[:gj]ગાંધીનગર, 12-02-2020
સાંસ્કૃતિક પ્રવાસન મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સિંધુ સરસ્વતી સભ્યતાનું સાંસ્કૃતિક કેન્દ્ર લોથલની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે આ વર્ષના બજેટ 2020માં લોથલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે.
લોથલની મુલાકાતે આવેલા મંત્રી પ્રહલાદસિંહ પટેલે લોથલના સંગ્રહાલયની દરેક બારીકાઈનું નિરીક્ષણ કર્યું હતું. સંગ્રહાલયમાં રખાયેલી વસ્તુઓ જેવી કે તાંબા અને કાંસાની વસ્તુ, શંખથી બનેલી વસ્તુઓ, પકવેલી માટીના વાસણ વિષે વિસ્તૃત જાણકારી મેળવી હતી.આ સંગ્રહાલયની સ્થાપના ઈ.સ.૧૯૭૬માં કરવામાં આવેલી અહીં ત્રણ વિભાગો છે જેમ કે લોથલની સંભવિત કલાકૃતિ, બીજામાં મણકાઓ તેની બનાવટો, માટીના વાસણો સાધનો, આભૂષણો, માનવચિત્રો છે.ત્રીજામાં માટીના રમકડાં, પશુઓના નમૂનાઓ, નાનીનાની મૂર્તિઓ ઈંટ વિ. જોવા મળે છે. જે એ સમયે ઉપલબ્ધ હતાં.
સાંસ્કૃતિક પ્રવાસન મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી હડપ્પા કાળના લોથલ નગરના અવશેષો ને નિહાળીને લોથલ નગરની રચના, તેમજ તે સમયના નગરની ડ્રેનેજ સિસ્ટમ, રસોઈઘર, સ્નાનાગાર, ગોડાઉનની વિષેની મહત્વની જાણકારી મેળવી હતી .
“કેન્દ્રિય બજેટમાં થયેલી ફાળવણી થી ઊભું થનારું નવું મ્યુઝિયમ સમય મર્યાદામાં પૂરું થાય તે જરૂરી છે,” તેમણે કહ્યું કે “લોથલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સ્થાનિક યુવાનોને તાલીમ આપીને તૈયાર કરાશે, તેમજ વડાપ્રધાનશ્રી એ પણ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા પર ભાર મૂક્યો છે. ત્યારે લોથલ જેવા ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાચવવાની જવાબદારી આપણી છે.”
લોથલ ઉપરાંત અડાલજની વાવ અને રાણકી વાવની પણ મુલાકાત લેશે.[:]