अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी 3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad
ઓલમ્પિક માટે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને રૂ. 5 લાખ કરોડનું ખર્ચ આપશે કે નહીં તે નક્કી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 22/04/2025
ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની અરજી ભારતે વિશ્વની સંસ્થા સમક્ષ કરી છે. તેને મંજૂર કરાવવી હોય તો પાયાની સુવિધા અને સ્ટેડિયમ અત્યારથી હોવા જરૂરી છે. અમદાવાદના મોટેરામાં 650 એકર જમીન પર રમતના મેદાનો બનાવવા, આવાસ માટે ઓલિમ્પિક માસ્ટર પ્લાન બનાવ્યો છે. મોટેરા, સુઘડ, ભાટ અને કોટેશ્વર એમ ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે. કોટેશ્વર મહાદેવની મંદિરનો પણ ભોગ લેવાશે. કોટેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટમાં ગુજરાતનો વર્ષો જૂનું એક ઉદ્યોગગૃહ દાખલ થઈ ગયું છે. આ મંદિરની મુલાકાતે નીતિ અંબાણી અને પરિમલ નથવાણી ગયા હતા. હવે મંદિરની જમીન પર રમતના મેદાનો બની શકે છે. ઓલંપિકના ઉદઘાટન અને સમાપન સમારંભ માટેનું એક જ સ્ટેડિયમ બનાવવા માટે લગભગ 50 કરોડ ડોલર (રૂ.5 હજાર કરોડ)નું ખર્ચ થઈ શકે છે. આવા અનેક સ્ટેડિયમ અને 20 હજાર લોકોને રહેવાની વ્યવસ્થા કરવી પડશે. જમીન સાથે 2037 સુધીમાં ગુજરાતની પ્રૂરજાના ખિસ્સામાંથી . 5 લાખ કરોડનું ખર્ચ થઈ શકે એવો અંદાજ કેટલાંક આર્કિટેક મૂકી રહ્યાં છે. તેની સામે આજે ગુજરાતમાં 60 ટકા લોકોને ખાવા માટે સરકારે મફત અનાજ આપવું પડે છે. 33 ટકા ગરીબ ગુજરાત છે. શિક્ષણમાં ગુજરાત પછાત રાજ્ય છે. ત્યારે ખેલકુદ માટે આટલું જંગી ખર્ચ કરવું તે ગુજરાતને પરવડે તેમ છે.
તમામ ખર્ચ રૂ.. 5 લાખ કરોડનું કેન્દ્ર સરકારે આપવું જોઈએ. જમીન સાથેનું ખર્ચ કેન્દ્ર સરકાર આપે તો જ ગુજરાતને ઓલંપિક પરવડે તેમ છે. જે અંગે મોદી કે પટેલ સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સ્પષ્ટતા એટલા માટે કરવી જરૂરી છે કે ઓલંપીક પૂરી થાય ત્યાં સુધીમાં ગુજરાતના પ્રત્યેક કુટુંબ દીઠ રૂ. 5થી 6 લાખ વસૂલીને ખેલકુદ કરાવવાની છે.
આમ ઓલંપીકની યજમીની ગુજરાતના એક નેતાની વૈશ્વિક પ્રસિદ્ધી માટે આર્થિક રીતે મોંઘી અને ધાર્મિક રીતે પતન સમાન બની રહેશે.
280 એકર જમીનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રમતોનાં સ્ટેડિયમ તથા પ્રેક્ટિસ માટે સ્પોર્ટ્સ સુવિધાઓ હશે. 240 એકરમાં ઓલિમ્પિક વિલેજ બનશે. જેમાં ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફના રહેવાની સુવિધાઓ હશે.
ઉપરાંત સાબરમતી નદી કાંઠે 50 એકરમાં ફેલાયેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્પલેક્સ ઊભું કરાશે.
વિશ્વ રમત માટે યોગ્ય બનવા અને આયોજન કરવા માટે બિડિંગ કરવા માટે પાયાના સ્ટેડિયમ અને ખેલાડીઓને રહેવા માટેની સવલતો હોવી જરૂરી છે. જેની તૈયારી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારી શરૂ કરાઈ છે. જેમાં હિંદુ સંત અને તપસ્વીઓના આશ્રમોનો ભોગ પહેલાં લેવાયો છે. ત્રણ આશ્રમ, સંત આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ આશ્રમો છે.
3 આશ્રમો માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરશે. કમિટી નક્કી કરશે કે જમીન માટે વળતર આપવું કે અન્ય જગ્યા આપવી. સદાશિવ પ્રજ્ઞા મંડળ કેટલાક બાંધકામોને ત્યાં રહેવા દેવાની માંગણી છે. માસ્ટર પ્લાનમાં આ ફેરફાર કરી શકાય છે. સ્ટેડિયમ નજીક શિવનગર અને વણજારા વાસ જેવા કેટલાક રહેણાંક વિસ્તારો પણ માસ્ટર પ્લાનમાં લેવાયા છે. જેને ખાલી કરાવાશે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્સીની નિમણૂક કરી દેવામાં આવી છે. બહોળો અનુભવ ધરાવતી કોલજ કંપનીને આ કામ આપવામાં આવ્યું છે. આ માટે 12.5 કરોડની જંગી રકમ ખર્ચ કરવામાં આવશે. માસ્ટર પ્લાન ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે.
ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ઔડાના સીઈઓ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની ત્રણ સભ્યોની સમિતિ જમીન સંપાદનનું વળતર નક્કી કરવા માટે બનાવી છે. આસારામ આશ્રમના કિસ્સામાં સરકાર કોઈ વળતર આપે એવી શક્યતા નથી કેમ કે આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદેસર બાંધકામ કરવાનો આક્ષેપ મૂકીને નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત આસારામ આશ્રમે ચેરીટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને વિશ્વાસ ભંગ કર્યો હોવાનું પણ કલેક્ટરનો આક્ષેપ છે તેથી આસારામ આશ્રમને કોઈ વળતર ના આપવું જોઈએ એવો સમિતિનો મત છે.
અમદાવાદ શહેરની આસપાસ 12થી 25 કિમી વિસ્તારમાં 5 શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન છે. જેમાં કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે. કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની પસંદગી ઓલિમ્પિકના સેટેલાઈટ ટાઉન માટે થવાની છે. 2036માં જો ભારતમાં ઓલમ્પિક રમતો માટે મંજૂરી વિશ્વ આપે તો ગુજરાતમાં 12 હજાર ખેલાડીઓ વિશ્વભરમાંથી આવી શકે છે. તેને રહેવા, જમવા, રમવા માટેની વિશાળ ભવનો અને મેદાનો વિકસાવવા પડશે. આ લાયકાત મેળવવા મંજૂરી પહેલાં કેટલાક સ્ટેડિયમ અને રહેણાંક હોવા જરૂરી છે. લાયકાત મેળવવા માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે.
ગુજરાતમાં પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી અને મણિપુર-ગોધાવી, નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર, બોર્ડ ઓથોરિટી ઓફ ગુજરાત અરેના, આઇઆઇટી જીએનએન અરણ્ય ઉદ્યાન, સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ અરેના, એકા અરેના, કેન્સવેલા ગોલ્ફ ક્લબ સહિતની જગ્યાએ યોજાશે.
ઓલિમ્પિક વિલેજ અમદાવાદના મોટેરામાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ નજીક સ્થાપિત કરવામાં આવશે. ભાટ અને આસપાસના વિસ્તારોમાં બની રહેલા ઓલિમ્પિક વિલેજના 20 કિમીના ત્રિજ્યામાં અમદાવાદ અને ગાંધીનગરમાં 14 સ્થળોએ 30 રમતો રમાશે.
માસ્ટર પ્લાન મુજબ, 2036 ઓલિમ્પિકની 80 ટકા રમતગમતોનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં થશે, જ્યારે 20 ટકા રમતો અન્ય ચાર રાજ્યોમાં યોજાશે.
વિશ્વની સૌથી મોટી અને જાજરમાન સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓલમ્પિકનું આયોજન દર ચાર વર્ષે અલગ દેશમાં કરવામાં આવે છે, ગત વર્ષે ઓલમ્પિકનું આયોજન ફ્રાંસના પેરીસ શહેરમાં થયું હતું. હવે આગામી 2028 ઓલિમ્પિક ગેમ્સ યુએસના લોસ એન્જલસમાં યોજાશે, જ્યારે 2032ની ઓલમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનમાં યોજાશે. હવે ભારત દાવો કરવાનું છે તે માટે સુવિધા હોવી જરૂરી છે. તેની તૈયારી થઈ રહી છે.
2024ની ઓલિમ્પિકમાં 32 રમતોમાંથી 329 ગોલ્ડ મેડલ, 206 એસોસિયેશન અને દેશોના 10,500 ખેલાડીઓ હતા. ભારતના પેરિસ ઓલિમ્પિકમાં 16 રમતોમાં 117 ખેલાડીઓ હતા. આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.
2023 સુધીમાં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો ઈતિહાસ 124 વર્ષ જૂનો છે. તેણે આ ગેમ્સમાં 27 વખત ભાગ લીધો છે. ભારતે આ રમતોમાં સૌ પ્રથમ વખત 1900માં ભાગ લીધો હતો. તે વર્ષે પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસમાં કરવામાં આવ્યું હતું. 1900માં માત્ર એક જ ખેલાડીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેનું નામ નોર્મન પ્રિટકાર્ડ હતું. તેમણે દેશ માટે બે મેડલ જીત્યા છે. પ્રિટકાર્ડે 200 મીટર અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલ્સને ઓલિમ્પિક એસોસિએશન અનુસાર ભારતના ખાતામાં ગણતરી કરવામાં આવે છે, જ્યારે વર્લ્ડ એથ્લેટિક્સ અનુસાર આ મેડલ્સ બ્રિટનના ખાતામાં છે.
કેન્દ્ર સરકારે 2024ના 1 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ(IOC) સમિતિને એક પત્ર સુપરત કર્યો હતો, IOC ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો નિર્ણય લે છે. જેમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હજું નિર્ણય લેવાયો નથી કે ભારતમાં ઓલંપિક રમાશે.
2029ની યુથ ઓલિમ્પિક ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સ ગેમ્ય માટે બિડ કરવા રાજ્ય સરકાર 750 એકર જમીન હસ્તગત કરવાની છે. આ માટે ખાનગી કંપનીઓની સાથે ભાગીદારી કરશે. રમતો યોજાવાની છે તેની નજીક રમતવીરો માટે એક જગ્યા બનાવવામાં આવે છે, જેમાં ખેલાડીઓને દરેક સુવિધા પૂરી પાડવામાં આવે છે. રમતવીરો માટે આવાસને ઓલિમ્પિક ગામ કહેવામાં આવે છે. આ ઓલિમ્પિક ગામમાં દેશ અને દુનિયાના તમામ ખેલાડીઓ એકસાથે આવે છે. સામુદાયિક સેવાઓ આપે છે.
સ્કીલ અને નોલેજ કોરિડોર, મેટ્રે રેલ વિસ્તરણ કરાશે. 6000 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, મણીપુર- ગોધાવી- ગરોડિયા સ્પોર્ટ્સ સિટી અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યાં છે.
અમદાવાદ ફરતે એક રિંગ રોડનો પ્રોજેક્ટ પણ છે. સરદાર પટેલ રિંગ રોડ નજીક 90 મીટર પહોળો આઉટર રિંગ રોડ વિકસાવાશે જ્યાં આ કોરિડોર આકાર લેશે. 35 મીટરનો બોપલ -પાલોડિયા રોડ પણ ડેવલપ કરવાનો પ્લાન છે. મણીપુર, ગોધાવી અને ગરોડિયામાં 750 એકર જમીન સંપાદન કરાશે. ત્યાં માર્ગ વ્યવહાર સારો છે. સરકાર મેટ્રો રેલને પણ મણિપુર સુધી વિસ્તારવા વિચારે છે.
પશ્ચિમ ભાગમાં 90 મીટર પહોળા રિંગ રોડ અને 36 મીટરના બોપલ પલોડિયા રોડ પાસે સ્પોર્ટ્સ કોરિડોર વિકસાવવામાં આવી શકે છે.
નાનું સ્પોર્સ શહેર બનાવવા માટે મોટેરામાં આસારામ આશ્રમ સહિત 3 આશ્રમને 140 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ આપી હતી. જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકમ કરાયો હતો.
ગુજરાતના અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સ માટે સ્ટેડિયમ બાંધવા જમીન સંપાદન શરૂ કરવામાં આવ્યું હતું. આસારામ આશ્રમ સહિત ૩ સંસ્થાને કલેક્ટર દ્વારા જમીન ખાલી કરવા હુકમ કરાયો છે.
મોટેરાના આશ્રમમાં શરત ભંગ થતા ૩૩૯૮૦ ચો.મી જમીન પરત લેવાશે. અન્ય બે સંસ્થાની ૯૩ હજાર ચો.મી જમીન પરત લેવાશે. અમદાવાદના આશારામ આશ્રમ, સદાશિવ પ્રગ્ના મંડળ, ભારતીય સેવા સંઘને સરકારે ફાળેવલી જમીન શરત ભંગ કરેલ હોવાથી પરત લેવા હુકમ કરવામાં આવ્યો છે.
આસારામ આશ્રમની જમીન 34 હજાર ચોરસ મીટર, ભારતીય સેવા સંઘની 81 હજાર ચોરસ મીટર અને સદાશિવ પ્રગ્ના મંડળની 12 હજાર ચોરસ મીટર જેટલી જમીનનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓને શરત ભંગની નોટિસ આપવામાં આવી હતી. યોગ્ય રજૂઆત અને ખુલાસા કરવાની તક આપ્યા બાદ ગત 4 એપ્રિલના રોજ જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકમ કરવામાં આવેલ છે.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદના જિલ્લા કલેક્ટર અને ઔડાના સીઈઓ મળીને જમીન સંપાદન કરવા માટે કામ કરી રહ્યા છે. ઔડા એટલે અમદાવાદ અર્બન એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. આ સંસ્થા શહેરના વિકાસ માટે યોજનાઓ બનાવે છે.
આસારામ આશ્રમના કિસ્સામાં વળતરની શક્યતા નથી. અમદાવાદ જિલ્લા કલેકટરે આશ્રમ પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો અને ચેરીટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધાકીય હેતુઓ માટે કરીને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે, સમિતિએ આસારામ આશ્રમને કોઈ વળતર ન આપવાની ભલામણ કરી છે.
20 ફેબ્રુઆરી, 2025થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં રહેતા લોકોને સ્થળાંતર કરવા નિર્યણ લેવાયો હતો. અમદાવાદની કલેક્ટર કચેરીને જમીન સંપાદન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
સરકાર 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદને સારી રીતે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.
લોકોને અન્ય સ્થળોએ ખસેડવાની અને આશ્રમોને સ્થળાંતર કરવાનું કામ ટૂંકમાં કરાશે. ગુજરાતે ઓલિમ્પિક 2036 માટે બીડ કર્યું છે. તેના માટે સરકાર અત્યારથી જ આયોજન કરી રહી છે. ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના 5 નાનકડા વિસ્તારોની રોનક બદલાઈ જશે.
36મી નેશનલ ગેમ્સ
ગુજરાત 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે પ્રથમ વખત પ્રતિષ્ઠિત રમતોત્સવ એટલે કે 36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરો હતા.
ઈતિહાસ
પ્રાચીન ઓલિમ્પિક 776 BC માં શરૂ થયું હોવાનું માનવામાં આવે છે.
પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 1200 વર્ષ પહેલા યોદ્ધા-એથ્લેટ્સ વચ્ચે કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં, શાંતિપૂર્ણ સમયગાળા દરમિયાન યોદ્ધાઓ વચ્ચેની સ્પર્ધા સાથે રમતોનો વિકાસ થયો હતો. પ્રારંભિક સમયગાળામાં, દોડ, બોક્સિંગ, કુસ્તી અને રથ દોડ લશ્કરી તાલીમનો ભાગ હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા યોદ્ધાઓએ સ્પર્ધાત્મક રમતોમાં તેમની કુશળતા દર્શાવી હતી.
આધુનિક ઓલમ્પિક 128 વર્ષ પહેલા એટલે કે 1896માં ગ્રીસની રાજધાની એથેન્સમાં પહેલી ઓલંપીક ગેમ્સ રમાઈ હતી.
ઓલિમ્પિક નામ તેને માઉન્ટ ઓલિમ્પિયા પર રમાતી હોવાના કારણે અપાયું હતું. ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન શહેરો અને રાજ્યો વચ્ચેની લડાઈ પણ મોકૂફ રાખવામાં આવી હતી. રમતોમાં લડાઈ અને ઘોડેસવારી ખૂબ જ લોકપ્રિય રમતો હતી.
એથેન્સ ઓલિમ્પિક ગેમ્સ 14 દેશના 200 ખેલાડીઓએ 43 ઈવેન્ટમાં ભાગ લીધો હતો. પેરિસને ઓલિમ્પિકની યજમાની કરવા 1900માં તેને તક મળી. બોક્સિંગ, કુસ્તી અને ઘોડેસવારી જેવી રમતો રમાતી હતી. તે સમયે જે ખેલાડીઓ વિજેતા બનતા હતા તેમને પ્રતિમાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવતું હતું.
રાજકીય ફેરફારો અને ખ્રિસ્તી ધર્મના ઉદયને કારણે પ્રાચીન ઓલિમ્પિક્સનું પતન થયું, જે મૂર્તિપૂજક તહેવારોને પ્રતિકૂળ રીતે જોતા હતા. 393 AD માં સમ્રાટ થિયોડોસિયસ I દ્વારા રમતોને સત્તાવાર રીતે નાબૂદ કરવામાં આવી હતી. ઘણી સદીઓ પછી, 19મી સદીના અંતમાં પિયર ડી કુબર્તિન દ્વારા ઓલિમ્પિક ભાવનાને પુનર્જીવિત કરવામાં આવી હતી.
રમતો દ્વારા શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપવાનો હતો. પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સ 1896માં એથેન્સમાં યોજાઈ હતી. એથેન્સમાં 14 દેશના 245 પુરૂષ ખેલાડીઓ હતા અને 43 રમત હતી. જેણે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ માટે નવા યુગની શરૂઆત કરી હતી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ની સ્થાપના રમતોના સંગઠન અને વિકાસની દેખરેખ માટે કરવામાં આવી હતી.
ઓલિમ્પિક ગેમ્સના પ્રતીકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ એમ પાંચ રંગ વિશ્વના પાંચ ખંડનું પ્રતીક છે. ગ્રીસમાં અગ્નિને દેવ માનવામાં આવતો તેથી ઓલિમ્પિક ગેમ્સનું પ્રતિક મશાલ રખાયું. મશાલ હેરાના મંદિરની જ્યોતમાંથી પ્રગટાવી રમતના સ્થળે લઈ જવાઈ હતી.
ઈ.સ. 1900માં બીજી ઓલિમ્પિક પેરિસમાં યોજાયેલી. 26 દેશના 1319 રમતવીરો અને 75 રમત હતી. 12 મહિલા રમતવીરોએ પ્રથમવાર ભાગ લીધો.
1908માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં 100 રમતોમાં 2 હજાર ખેલાડી હતા.
પૂર્ણ ઇતિહાસ (ગુજરાતી વિશ્વકોશના સહયોગથી)
રમતોત્સવ દર ચાર વર્ષે ગ્રીસમાં ઓલિમ્પસ પર્વતની તળેટીમાં ઓલિમ્પિયાના મેદાનમાં યોજાતો હતો, તેથી તેનું નામ ‘ઓલિમ્પિયન’ પડ્યું હતું. આ ‘ઓલિમ્પિયન’ શબ્દ ઉપરથી હાલનો ‘ઓલિમ્પિક’ ઊતરી આવ્યો છે.
પ્રથમ સ્પર્ધાનું મેદાન 643’ × 97’ જેટલું હતું જેની આજુબાજુ 40,000 પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. પ્રથમ રમતોત્સવમાં એલિસનો યુવાન કોરોબસ વિજેતા થયો હતો. શરૂઆતમાં આ રમતોત્સવ ઘણી જ સાદાઈથી યોજાતો હતો અને વિજેતાઓને પવિત્ર ઓલિવ વૃક્ષની ડાળીઓનો તાજ બનાવીને પહેરાવવામાં આવતો હતો. તે જમાનામાં સ્ત્રીઓ માટે આ રમતોત્સવમાં ભાગ લેવાની તેમજ તે જોવાની મનાઈ હતી. પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ 600 વર્ષથી પણ વધુ સમય સુધી યોજાયો હતો. પછી ધીમે ધીમે આ રમતોત્સવમાં રમત પ્રત્યેની સદભાવનાનો લોપ થવાથી, નૈતિકતાનું ધોરણ નીચું જવાથી અને ધંધાદારી સ્પર્ધકોનો પ્રવેશ થતાં આ રમતોત્સવને ઈ.સ. 375માં રોમન શહેનશાહ થિયોડોસિયસે બંધ કર્યો.
ઓલિમ્પિક રમતોનું પતીક
આધુનિક ઓલિમ્પિક રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય ફ્રેંચ ઉમરાવ બેરન દ. કુબર્તિનને ફાળે જાય છે. તે ચોક્કસપણે માનતા કે આ રમતોત્સવ આંતરરાષ્ટ્રીય મૈત્રી અને શાંતિ સ્થાપવામાં ખૂબ જ અસરકારક નીવડશે. ઓલિમ્પિક રમતોત્સવ માટે 1892ના નવેમ્બરની 25મી તારીખે પેરિસમાં યોજાયેલ ફ્રેંચ યુનિયનની ખેલકૂદ સભામાં યોજના રજૂ કરી. 1894માં તેમણે પેરિસમાં એક આંતરરાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. આ અધિવેશનમાં 13 દેશો હાજર હતા અને બીજા 21 દેશોએ સંમતિ મોકલી હતી. આ અધિવેશનમાં પ્રતિ ચાર વર્ષે ગ્રીક ઓલિમ્પિક રમતોના ધોરણે વિશ્વ ઓલિમ્પિક ઉત્સવ યોજવાનું નક્કી થયું અને તે પ્રમાણે 1896ની છઠ્ઠી એપ્રિલે ઍથેન્સ મુકામે પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો.
કુબર્તિન પોતે ઓલિમ્પિક ધ્વજની રૂપરેખા તૈયાર કરી, એમાં શ્વેત કાપડ (શ્વેત રંગ શાંતિનો સૂચક છે.) ઉપર લાલ, લીલા, પીળા, વાદળી અને કાળા રંગના પાંચ વર્તુળ એકબીજામાં સાંકળીને ડબલ્યુ આકારે દર્શાવવામાં આવ્યા છે. આ પાંચે વર્તુળ યુરોપ, અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડનાં સૂચક છે. આ વર્તુળોની નીચે ઓલિમ્પિકનો મુદ્રાલેખ લેટિન ભાષામાં ત્રણ શબ્દોમાં લખાયો છે ‘‘સાઇટિયસ (citius), અલ્ટિયસ (altius), ફોર્ટિયસ (forius)’’ જેનો અનુક્રમે અર્થ થાય છે : વધુ ઝડપે, વધુ ઊંચે અને વધુ તાકાતથી. ખેલાડીઓને વધુ ઝડપે દોડવાની, વધુ ઊંચે કૂદવાની અને વધુ તાકાતથી ફેંકવાની પ્રેરણા તેમાં અભિપ્રેત છે. આ ધ્વજ પહેલવહેલો 1920માં એન્ટવર્પમાં ફરકાવવામાં આવ્યો હતો.
ઓલંપિક ની 5 રિંગ નું શું મહત્વ છે?
સ્પર્ધાઓના ઉદઘાટન પ્રસંગે ‘ઓલિમ્પિક ગીત’ વગાડવામાં આવે છે, તથા ખેલાડીઓ નૈતિક અને માનસિક રીતે આ રમતોત્સવની ભાવના અને પવિત્રતા સમજે તેટલા માટે બધા જ ખેલાડીઓ આ પ્રસંગે ‘પ્રતિજ્ઞા’ લે છે. આ પ્રતિજ્ઞાવાચનની પ્રણાલિકા પણ 1920માં એન્ટવર્પ મુકામે યોજાયેલા રમતોત્સવથી શરૂ થઈ છે. યજમાન દેશનો ઉત્તમ ખેલાડી બધા વતી શપથ ગ્રહણ કરે છે. 1936માં બર્લિન મુકામે યોજવામાં આવેલા અગિયારમા ઓલિમ્પિક રમતોત્સવમાં સૌપ્રથમ ‘આતશ’(olympic flame)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોનો આવકાર મળતાં આ વિધિ કાયમી બની. આ આતશ જ્યોત રમતોત્સવ દરમિયાન સન્માન સાથે જલતી રાખવામાં આવે છે. રમતોત્સવની પૂર્ણાહુતિ વખતે ભાવપૂર્વક તેને ઓલવવાની ક્રિયા સાથે આગામી ઓલિમ્પિક ક્યાં યોજાશે તેની જાહેરાત કરવામાં આવે છે.
ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન અને પૂર્ણાહુતિ સમારંભ દરમિયાન ઓલિમ્પિક શિષ્ટાચાર(protocol)નું પાલન કરવાનું હોય છે. ઉદઘાટન પ્રસંગે બધા દેશો વર્ણાનુક્રમે ગોઠવાઈને કૂચ કરે છે. ગ્રીસ તથા યજમાન દેશ તેમાં અપવાદ છે. રમતોત્સવના સ્થાપક તરીકે ગ્રીસ કૂચમાં હમેશાં મોખરે હોય છે. અને યજમાન દેશ સૌથી છેલ્લે હોય છે. જે સ્થળ ઉપર રમતોત્સવનું ઉદઘાટન થયું હોય તે જ સ્થળ ઉપર પૂર્ણાહુતિ સમારંભ રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ રમતોત્સવના સમાપનની સત્તાવાર જાહેરાત કરે છે.
ઓલિમ્પિક રમતોના પ્રણેતા બૅરન પિયર દ કુબર્તિન
સમગ્ર ઓલિમ્પિક રમતોત્સવનું સંચાલન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ કરે છે; તે સંપૂર્ણ રીતે બિનરાજકીય સંસ્થા છે. ઓલિમ્પિક સિદ્ધાંતોની રક્ષા કરીને આ રમતોત્સવનું વિશ્વકક્ષાએ નિયમન પણ આ સમિતિ કરે છે. આ સમિતિના સભ્ય થવાનું પ્રથમ બહુમાન ભારતના સર દોરાબજી જમશેદજી તાતાને 1920માં મળ્યું હતું. ત્યારબાદ આજ સુધીમાં જી. ડી. સોંધી, રાજા ભલિન્દરસિંઘ અને અશ્વિનીકુમારને આ બહુમાન પ્રાપ્ત થયું છે.
આધુનિક ઓલિમ્પિક રમતો 1896ની છઠ્ઠી એપ્રિલે પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ એથેન્સના પાનએથેનૈકા સ્ટેડિયમ પર યોજવામાં આવ્યો હતો. આમાં 12 દેશોના 500 જેટલા સ્પર્ધકોએ સાત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ગ્રીસ માત્ર મેરેથોન દોડમાં વિજય પ્રાપ્ત કરી શક્યું હતું. 1900માં પેરિસમાં વિશ્વ પ્રદર્શનની સાથે સાથે ઓલિમ્પિક પણ યોજવામાં આવ્યું હતું. આથી તે મુખ્ય આકર્ષણ મેળવી શક્યું નહોતું. આ રમતોત્સવમાં 20 દેશોના આશરે 1,000 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં વૉટર પોલો અને યૉટિંગની રમતો ઉમેરવામાં આવી હતી અને મહિલાઓએ લોન ટેનિસના ખેલાડીઓ તરીકે પ્રથમ વાર ભાગ લીધો હતો. 1904ની ત્રીજી ઓલિમ્પિક સેંટ લુઈસમાં યોજાઈ હતી, જેમાં 10 દેશોના આશરે 500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. મોટાભાગના સ્પર્ધકો યજમાન દેશ અમેરિકાના જ હતા અને તેથી વધુમાં વધુ ચંદ્રકો પણ તેમને ફાળે ગયા હતા. 1908માં લંડન ઓલિમ્પિક્સમાં 22 દેશોના 2,023 રમતવીરોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ફૂટબૉલ, ડાઇવિંગ, ફીલ્ડ હૉકી અને આઇસ હોકીને પ્રથમ વાર સ્થાન અપાયું. 1912માં આ રમતોત્સવ સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં વિશ્વના તમામ ખંડો ભેગા થયા હતા અને 57 મહિલા સહિત 28 દેશોના 2,484 ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો.
1916માં છઠ્ઠો રમતોત્સવ જર્મનીમાં બર્લિન મુકામે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે યોજી શકાયો નહિ. 1920માં સાતમો રમતોત્સવ બેલ્જિયમના પાટનગર એન્ટવર્પમાં યોજાયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધના વિજેતા દેશોના ખેલાડીઓને જ ભાગ લેવાની છૂટ અપાઈ હતી. અને આ રીતે 29 દેશોના 2,543 રમતવીરોએ તેમાં ભાગ લીધો હતો. 1920માં પહેલી વાર ભારતના 4 એથલીટ અને 2 કુસ્તીબાજોએ બિનસત્તાવાર રીતે ભાગ લીધો હતો. આ રમતોત્સવે ફિનલેન્ડના ‘ઊડતા ફિન’ તરીકે ખ્યાતિ પામેલા પાવો નુર્મી નામના એક ગજબનાક રમતવીરનો પરિચય કરાવ્યો હતો. તેણે ત્રણ ઓલિમ્પિક 1920, 1924 અને 1928માં કુલ દસ રમતોમાં ભાગ લઈ સાત વાર પ્રથમ અને ત્રણ વાર બીજું સ્થાન મેળવ્યું હતું. 1924માં ઓલિમ્પિક રમતો બીજી વાર પેરિસમાં યોજવામાં આવી. આ રમતોત્સવમાં પણ પ્રથમ વિશ્વયુદ્ધના વિજેતા 44 દેશોના 5,533 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં એચ. સી. બકના નેતૃત્વ હેઠળ ભારતના 9 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 1924થી જ ઓલિમ્પિક ઇતિહાસમાં પહેલી જ વાર અલગ શિયાળુ ઓલમ્પિક રમતોત્સવની શરૂઆત થઈ હતી.
નવમી ઓલિમ્પિક રમતો 1928માં આમસ્ટર્ડામમાં યોજાઈ હતી. આમાં મહિલાઓએ પ્રથમવાર ઍથલેટીકસમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં 46 દેશોના 2,725 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ભારતે પ્રથમ વાર હોકીમાં ભાગ લઈ ઓલિમ્પિકનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો હતો. 1932માં અમેરિકાના લોસ એન્જેલસ મુકામે દશમો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં એથ્લેટિક્સમાં 19 નવા વિક્રમો સ્થપાયા હતા અને ભારતે હોકીમાં સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો હતો. 1936માં બર્લિન ખાતે અગિયારમો રમતોત્સવ યોજાયો હતો; એમાં 50 દેશોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં જેસી ઑવેન્સે 100 મીટર, 200 મીટર, લાંબો કૂદકો અને 4 × 100 મીટરની ટપ્પા દોડમાં ભાગ લઈ 4 સુવર્ણચંદ્રકો જીત્યા હતા. ભારતે ‘હૉકીના જાદુગર’ ધ્યાનચંદની સરદારી હેઠળ સતત ત્રીજી વાર હોકીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. બારમી વિશ્વ ઓલિમ્પિક સ્પર્ધા 1940માં ટોકિયો મુકામે અને 1944માં તેરમી સ્પર્ધા હેલસિન્કી મુકામે યોજવામાં આવનાર હતી પણ બીજા વિશ્વયુદ્ધને કારણે યોજી શકાઈ નહોતી. 1948માં ચૌદમો રમતોત્સવ ફરીથી લંડન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 59 દેશોનાં 4,000થી વધુ પુરુષ અને 438 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં હૉલેન્ડની ફેની બ્લૅન્કર્સ-કૉપેન નામની બે બાળકોની માતાએ 100 મીટર, 200 મીટર, 80 મીટરની વિઘ્નદોડ અને 4 × 100 મીટરની ટપ્પા દોડમાં વિજયી નીવડી, કુલ ચાર સુવર્ણચંદ્રક જીત્યા હતા. ભારતે હૉકીમાં તેની સર્વોપરિતા જાળવી રાખી અને ચોથો સુવર્ણ ચંદ્રક જીત્યો. 1952માં રમતોત્સવ હેલસિન્કી મુકામે યોજવામાં આવ્યો ત્યારે તેમાં 61 દેશોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં સર્વશ્રેષ્ઠ દેખાવ ચેકોસ્લોવેકિયા ઝાટોપેક (Zatopek) દંપતીનો રહ્યો હતો. એમિલ ઝાટોપેકે 10,000 મીટર; 5,000 મીટર અને મેરેથોન દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યા હતા જ્યારે તેમની પત્નીએ બરછી-ફેંકમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ભારતે સતત પાંચમી વાર હોકીમાં સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો હતો અને ભારતના કુસ્તીબાજ કે. ડી. યાદવે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો, જે ભારતનો ઓલિમ્પિકમાં હોકી સિવાયનો એકમાત્ર બીજો ચંદ્રક છે. 1956માં ઓલિમ્પિક રમતો મેલબોર્ન મુકામે યોજાઈ હતી. ભારતે ફરીવાર હોકીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતની ફૂટબોલ ટીમે પ્રથમ વાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને બલ્ગેરિયા સામે હારી જવાને કારણે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું. 1960ની રમત રોમ ખાતે યોજવામાં આવી ત્યારે 84 રાષ્ટ્રોના 6,000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ભારતના મિલ્ખાસિંહે 400 મીટરમાં ઓલિમ્પિક વિક્રમ તો તોડ્યો, પણ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું જે આજ સુધીમાં ભારત તરફથી પુરુષ ખેલાડીનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. હોકીમાં ભારતે પહેલી જ વાર પાકિસ્તાન સામે હારીને 32 વર્ષ સુધી જાળવેલી સર્વોપરિતા ગુમાવી. 1964માં અઢારમી વિશ્વ ઓલિમ્પિક પ્રથમ વાર એશિયા ખંડના ટોકિયો શહેરમાં યોજવામાં આવી; એમાં 94 દેશોએ ભાગ લીધો હતો. ભારતે પાકિસ્તાનને એક ગોલથી હરાવી હોકીનું વિજેતા પદ પાછું મેળવ્યું હતું. 1968ની વિશ્વ ઓલિમ્પિક 2240.0 મીટરની ઊંચાઈએ આવેલા મેક્સિકો શહેરમાં યોજવામાં આવી હતી. આ રમતોત્સવમાં 112 દેશોના 7,886 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં અમેરિકાના ડિક ફોસ્બરીએ પોતાની નિરાળી પદ્ધતિથી 2.24 મીટર ઊંચો કૂદકો મારી નવો વિક્રમ સ્થાપ્યો હતો અને ‘ફોસ્બરી ફ્લૉપ’ની નવી પદ્ધતિ વિશ્વને આપી હતી. એવી રીતે અમેરિકાના બોબ બિર્માને 8.9 મીટર લાંબો કૂદકો મારી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. ભારતે હોકીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
ઑલિમ્પિક રમતનું એક ર્દશ્ય
1972માં મ્યુનિક ખાતે રમતોત્સવ યોજાયો હતો, જેમાં 9,000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે હૉકીમાં કાંસ્ય ચંદ્રક જાળવી રાખ્યો. આ ઉત્સવ દરમિયાન પેલેસ્ટાઇન તરફી હુમલાખોરોએ ઇઝરાયલના 9 ખેલાડીઓનું અપહરણ કર્યું હતું જેમને છોડાવવા જતાં બાનમાં લીધેલા 9 ખેલાડીઓ ઉપરાંત 5 આતંકવાદી તથા પશ્ચિમ જર્મનીનો એક પોલીસ માર્યા ગયા હતા. આ રમતોત્સવમાં 99 ચંદ્રકો સાથે સોવિયત સંઘ પ્રથમ, અમેરિકા દ્વિતીય અને પૂર્વ જર્મની તૃતિય સ્થાને રહ્યા હતા. 1976માં ઓલિમ્પિક રમતો કેનેડાના મોન્ટ્રિયલ ખાતે યોજવામાં આવી હતી. આ રમતોત્સવમાં રોમાનિયાની 14 વર્ષની નાદિયા કોમોનેચીએ જિમ્નાસ્ટિક્સમાં 10માંથી 10 ગુણ મેળવીને ચમત્કાર સર્જ્યો હતો. પહેલી જ વાર હોકીમાં ન્યૂઝીલૅન્ડ પ્રથમ સ્થાને આવ્યું હતું અને ભારતને સાતમું સ્થાન પ્રાપ્ત થયું હતું. આ રમતોત્સવમાં પૂર્વ જર્મનીનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો અને 90 ચંદ્રકો સાથે અમેરિકાને પાછળ મૂકી સોવિયત સંઘ પછી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1980માં આ રમતો પ્રથમ વાર સામ્યવાદી દેશ રશિયાના પાટનગર મૉસ્કો ખાતે યોજવામાં આવી હતી. આ રમતોત્સવમાં ભારતના 62 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે 16 વર્ષ પછી હોકીમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.
1984માં ત્રેવીસમો રમતોત્સવ ફરી એક વાર અમેરિકાના લોસ એન્જેલસ મુકામે 28 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાયો હતો. આ રમતોત્સવ પાછળ આશરે 50 કરોડ ડૉલર જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં અમેરિકાના કાર્લ લુઈસે ચાર સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરીને જેસી ઑવૅન્સની બરાબરી કરી હતી. આ રમતોત્સવમાં ભારતના 48 ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ ફક્ત પી. ટી. ઉષાનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો. તેમણે 400 મીટરની વિઘ્નદોડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1988માં ચોવીસમો ઓલિમ્પિક રમતોત્સવ દક્ષિણ કોરિયામાં સોલ (Seol) શહેરમાં યોજાયો હતો. તેમાં 161 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારત એમાં એક પણ ચંદ્રક ન મેળવી શક્યું. છેલ્લે 132 ચંદ્રકો સાથે રશિયા પ્રથમ, 102 ચંદ્રકો સાથે પૂર્વ જર્મની દ્વિતીય, 94 ચંદ્રકો સાથે અમેરિકા તૃતીય અને યજમાન દેશ દક્ષિણ કોરિયા 33 ચંદ્રકો સાથે ચોથા સ્થાને રહ્યા હતા.
1992માં 25મા ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન 25 જુલાઈથી 8 ઑગસ્ટ દરમિયાન સ્પેનમાં બાર્સેલોના મુકામે કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં 9,364 ખેલાડીઓએ 24 રમતોમાં ભાગ લીધો હતો. વિવિધ સ્ટેડિયમો પર આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાર્સેલોના ઓલિમ્પિક્સને એક યાદગાર રમતોત્સવ બનાવવા માટે સ્પેનની સરકાર તથા પ્રજાએ ન કલ્પી શકાય તેવી જહેમત ઉઠાવી હતી. આ ઓલિમ્પિક્સમાં એશિયાઈ દેશોનો દેખાવ સારો રહ્યો હતો. આ રમતોત્સવમાં એથ્લેટિક્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ અમેરિકાનો રહ્યો હતો. બાર્સેલોના ઓલિમ્પિક્સમાં ભારતના 85 ખેલાડીઓએ 12 રમતોમાં ભાગ લીધો હતો; પરંતુ ભારતનો કોઈ પણ ખેલાડી ચંદ્રક મેળવવામાં સફળ થયો ન હતો.
1996માં 26મા ઓલિમ્પિક રમતોત્સવનું અમેરિકામાં ચોથી વાર એટલાન્ટા મુકામે 19 જુલાઈથી 4 ઑગસ્ટ દરમિયાન સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. એ રીતે વિશ્વના સૌથી મહાન રમતોત્સવએ 100 વર્ષ પૂરાં કર્યાં હતાં. આ શતાબ્દી રમતોત્સવ માટે એટલાન્ટા શહેરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન અને સમાપન 23 કરોડ ડોલરના ખર્ચે તૈયાર થયેલ સ્ટેડિયમ પર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ક્યારેય ઉપયોગમાં ન લેવાઈ હોય એવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો હતો. એટલાન્ટા શતાબ્દી ઓલિમ્પિક રમતોત્સવનું ભવ્ય અને રંગદર્શી ઉદઘાટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટને કર્યું હતું. આ 26મા ઓલિમ્પિક રમતોત્સવની પવિત્ર જ્યોત 1960ના સુવર્ણચંદ્રક વિજેતા બૉક્સર મોહમ્મદ અલીએ ધ્રૂજતા હાથે (પાર્કિન્સન્સના રોગના કારણે) પ્રજ્વલિત કરી હતી. આ શતાબ્દી ઓલિમ્પિકના ઉદઘાટન પ્રસંગે આજ સુધી યોજાઈ ગયેલ તમામ ઓલિમ્પિક રમતોત્સવોને યાદ કરવામાં આવ્યા હતા. આ સાથે ઓલિમ્પિકના જન્મદાતા શ્રી બેરન ડી. કુબરટિનને દર્શાવી સ્મરણાંજલિ આપવામાં આવી હતી. વળી આ શતાબ્દી ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે ઓલિમ્પિક રમતોત્સવના યાદગાર અને ઐતિહાસિક ખેલાડીઓને પણ ખાસ યાદ કરવામાં આવ્યા હતા અને તેમને ડ્રીમલૅન્ડ પર બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઍટલાન્ટા ઓલિમ્પિકમાં ભારતના કુલ 84 ખેલાડીઓએ 13 રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં પણ ભારતનો દેખાવ સામાન્ય હતો. ફક્ત ટેનિસમાં ભારતના લિયેન્ડર પેસે કાંસ્ય ચંદ્રક મેળવવામાં સફળતા મેળવી હતી અને આ રીતે ભારતનું નામ ‘મેડલ ટેલી’માં સોળ વર્ષ પછી મુકાયું હતું. વ્યક્તિગત રીતે જોઈએ તો ભારત માટે લિયેન્ડર પેસે આ સિદ્ધિ 44 વર્ષ પછી એટલે કે 1952ના હેલ્સિન્કી ઓલિમ્પિક પછી મેળવી હતી.
નવી સદસ્રાબ્દિના પ્રથમ અને સળંગ 27મા ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન 15મી સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર દરમિયાન ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની રાજધાની સિડની ખાતે ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. ઑસ્ટ્રેલિયામાં 44 વર્ષ પહેલાં એટલે કે 1956માં મેલબોર્ન મુકામે સોળમો ઓલિમ્પિક રમતોત્સવ પણ સફળ રીતે યોજવામાં આવ્યો હતો. મહિલાઓને સૌપ્રથમ 1900માં પૅરિસ ખાતે આયોજિત બીજા ઓલિમ્પિક્સથી ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી હતી અને ફક્ત 12 મહિલા-ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો અને આ રીતે 2000ના વર્ષમાં સિડની ઓલિમ્પિક્સ મહિલાઓ માટેનો શતાબ્દી રમતોત્સવ બન્યો હતો અને તેથી જ છેલ્લી ઘડી સુધી કોઈને પણ ખબર ન પડે તે રીતે ઉદઘાટન-સમારંભ દરમિયાન સ્ટેડિયમમાં ઓલિમ્પિક આતશ લઈને દોડનાર, ઓલિમ્પિક આતશ પ્રગટાવનાર તેમજ ખેલાડીઓ તરફથી પ્રતિજ્ઞા લેનાર પણ મહિલા-ખેલાડી હતાં; એટલું જ નહિ, પણ સિડની ઓલિમ્પિક્સમાં 42 % એટલે કે 4,400થી વધુ મહિલા-ખેલાડી હતી. આ સાચા અર્થમાં સિડની ઓલિમ્પિક્સની એક યાદગાર બાબત ગણાય છે. સિડની ઓલિમ્પિક્સમાં 199 દેશોના 11,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સિડની ઓલિમ્પિક્સમાં પ્રથમ વાર સો ટકા ‘સૌર ઊર્જા’નો ઉપયોગ ‘ઓલિમ્પિક વિલેજ’માં કરવામાં આવ્યો હતો. સિડની ઓલિમ્પિક સારી રીતે યોજી શકાય તે ર્દષ્ટિએ 660 હેક્ટર જમીન ઓલિમ્પિક માટે અનામત રાખવામાં આવી હતી. સિડની ઓલિમ્પિકનું માસ્કોટ યાને શુભંકર ‘ઓલી, મિલિ અને સિડ’ પસંદ કરવામાં આવ્યું હતું. સિડની ઓલિમ્પિક્સમાં ભારતે કુલ 13 રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં પણ ભારતનો દેખાવ સામાન્ય રહ્યો હતો. ભારત માટે એકમાત્ર કાંસ્ય ચંદ્રક કરન્નામ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં અપાવ્યો હતો. આ રીતે ઓલિમ્પિક રમતોત્સવના 104 વર્ષના ઇતિહાસમાં તેઓ સર્વપ્રથમ ભારતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મહિલા-ખેલાડી બની હતી. એક કાંસ્યચંદ્રક સાથે સિડની ઓલિમ્પિક્સની ‘મેડલ ટેલી’માં ભારતનું સ્થાન 74મું રહ્યું હતું.
2004
2004માં 28મા ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન ગ્રીસ દેશમાં ઍથેન્સ મુકામે થનાર છે અને આ રીતે 108 વર્ષ પછી ઍથેન્સ બીજી વાર આધુનિક રમતોત્સનું યજમાન શહેર બન્યુ હતું.
એથેન્સના રમતોત્સવમાં 201 દેશોમાંથી 10,625 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 28 રમતોમાં 301 ચંદ્રકો આપવામાં આવ્યા હતા. અમેરિકાએ 36 સુવર્ણચંદ્રકો સાથે કુલ 101 ચંદ્રકો મેળવીને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. 32 સુવર્ણચંદ્રક સહિત 63 ચંદ્રકો સાથે ચીન બીજા અને 28 સુવર્ણચંદ્રક સાથે કુલ નેવું ચંદ્રકો મેળવીને રશિયા ત્રીજા ક્રમે રહ્યું હતું. 201માંથી 74 દેશો ચંદ્રકો મેળવવા સફળ રહ્યા હતા. ભારતે 48 પુરુષ અને 28 મહિલા ખેલાડીઓને મોકલ્યાં હતાં, એમાંથી માત્ર રાજ્યવર્ધનસિંહ રાઠોડે શૂટિંગમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. એક ચંદ્રક સાથે ભારતનું સ્થાન 65મું હતું.
2008
2008માં 29મા ઑલિમ્પિક રમતોત્સવનું આયોજન ચીનના બેજિંગ શહેરમાં થયું હતું. કુલ 204 દેશોના કે ઑલિમ્પિક કમિટીના 10,942 ખેલાડીઓ એમાં ભાગીદાર બન્યા હતા. ચીનમાં પહેલી વાર ઑલિમ્પિક રમતોત્સવનું આયોજન થયું હતું. 28 રમતોમાં 302 ચંદ્રકો અપાયા હતા. એ રમતોત્સવમાં 125 ઑલિમ્પિક વિક્રમો સર્જાયા હતા, જેમાં 37 વિશ્વવિક્રમનો સમાવેશ થાય છે.
રમતોત્સવમાં 87 દેશોએ ચંદ્રક મેળવવામાં સફળતા મેળવી હતી. યજમાન દેશ ચીને સૌથી વધુ 48 સુવર્ણચંદ્રકો સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અમેરિકાએ 112 ચંદ્રકો સાથે બીજો અને રશિયાએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ભારતે બેજિંગ ઑલિમ્પિકમાં 12 રમતોમાં 57 ખેલાડીઓ મોકલ્યા હતા. 1928 પછી પહેલી વખત હૉકી ટીમ ઑલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ મેળવી શકી ન હતી. અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ રચ્યો હતો. વ્યક્તિગત રીતે ખેલાતી રમતોમાં સુવર્ણચંદ્રક મેળવનાર અભિનવ બિન્દ્રા એકમાત્ર ભારતીય ખેલાડી બન્યા હતા. અભિનવ ઉપરાંત ભારતને બીજા બે ચંદ્રકો મળ્યા હતા. સુશીલકુમારે રેસ્લિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. વિજેન્દ્રસિંહે બૉક્સિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ભારત ત્રણ ચંદ્રક મેળવવામાં ચંદ્રક પ્રાપ્ત કરનાર દેશોની યાદીમાં થોડું આગળ વધીને 51મું થયું હતું.
2012
2012માં બ્રિટનના લંડનમાં 30મો ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. 27મી જુલાઈથી 12 ઑગસ્ટ દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં 204 દેશોના 10,768 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 46 સુવર્ણચંદ્રક સાથે અમેરિકાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 36 સુવર્ણચંદ્રક સહિત 91 ચંદ્રકો સાથે ચીન બીજા અને 29 સુવર્ણચંદ્રક સહિત 65 ચંદ્રક મેળવીને બ્રિટન ત્રીજા ક્રમે રહ્યાં હતાં. ભારતે બે રજત અને 4 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 6 ચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. ભારતનું સ્થાન મેડલ ટેબલમાં 57મું હતું. શૂટિંગમાં વિજયકુમારે સિલ્વર અને ગગન નારંગે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં સુશીલકુમારે રજત ચંદ્રક અને યોગેન્દ્ર દત્તે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તે સિવાય મેરી કૉમે કાંસ્ય ચંદ્રક અને બૅડમિન્ટનમાં સાઇના નેહવાલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
2016
2016માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. આ 31મા ‘રિયો ઑલિમ્પિક’માં 207 દેશોમાંથી 11,000 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 28 રમતોમાં 306 ચંદ્રક અપાયા હતા. આ ઑલિમ્પિકમાં પહેલી વખત રેફ્યૂજી ઑલિમ્પિક ટીમ પણ સામેલ થઈ હતી. 2016માં 46 સુવર્ણચંદ્રક સહિત અમેરિકાએ 121 ચંદ્રકો મેળવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. 27 સુવર્ણચંદ્રક સાથે બ્રિટને બીજો અને 26 સુવર્ણચંદ્રક સાથે ત્રીજો નંબર મેળવ્યો હતો. 2012ના ઑલિમ્પિકની સરખામણીએ ભારતના તમામ ખેલાડીઓનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો.
15 રમતોમાં ભારતના કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમાં 63 પુરુષ ખેલાડીઓ અને 54 મહિલા ખેલાડીઓનો સમાવેશ થતો હતો. એમાંથી ભારતને માત્ર બે જ ચંદ્રક મળ્યા હતા. બૅડમિન્ટનમાં પી.વી.સિંધુને રજત અને કુસ્તીમાં સાક્ષી મલીકને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. એ સિવાયના ઘણા ખેલાડીઓ ચંદ્રકની સાવ નજીક પહોંચ્યા હતા, પરંતુ મેળવવામાં અસફળ રહ્યા હતા. બે ચંદ્રક સાથે ચંદ્રકોની સૂચિમાં ભારતને 67મું સ્થાન મળ્યું હતું.
2020
2020માં કોરોના મહામારીના કારણે ઑલિમ્પિક રમતોત્સવ મોકૂફ રહ્યો હતો. એક વર્ષ પછી 2021માં જાપાનના ટોક્યોમાં 32મો ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. 23મી જુલાઈથી 8મી ઑગસ્ટ દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં 206 દેશોના 11,656 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 33 રમતોમાં 339 ચંદ્રકો અપાયા હતા. 39 સુવર્ણચંદ્રકો સાથે અમેરિકા પ્રથમ, 38 સુવણચંદ્રકો સાથે ચીન બીજા અને 27 સુવણચંદ્રકો સાથે યજમાન દેશ જાપાન ત્રીજા ક્રમે રહ્યા હતા.
એક સુવર્ણચંદ્રક, બે રજતચંદ્રક અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે ભારતે કુલ સાત ચંદ્રકો મેળવ્યા હતા. મેડલની યાદીમાં 48મા ક્રમે રહ્યું હતું. ભારતના 126 ખેલાડીઓએ ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો. આટલી મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓએ ઑલિમ્પિકમાં ભાગ લીધો હોય એવું પ્રથમ વખત બન્યું હતું. આ ઑલિમ્પિક રમતોત્સવ ભારત માટે સૌથી સફળ બની રહ્યો હતો. ઑલિમ્પિકના ઇતિહાસમાં ભારતે પ્રથમ વખત સુવર્ણચંદ્રક, રજતચંદ્રક અને કાંસ્યચંદ્રક – એમ ત્રણેય ચંદ્રકો મેળવ્યા હતા. 2012ના લંડન ઑલિમ્પિક પછી બીજી વાર ભારતના ખેલાડીઓએ છ કરતાં વધુ ચંદ્રક જીત્યા હતા. મહિલા હૉકી ટીમ પણ ચંદ્રકની નજીક પહોંચી ગઈ હતી. પુરુષ હૉકીની ટીમે 1980 પછી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ઑલિમ્પિકમાં અભિનવ બિન્દ્રા પછી સુવર્ણચંદ્રક મેળવનારો નીરજ ચોપરા માત્ર બીજો ખેલાડી બન્યો હતો. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારત વતી ઍથલેટિક્સમાં ઑલિમ્પિક સુવર્ણચંદ્રક જીતનારો એ પ્રથમ ખેલાડી બન્યો હતો. તે ઉપરાંત મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં રજત ચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. બૅડમિન્ટનમાં પી. વી. સિંધુએ કાંસ્ય ચંદ્રક અંકે કર્યો હતો. પુરુષ હૉકી ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. રવિકુમાર દહિયાએ રેસલિંગમાં રજત ચંદ્રક, લવલીના બોર્ગોહાને બૉક્સિંગમાં કાંસ્ય ચંદ્રક અને બજરંગ પુનિયાએ કુસ્તીમાં કાંસ્યચંદ્રક મેળવીને ભારતને પૉઇન્ટ ટેબલમાં 48મો ક્રમ આપવામાં મદદ કરી હતી.
વર્તમાન યુગમાં વિશ્વશાંતિ અને ભાતૃભાવને ઉત્તેજન આપવાનું ઉમદા કાર્ય આ રમતોત્સવ કરે છે અને આ જ તેનું સાચું યોગદાન છે.
ઓલિમ્પિક રમતોત્સવ : વર્ષ, સ્થળ અને તારીખો
અનુ. વર્ષ સ્થળ દેશ તારીખો
1. 1896 ઍથેન્સ ગ્રીસ 6-215 એપ્રિલ
2. 1900 પૅરિસ ફ્રાન્સ 20 મે – 28 ઑક્ટોબર
3. 1904 સેન્ટલુઈસ અમેરિકા 1 જુલાઈ – 28 નવેમ્બર
4. 1908 લંડન ઇંગ્લૅન્ડ 27 એપ્રિલ – 31 ઑક્ટોબર
5. 1912 સ્ટૉકહોમ સ્વીડન 5 મે – 22 જુલાઈ
6. 1916 બર્લિન જર્મની પ્રથમ વિશ્વયુદ્ધને કારણે રદ
7. 1920 એન્ટવર્પ બેલ્જિયમ 20 એપ્રિલ – 12 સપ્ટેમ્બર
8. 1924 પૅરિસ ફ્રાન્સ 4 મે – 27 જુલાઈ
9. 1928 એમ્સ્ટર્ડમ નેધરલૅન્ડ્ઝ 17 મે – 12 ઑગસ્ટ
10. 1932 લૉસ એન્જિલસ અમેરિકા 30 જુલાઈ – 14 ઑગસ્ટ
11. 1936 બર્લિન જર્મની 1 – 16 ઑગસ્ટ
12. 1940 ટૉકિયો જાપાન દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે રદ
13. 1944 લંડન ઇંગ્લૅન્ડ દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે રદ
14. 1948 લંડન ઇંગ્લૅન્ડ 27 જુલાઈ – 14 ઑગસ્ટ
15. 1952 હેલ્સિન્કી ફિનલૅન્ડ 19 જુલાઈ – 3 ઑગસ્ટ
16. 1956 મેલબોર્ન ઑસ્ટ્રેલિયા 10 – 17 જૂન
17. 1960 રોમ ઇટાલી 25 ઑગસ્ટ – 11 સપ્ટેમ્બર
18. 1964 ટોકિયો જાપાન 10 – 24 ઑક્ટોબર
19. 1968 મેક્સિકો સિટી મેક્સિકો 12 – 27 ઑૅક્ટોબર
20. 1972 મ્યૂનિક પ. જર્મની 26 ઑગસ્ટ – 10 સપ્ટેમ્બર
21. 1976 મૉન્ટ્રિયલ કૅનેડા 17 જુલાઈ – 1 ઑગસ્ટ
22. 1980 મૉસ્કો રશિયા 19 જુલાઈ – 3 ઑગસ્ટ
23. 1984 લૉસ એન્જિલસ અમેરિકા 28 જુલાઈ – 12 ઑગસ્ટ
24. 1988 સિઓલ દક્ષિણ કોરિયા 17 સપ્ટેમ્બર – 2 ઑક્ટોબર
25. 1992 બાર્સેલોના સ્પેન 25 જુલાઈ – 8 ઑગસ્ટ
26. 1996 ઍટલાન્ટા અમેરિકા 19 જુલાઈ – 4 ઑગસ્ટ
27. 2000 સિડની ઑસ્ટ્રેલિયા 15 સપ્ટેમ્બર – 1 ઑક્ટોબર
28. 2004 ઍથેન્સ ગ્રીસ 13 ઑગસ્ટ – 29 ઑગસ્ટ
29. 2008 બેજિંગ ચીન 8 ઑગસ્ટ – 24 ઑગસ્ટ
30. 2012 લંડન બ્રિટન 27 જુલાઈ – 12 ઑગસ્ટ
31. 2016 રિયો બ્રાઝિલ 5ઑગસ્ટ – 21 ઑગસ્ટ
32. 2020 ટોક્યો જાપાન 23 જુલાઈ (2021) 8 ઑગસ્ટ (2021)
ભારતે ઓલિમ્પિકમાં જીત્યા 35 મેડલ
ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ્સ જીત્યા છે. આ 35 મેડલ્સ અલગ અલગ 8 રમતોમાં જીત્યા હતા. ભારતે હોકીમાં 12, શૂટિંગમાં ચાર, એથ્લેટિક્સમાં ત્રણ, રેસલિંગમાં સાત, બેડમિન્ટનમાં ત્રણ, વેઈટલિફ્ટિંગમાં બે, બોક્સિંગમાં ત્રણ અને ટેનિસમાં એક મેડલ જીત્યા છે.
રમત નામ મેડલ
એથ્લેટિક્સ (જ્વેલિન થ્રો) નીરજ ચોપડા ગોલ્ડ
રેસલિંગ રવિ દહિયા, બજરંગ પૂનિયા સિલ્વર, બ્રોન્ઝ
બોક્સિંગ લવલિના બોરગોહેન બ્રોન્ઝ
વેટલિફ્ટિંગ મીરાબાઇ ચાનુ સિલ્વર
બેડમિન્ટન પીવી સિંધુ બ્રોન્ઝ
હોકી મેન્સ ટીમ બ્રોન્ઝ
ટોક્યો ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન
2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટોક્યોમાં ભારતે સાત મેડલ જીત્યા હતા. ભારતે એથ્લેટિક્સમાં એક, વેઈટલિફ્ટિંગમાં એક, હોકીમાં એક, બોક્સિંગમાં એક, બેડમિન્ટનમાં એક અને રેસલિંગમાં બે મેડલ જીત્યા હતા.
2024
2024ના ઓલિમ્પિકમાં 16 રમત-ગમત શાખાઓના 117 રમતવીરો હતા. 70 પુરુષો અને 47 મહિલા ખેલાડીઓ હતા. તેઓ 69 રમત કે ઈવેન્ટમાં ભાગ લીધો. 95 મેડલ્સમાંથી 7 મેડલ જીત્યા હતા.
470 કરોડ રૂપિયાનું ખર્ચ ભારતે કર્યું હતું.
ટોપ્સ યોજનામાં 2024ના ઓલિમ્પિકની તૈયારી 170થી વધુ એથ્લીટ્સનું કોર ગ્રુપ અને 2028 અને 2032ના ઓલિમ્પિક માટે લક્ષ્યાંકિત 130થી વધુ એથ્લિટ્સનું ડેવલપમેન્ટ ગ્રૂપ સામેલ હતું.
કોર્પોરેટ પ્રાયોજકો અને સીએસઆર ભાગીદારો ભારતમાં ઓલિમ્પિક રમતોને ટકાવી રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
રમતોમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિંટન, બોક્સિંગ, હોકી, શૂટિંગ અને કુસ્તીનો સમાવેશ થાય છે. આ દરેક શિસ્ત માટે, વિગતવાર ભંડોળ અને સહાયક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે રમતવીરોને શક્ય તેટલી શ્રેષ્ઠ તૈયારી કરે તે સુનિશ્ચિત કરે છે.
ભારતની સિદ્ધિઓ
રિયો 2016માં 2 મેડલ જીતવાથી માંડીને ટોક્યો 2020માં 7 મેડલ જીત્યા હતા.