26 હજાર કરોડની આવક ઘટી – મોદીએ ગુજરાતને 1 લાખ કરોડ તો ન આપ્યા પણ રૂપાણીએ 14 હજાર કરોડ આપીને પ્રજા પાસેથી રૂ.10 હજાર કરોડ સેરવી લીધા છે

ગાંધીનગર, 17 જૂન 2020

કેન્દ્રની મોદી સરકારે પ્રજા માટે રૂ.20 લાખ કરોડનું પેકેઝ બનાવેલું છે. જેમાં ગુજરાતને રૂ.1 લાખ કરોડ મળવા જોઈતા હતા. જે મળ્યા નથી. સામે ગુજરાત સરકારે રૂ.14452 કરોડના સહાય પેકેઝ જાહેર કરેલા છે. જેમાં રાજ્ય સરકારે રૂ.14022 કરોડનું ગુજરાત પેકેજ જાહેર કરેલું છે. આરોગ્ય સુવિધાઓ અને અન્ય અનુષાંગિક વ્યવસ્થાઓ માટે રૂ.430 કરોડનો વધારાનો ખર્ચ થશે.

ગુજરાત ભાજપની વિજય રૂપાણી સરકારે થોડું આપ્યું છે અને પેટ્રોલ પર વેરા વધારીને રૂ.1800 કરોડ મેળવી લીધા છે. કર્મચારી અને ધારાસભ્યોના પગાર ઘટાડીને રૂ.4000 કરોડ અને ધારાસભ્યોની ગ્રાંટ ઘટાડી પ્રજાના કામો પર કાપ મૂકી દઈને કૂલ 10 હજાર કરોડની બચત કરી છે.

ગુજરાતમાં ભયંકર મંદી અને બે મહિના કોરોના લોકડાઉનના  પરિણામે સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. રાજ્ય સરકાર કરકસર દ્વારા પણ નાગરિકોને જરૂરિયાત મુજબના લાભો અને સવલતો પૂરી પાડશે. ધંધા, રોજગાર, વેપાર, પ્રવાસન અને હોટલો સહિતના ઉદ્યોગો બંધ હતા.

ગુજરાતમાં આ વર્ષે અંદાજે રૂા.24500 થી 26000 કરોડની આવક ઘટશે. મુખ્યત્વે G.S.T.ની આવકમાં રૂા.10000 કરોડ, પેટ્રોલ, ડીઝલના વેટમાં થતી આવકમાં અંદાજે રૂ.8500 કરોડ, મોટર વાહન વેચાણ પર થતી આવકમાં રૂા.20000 કરોડ અને ઇલેકટ્રીસીટી ડ્યુટીમાં અંદાજે રૂા.13000 કરોડની આવક ઘટવાની સંભાવના છે.

પેટ્રોલ, ડીઝલની આવક ઘટતા ભાવમાં રૂા.2નો  વધારો

ગુજરાત સરકારે 16 જુન 2020થી પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા.2નો  વધરો કર્યો છે. તેથી રૂા.1500 થી 1800 કરોડ પ્રજા પર બોજ પડશે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂા.71.88 છે. જેમાં રૂા.2નો વધારો થતા તે રૂા.73.37 થશે. ડીઝલના ભાવ ગુજરાત રાજ્યમાં હાલ રૂા.70.12 છે. જેમાં પણ રૂા.2નો વધારો થતાં રૂા.72.12 થશે.

ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને વેટથી વાર્ષિક રૂ.23230 કરોડની આવકનો અંદાજ કરવામાં આવેલ હતો. મંદી અને કોરોના મહામારીની પરિસ્થિતિમાં વેટની આવક આશરે 30% થી 35% (રૂ.7000થી 8500 કરોડ) ઘટશે.

અન્ય રાજ્યોમાં મધ્યપ્રદેશમાં રૂા.83.83, મહારાષ્ટ્રમાં રૂા.83.86 અને રાજસ્થાનમાં રૂા.83.14 છે. ગુજરાત  કરતાં અન્ય રાજ્યો લીટરેના ભાવો રૂ.10થી 12 વધુ છે.

ધારાસભ્યોનો પગાર બંધ

કરકસરના પગલાઓ લીધા છે તે અંતર્ગત  મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યઓના માસિક વેતનમાં માર્ચ 2021 સુધી 30% નો કાપ મુકવામાં આવે છે. એજ રીતે ધારાસભ્ય વિસ્તારની ગ્રાંટના કામો બંધ કરી દેવાયા છે.

મોંઘવારી ભથ્થું

કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020થી 1લી જુલાઈ, 2021 સુધી ફ્રીઝ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલો છે. જેના પરિણામે રૂા.3400 કરોડની બચત થશે. નવા વાહનો, નવું ફર્નીચર, કોમ્પ્યુટર વગરે સાધનોની ખરીદી ઉપર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી

ચાલુ વર્ષે રૂ.8700 કરોડની આવકનો અંદાજ હતો. દર મહિને સરેરાશ રૂ.700 કરોડની આવક સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી થી થાય છે. પરંતુ એપ્રિલ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવક ફક્ત રૂ.5 કરોડ જ્યારે મે મહિનામાં આ આવક ફક્ત રૂ.25 કરોડની થયેલ છે. લોકડાઉન પછીના સમયમાં તબક્કાવાર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થયેલ છે, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ની આવકમાં આશરે 45% થી 50% નો (રૂ.3900 થી 4300 કરોડ) ઘટાડો થશે તે અંદાજ છે.

મોટાર વાહન કર

મોટાર વાહન કર – ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને મોટાર વાહન કરથી વાર્ષિક રૂ.4058 કરોડની સામે એપ્રિલ અને મે મહિનામાં મોટાર વાહન કરની આવક રૂ.60કરોડની થયેલી છે. લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ) વગેરેને 6 મહિનાના મોટર વ્હીકલ ટેક્ષ (રોડ ટેક્ષ) ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવેલ છે. જે રકમ રૂ.221 કરોડ થાય છે. માલવાહક ટ્રકો અને ટેમ્પો(ગુડ્સવ્હિકલ) માલિકોને  કોરોના પરિસ્થિતિમાં થયેલ આર્થિક નુકસાનને ધ્યાને લેતાં 1 એપ્રિલ-2020થી 31 મે-2020 સુધીનાબે મહિનાના સમયગાળા માટે ગુડ્સ મોટર વ્હીકલ ટેક્ષ (રોડ ટેક્ષ)  ભરવામાં માફી આપવામાં આવેલ છે.  જે રકમ રૂ.100 કરોડ થાય છે. એકંદરે, મોટાર વાહન કરની આવકમાં આશરે 40% થી 45% નો (રૂ.1800 થી 2000 કરોડ) ઘટશે. .

ઈલેક્ટ્રીસીટી ડ્યુટી

ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને ઈલેક્ટ્રીસીટી ડ્યુટીથી વાર્ષિક રૂ.8700 કરોડની આવકના અંદાજ હતો. વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં એપ્રિલ અને મે-2020નો ફિક્સ્ડ  ચાર્જ માફ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે રકમ રૂ.650 કરોડ થાય છે. એપ્રિલ અને મે મહિનામાં આર્થિક પ્રવૃત્તિઓ મર્યાદિત હોવાથી ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની આવકમાં આશરે 10 થી 15% નો (રૂ.800 થી 1300 કરોડ) ઘટાડો થશે.

રાજ્ય સરકારે ઉદ્યોગો ધમધમતા થાય એ માટે કેન્દ્બીય પૂર્વ સચિવ  હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને કમીટીએ અહેવાલ રજૂ કરેલ છે તેના અનુસંધાને બેઠકમાં આ મહત્વના નિર્ણય કરાયેલા છે. ઉપરની વિગતો નાણાં વિભાગનો હવાલો સંભાળતા નિતીન પટેલે આપી હતી.