[:gj]2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટાચૂંટણી માં કેટલા પ્રભાવી ?[:]

Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]2017વિધાનસભાની ચૂંટણી ગુજરાતનો રાજકીય ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહિ, વર્ષો પછી ગુજરાતમાં એવી સ્થિતિ સર્જાઈ હતી કે ગુજરાતમાં ભાજપ શાસનના મૂળિયાં હલી ગયા હતા, અરે ભાજપના નેતાઓ ખાનગીમાં કહેતા હતા કે આ વખતે જીતીજવાય તો ય ઘણું છે, પણ અમિતશાહ અને નરેન્દ્ર મોદી માટે એવું કહેવાય છે કે હારની બાજી જીતમાં પલટાવે, અને 2017ના પરિણામોએ સાબિત પણ કર્યું કે જે ચૂંટણી કોંગ્રેસની સરકાર બનાવી રહી હતી એજ ચૂંટણીએ ભાજપ ને ફરી સત્તા આપી.

આ આખી સ્થિતિ સર્જવામાં જે ત્રણ લોકો પાયા માં હતા તે હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર, આ ત્રણે યુવા નેતાઓએ ભાજપ માટે દિલ્હી હલાવી નાખી હતી,પણ આજે 3 વર્ષને અંતે સ્થિતિ એક દમ બદલાઈ ગઈ છે, હવે ન તો ત્રણે યુવાનોએ શરૂ કરેલા આંદોલનો છે કે ન તો હાર્દિક જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એમની મૂળ સ્થિતિમાં છે દરેકે પોતાનું ઘર શોધી લીધું છે અને પોતાના ભવિષ્ય પ્રમાણે રાજકારણ કરી રહ્યા છે,ત્યારે પ્રશ્ન એ થાય કે હવે 2020 ની આઠ વિધાનસભા બેઠકોમાં આ ત્રણે યુવાનોનું વર્ચસ્વ અને રાજકીય ભવિષ્ય શું હશે ?

ગુજરાત વિધાન સભાની પેટાચૂંટણીઓ યોજાવાની છે એ આઠ વિધાન સભા બેઠકો પૈકી બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.અબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી.

મૂળ મુદ્દાની વાત કરીએ તો દર વખતની જેમ પેટાચૂંટણીને લક્ષમાં લઈને બંને પક્ષોએ કેટલીક નિમણૂકોની પણ જાહેરાત થઈ છે અને સંગઠનમાં મોટા પાયે ફેરફાર પણ થયા છે.ભાજપના નવા ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલ આ ચૂંટણી અગાઉ 2022માં થનારી ગુજરાતની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર વિજય મેળવવાનો દાવો કરી ચૂક્યા છે અને કોરોનામાં કાર્યક્રમોને લઈને વિવાદિત પણ બન્યા છે. સામે કૉંગ્રેસે યુવા નેતા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષપદ આપ્યું છે.

મૂળ મુદાની વાત કરીએ તો 2017ની વિધાનસભા ચૂંટણી પછી લગભગ ત્રણ વર્ષના સમયગાળે વિધાનસભા બેઠકોની આ પેટાચૂંટણી ખુબ મહત્વની છે કેમકે હવે પછીની વિધાનસભા ચૂંટણીઓ આડે બે જ વર્ષ બાકી રહેશે.એટલે સ્વભાવિક છે કે ભાજપ અને કૉંગ્રેસ બન્ને માટે આ પેટાચૂંટણીઓ હાલ પૂરતી તો સેમિફાઇનલ મૅચ જેવી બની રહેશે.બંને પક્ષોને તેમની હાલની રાજકીય સ્થિતિ, પડકારો, મુદ્દાઓ, સંગઠન વગેરે બાબતોનું આકલન કરવાની તક આ પેટાચૂંટણીમાંથી મળી રહેશે.

2017માં સત્તાધારી ભાજપ સામે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ, દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી અને ઓબીસી યુવા નેતા અલ્પેશ ઠાકોરના રૂપમાં ત્રણ મોટા પડકારો હતા. જોકે તેમાંથી હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં છે, હાર્દિક પટેલ કૉંગ્રેસમાં છે તો વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગુજરાત અને દેશમાં વિવિધ આંદોલનમાં આગળની હરોળમાં બોલતા જોવા મળે છે.

હાર્દિક પટેલને હાલમાં જ પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ કૉંગ્રેસે પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે.કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તાત્કાલિક અસરથી હાર્દિક પટેલની ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂકને મંજૂરી આપી હતી.પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો અને એક રીતે આ આંદોલનનો તેઓ સતત ચહેરો બનેલા રહ્યા. 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલે અનેક રાજકીય દાવા-પ્રતિદાવાઓના અંતે વિપક્ષ કૉંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો.

વિધાનસભા ચૂંટણીનાં ત્રણ અઠવાડિયાં પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસને સમર્થન જાહેર કરતા કહ્યું હતું કે કૉંગ્રેસે પાટીદાર સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં સ્પેશિયલ કૅટેગરી હેઠળ અનામત આપવાની માગને સ્વીકારી છે.આ પછી હાર્દિક પટેલ ભાજપ વિરુદ્ધ ચૂંટણીપ્રચારમાં પણ સતત પ્રયત્નશીલ રહ્યા અને સત્તાધારી ભાજપે પણ હાર્દિક પટેલ તેમના વિરુદ્ધ પ્રચાર કરી તેમને રાજકીય નુકસાન ન પહોંચાડી શકે તે માટે તેમને અટકાવવાના પ્રયત્ન કરતા રહ્યા.

વાત કરીએ જિજ્ઞેશ મેવાણીની તો દલિત સમુદાયમાંથી આવતા આ યુવા નેતા રાજ્યના બહુચર્ચિત ઊના પ્રકરણ બાદ વધુ અને સતત ચર્ચામાં આવ્યા અને ભાજપ સરકાર વિરુદ્ધ સતત સક્રિય રહ્યા અને દલિતોના મુદ્દાને લઈને આગળ પડતા રહ્યા.જોકે કૉંગ્રેસમાં તેમના જોડાવાની સતત અટકળો વચ્ચે તેઓ કૉંગ્રેસ સાથે ન જોડાયા અને એસસી માટે અનામત એવી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા.કૉંગ્રેસે પણ રાજકીય ગણિત ગણી તેમની સામે પોતાનો ઉમેદવાર ન ઊભો રાખ્યો અને આડકતરી રીતે જિજ્ઞેશ મેવાણીને પોતાનો ટેકો જાહેર કર્યો.

ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જિજ્ઞેશ વિધાનસભા ગૃહની અંદર અને બહાર બંને રીતે રાજ્યની ભાજપ સરકાર સામે સતત પડકાર બનેલા રહ્યા. પછી એ જાતિગત રાજકારણનો મુદ્દો હોય કે બેરોજગારીનો મુદ્દો હોય.કોરોના મહામારી દરમિયાન મોદી સરકારના લૉકડાઉનના નિર્ણય હોય કે રાજ્યમાં બેરોજગારી કે રાજ્ય સરકારની નીતિઓના મુદ્દે પણ જિજ્ઞેશ મેવાણી તેમના સરકાર સામેના ટીકાત્મક સૂરમાં સતત બોલતા રહ્યા છે.

ઓબીસી સમુદાયના નેતા અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી પહેલાં વિધિવત્ રીતે કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને રાધનપુરની બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી જીત્યા પણ ખરા.અલ્પેશ ઠાકોર 2017 વિધાનસભા ચૂંટણીના બે મહિના પહેલાં જ ઑક્ટોબર 2017માં ગાંધીનગરમાં તે સમયના કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસને ચૂંટણીમાં 125 બેઠકો જીતાડવાના લક્ષ્ય સાથે કામ કરશે.

જોકે પ્રદેશ કૉંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોરના મતભેદો સતત સમાચારોમાં રહ્યા. લોકસભાની ચૂંટણી વખતે જુલાઈ 2019માં તેઓ તે સમયના ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા.અલ્પેશ ઠાકોરે એપ્રિલ 2019માં એટલે કે લોકસભા ચૂંટણીના બરાબર પહેલાં કૉંગ્રેસમાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો કબજે કરી હતી. એ વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નબળા શિક્ષકોની સ્કૂળ છોડીને ગુરુકુળમાં આવ્યો છું.ભાજપ પ્રવેશ પછી એમણે ફરી રાધનપુર બેઠક પરથી જ ભાજપની ટિકિટ પર પેટીચૂંટણી લડી અને હાર્યા.

હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં આ ત્રણે વિષે વાત કરીએ તો હાર્દિક પટેલની લોકપ્રિયતા 2017માં પીક પર હતી એટલી હાલ નથી, પણ તેઓ રાજ્યમાં સતત સક્રિય રહ્યા છે, માત્ર હાર્દિકની મહેતનના બળે જીતવાના સપના જોતી ગુજરાત કૉંગ્રેસ 2017ની સરખામણીએ હાલ સંગઠનની રીતે ખુબ નબળી છે.

વાત અલ્પેશની કરે તો અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવાથી કોઈ મોટો ફાયદો થયો નથી, એ પોતે જ પોતાની બેઠક હારી ચુક્યા છે અને એ પણ એવી બેઠક કે જેની પર એમના જ સમુદાયનું વર્ચસ્વ હતું,એ બધી વાત જવા દઈએ તો હાર પછી અલ્પેશના નિવેદનો પક્ષમાં એની પાસેની જવાબદારીઓ શું છે એ બધી સ્થિતિ દેખાડે છે કે ભાજપને પણ કદાચ હવે અલ્પેશ પર વિશ્વાસ નથી એટલે પેટાચૂંટણીમાં અલ્પેશ કે અલ્પેશ ફેક્ટર ક્યાંય હોય એવું દેખાતું નથી.

વાત જિજ્ઞેશ મેવાણીની કરીએ તો એ કેટલાક મુદ્દે આક્રમક દેખાય છે, પણ એમનામાં સાતત્યનો અભાવ પણ દેખાય છે એ કદાચ દેશના રાજકારણમાં અને ગુજરાતના રાજકારણની વચ્ચે ફરી રહ્યા છે, ગુજરાતમાં મહત્વના મુદ્દે ઘણી વખત તેઓ ગાયબ દેખાયા છે, વળી એમના આંદોલનથી કે દેખાવોથી કે કોઈ મુદ્દે મહત્વના પ્રશ્નો ઉભા કરવાથી ગુજરાતના રાજકારણમાં ક્યાંય પરિવર્તન આવ્યું હોય એવું છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય બન્યું નથી,સરવાળે 2020 પછી અલ્પેશની જેમ એમના પ્રભાવ સામે પણ અનેક પ્રશ્નો છે.આખા રાજકીય ચિત્રને જોતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને આ ત્રણેથી કોઈ નુકશાન નહિ થાય ઉલ્ટું એમને ફાયદો જ થશે કેમકે જે આઠ બેઠકો પર ચૂંટણી થઇ રહી છે એ જે તે વખતે કોંગ્રેસની જ હતી એટલે ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.

દિલીપસિંહ ક્ષત્રિય

લેખક દ્વારા: 

સુરતમાં PCPNDT એક્ટને અભેરાઈએ ચડાવી ખુલ્લે આમ ભ્રુણ હત્યાઓ થઇ રહી છે..?

ગુજરાતના ખેડૂતો હવે ખેડૂત નહિ ખેતમજુર બનાવવા માટે તૈયાર રહેજો…!

આ વખતે ગણેશજીને શાંતિ છે…!

2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’ ને ‘સાથ’ આપશે ?

[:]