મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગુમાવી

મોરબી, 17 માર્ચ, 2021

મોરબીની વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી હોવા છતાં પણ બળવો થતાં સત્તા ગુમાવી છે. વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદે અપક્ષ સભ્ય જયશ્રી સેજપાલની વરણી થઈ છે.

સ્થાનિક કક્ષાએથી ભાજપના પ્રદેશ પ્રમાખ ચંદ્રકાંત પાટીલને પ્રમુખ અને ઉપપ્રમુખના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામને નામંજૂર કરતા સ્થાનિક ભાજપના કાર્યકર્તા અને આગેવાનોએ પાટીલ સામે બળવો કર્યો હતો. ભાજપમાં રોષ જોવા મળ્યો હતો.

ભાજપના ચૂંટાયેલા 15 સભ્યોએ વાંકાનેર ભાજપ પ્રમુખને પોતાના રાજીનામા આપી દીધા હતા. 28 સીટો પરથી 24 સીટો પર ભાજપનો વિજય થયો હતો. પણ 15 સભ્યોએ નારાજગીના કારણે રાજીનામા આપ્યા હોવાથી પ્રમુખ પદે અપક્ષ ઉમેદવારની વરણી થઇ છે.

છેલ્લા 25 વર્ષથી વાંકાનેરમાં ભાજપની સત્તા હતી. ભાજપની આંતરિક યુદ્ધના કારણે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અંદરો અંદરના વિખવાદના કારણે અપક્ષ ફાવી ગયા છે.

એક તરફ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એવું કહી રહ્યા છે કે, ભાજપમાં કોઈ વિખવાદ અને જૂથવાદ નથી. પરંતુ મોરબી ભાજપમાં વિખવાદના કારણે પક્ષે ગુમાવવી પડી છે.