પરીક્ષામાં ઓએમઆર પદ્ધતિ અમલી હતી અને 100 ગુણનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા લેવાતું હતું, પણ આગામી 2020થી નવી પદ્ધતિથી પરીક્ષા લેવાશે.