દિલીપ પટેલ
allgujaratnews.in
ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસના કૂળના નેતાઓની ભાજપમાં બોલબાલા છે. મુખ્ય પ્રધાન આસપાસ કોંગ્રેસ કૂળ વિંટયાલેવું છે. સૌરાષ્ટ્રમાં જેટલા વગદાર પ્રધાનો છે, તે કોંગ્રેસ કૂળના છે. જે મુખ્ય પ્રધાનના ખાસ બની રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આસપાસ કોંગ્રેસ કૂળ વધું દેખાય છે. ત્યાં ન તો આર એસ એસ છે, ન તો જનસંઘ છે, ન તો ભાજપ છે. અગાઉ ક્યારેય મહત્વ ન હતું એટલું મહત્વ સૌરાષ્ટ્ર કૂળના કોંગ્રેસના નેતાઓને રૂપાણી સરકારમાં મળી રહ્યું છે.
ભાજપનું કોંગ્રેસ મેનેજમેન્ટ
સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 48 બેઠક છે, જે પૈકી 23 બેઠક ભાજપને 2017માં મળી હતી. જે તે પહેલા 32 ધારાસભ્યો ભાજપના હતા. પક્ષાંતર કરાવીને હવે તે 36 કરી છે. 18 ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. હવે 10 રહ્યાં છે. છેલ્લે પક્ષાંતર કરાવીને સૌરાષ્ટ્રમાં લીંબડી, મોરબી, દ્વારકા, ધારી અને ગઢડામાં મળી કુલ 5 બેઠકો પર ભાજપે ચૂંટણી જીતી છે. સૌરાષ્ટ્રમાં ભાજપના દર 3 કાર્યકર માંથી 1 કાર્યકર કોંગ્રેસના છે. ભાજપના 32માંથી 16 ધારાસભ્યો કોંગ્રેસ કે બીજા મૂળ ધરાવે છે.
પ્રધાનોનું કોંગ્રેસ મેનેજમેન્ટ
ભાજપના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ પર વધારે ભરોસો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સચિવાલયમાં કોંગ્રેસ કૂળના પ્રધાનોની ચેમ્બર અને એન્ટી ચેમ્બરમાં કોંગ્રેસના કાર્યકરો ભરેલા હોય છે. જ્યા ભાજપના કાર્યકરોને કોઈ સ્થાન નથી. ભાજપના કાર્યકરો નેતાઓને ફરિયાદ કરે છે. નેતાઓને આ પ્રધાનો જવાબ આપે છે કે, અમે કોંગ્રેસને મેનેજ કરીએ છીએ. કોંગ્રેસના વધુ કાર્યકરો ભાજપમાં આવે તેથી તેમના કામો કરીએ છીએ. આ વાત પછી કેટલાંક પ્રધાનો માટે અધિકારીઓને સૂચના આપવી પડી છે કે પ્રધાનોના કામ કરવા નહીં. સરકાર આ રીતે ચાલી રહી છે.
પાટીલની વાત કોઈએ ન માની
રૂપાણીની મિત્ર પ્રધાનોને ભાજપની નીતિઓ સાથે કંઈ લેવા દેવા નથી. તેઓ હજું કોંગ્રેસને મેનેજ કરવાનું કામ રહ્યાં છે. કેબિનેટ પતે એટલે અમુક મંત્રીઓ સૌરાષ્ટ્ર આવી જાય છે અને જમીનનો સરવે નંબર શોધે છે. ભાજપના કર્મનિષ્ઠ નેતાઓ આ વાતથી ભારે પરેશાન છે. એટલે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સૌરાષ્ટ્ર આવીને જાહેર કરવું પડ્યું હતું કે કોઈ જૂથવાદ નહીં ચાલે. પણ અહીં તો કોંગ્રેસનું જૂથ રૂપાણીની મદદથી મજબૂત થઈ ગયું છે. પાટીલની વાત કોઈ માનવા તૈયાર નથી.
કેશુભાઈનું ભાજપ સૌરાષ્ટ્રમાં નથી
જે બતાવે છે કે, સૌરાષ્ટ્રમાં ભાજપના નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકર્તાઓને કિંમત નથી. માલ આયાત કરો અને તેને ઊંચી કિંમતે વેંચોની નીતિ નવા ભાજપમાં જોવા મળે છે. કેશુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ રાણા, કાશીરામ રાણા, પરસોત્તમ રૂપાલાના સમાયનો ભાજપ હવે નથી. હવે રૂપાણી, પાટીલ, મોદી, અમિત શાહના સમયનો ભાજપ છે. જેમાં મુલ્યો નહીં મની કામ કરે છે.
સૌરાષ્ટ્ર ભાજપના જૂના વરિષ્ઠ નેતાઓ ક્યાંય નથી. હાલ રૂપાણીને બાદ કરતાં જૂના ભાજપના નેતાઓનું બહુમુલ્ય નથી. પ્રધાન જયેશ રાદડીયા, પ્રધાન કુવરજી બવાળીયા, જવાહર ચાવડા અને હકુભા જાડેજાનો નવો ભાજપ સૌરાષ્ટ્રમાં રાજ કરે છે. જેઓ કોંગ્રેસનું કૂળ ધરાવે છે. સૌરાષ્ટ્રમાંથી 4 કે 5 ટર્મથી ભાજપના ધારાસભ્ય છે તેમનું પક્ષમાં કોઈ સ્થાન નથી. તે ભાજપને નડતાં હોય તેનું સ્થાન છે.
ભાજપના નેતા અને સંઘી ભીખુ દલસાણાયાથી સૌરાષ્ટ્રના ધારાસભ્યો ખુશ નથી. ભીખુભાઈ ભાજપના વિચારો અને મૂલ્યોને તૂટતા જોઈ રહ્યાં છે.
વિવાદાસ્પદ નેતાની જરૂર
સૌરાષ્ટ્ર ભાજપને ભરત બોઘરા જેવા વિવાદાસ્પદ નેતાઓની જરૂર છે. કારણ માત્ર એટલું જ કે તેઓ મુખ્ય પ્રધાનના માનીતા છે. લેવા પટેલ ગણીને તેમને કહ્યાગરા નેતા બનાવાયા છે. તેઓ મૂળ કોંગ્રેસી કૂળના છે. પણ રૂપાણીના જૂથના છે. તેથી તેમને મહત્વ દરેક ચૂંટણીમાં મળે છે. ભાજપને શરણે કરાવવાની તેની પાસે આવડત છે. જનસંઘના સમયથી કામ કરતાં અનેક પટેલ આગેવાનો છે. સૌરાષ્ટ્રમાં ગુજરાત ભાજપનું નેતૃત્વ કરી શકે તેવા અનેક નેતાઓ છે છતાં તેમને કોઈ સ્થાન મળતું નથી.
કચ્છના નેતાને સૌરાષ્ટ્ર
સી આર પાટીલે જે નવી ટીમ બનાવી છે. તેમાં સૌરાષ્ટ્રની જવાબદારી કચ્છના નેતાને આપી છે. જેઓ સૌરાષ્ટ્રની ભૂગોળ જાણતા નથી ત્યાં કાર્યકરોને કઈ રીતે જાણતા હશે.
ફળદુનું કંઈ ઉપજતુ નથી
સૌરાષ્ટ્રના મજબૂત આગેવાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કૃષિ પ્રધાન આર સી ફળદુ છે, પણ સરકારમાં તેમનું કંઈ ઉપજતું નથી. કૃષિ વિભાગમાં સૌથી વધું કૌભાંડો 2014થી થયા છે. છતાં તેમને આ અંગે કોઈ જાણ ન હતી. આવા કૌભાંડો તેમની જાણ બહાર કોણે કર્યા ? રૂપાણી સરકારમાં તેમનું કો સાંભળતું નથી. તેઓ માત્ર મહોરું છે પણ પાછળ કોઈક કામ કરી રહ્યું છે.
બેઠકો ઘટી છતાં મુખ્ય પ્રધાન
સૌરાષ્ટ્રમાં વિજય રૂપાણીએ ઊભું કરેલું નવું નેતૃત્વ છે. તેઓ લઘુમતી જૈન ધર્મમાંથી આવે છે. તેઓ ગુજરાતના પહેલા લઘુમતી કોમના મુખ્ય પ્રધાન છે. નરેન્દ્ર કે અમિત કે આનંદીબેનનો આ ભાજપ નથી. 2017માં સૌરાષ્ટ્રની બેઠકો ઘટી છતાં ફરીથી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને બનાવાયા હતા તે સૌરાષ્ટ્રના કાર્યકરોને પસંદ પડ્યું નથી.
ગોરધન ઝડફિયાની બેટથી બોલીંગ
ગોરધન ઝડફિયા ગઈ ટર્મમાં ઉપપ્રમુખ હતા. આ વખતે પણ તેઓ ઉપપ્રમખ રહ્યા છે. તેમને મહામંત્રી તરીકે આ વખતે પણ સ્થાન આપવામાં આવ્યું નથી. આમેય ઝડફિયાને સૌરાષ્ટ્રમાં ભાજપના જૂના નેતાઓ પસંદ કરતાં નથી.
ગોરધન ઝડફિયાએ મોદીને કંસ, શકુની મામા, ભ્રષ્ટાચારી, કૌભાંડી, દગાબાજ, જાસૂસી કરનાર કહ્યા હતા. કોઈ ખરાબ શબ્દ મોદી માટે બાકી નહોતા રાખ્યા. કોંગ્રેસનો પાલો પકડ્યો હતો. ગોરધનભાઈ કોના હાથો બન્યા તે આજે પણ નક્કી થઈ શકતું નથી. ગોરધનભાઈએ કેશુભાઈ, સુરેશ મહેતા અને પ્રવિણ તોગડિયાની કેરીયર ખતમ કરી દીધી હતી. ગોરધનભાઈએ 4 પક્ષ બદલ્યા છે. છતાં આજે પક્ષમાં મોભાનું સ્થાન ધરાવે છે.
અહેમદ પટેલની ચારેબાજું ક્રિકેટનું બેટ લઈને આખા સૌરાષ્ટ્રમાં ફર્યા હતા. તેઓ હવે ભાજપનો દડો પકડીને રમે છે. વફાદાર કાર્યકર્તાઓનું કોઈ સ્થાન સૌરાષ્ટ્ર ભાજપમાં નથી. રાજકોટનું અડધું નેતૃત્વ રા.જ.પા.ના હાથમાં છે. જે મુખ્ય પ્રધાનના માણસો છે. રાજકોટમાંથી અનેક એવા લોકોને ચેરમેન બનાવ્યા છે, જેને ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી. એવા અનેક લોકોને પ્રમોટ કરાયા છે કે તેમને ભાજપની વિચારધારા સાથે કંઈ લેવાદેવા નથી.
કોંગ્રેસની ભરતી ચાલુ છે
સૌરાષ્ટ્ર આખું હવે કોંગ્રેસના ઉછીના લીધેલા નેતાઓથી ભરાય ગયું છે. સાંસદોને પણ હવે કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં લાવો. એક સાંસદ એક વિધાબસભાની બેઠક પરથી કોંગ્રેસના 50 કાર્યકરો લાવે તો કોંગ્રેસને હરાવી શકાય એવો લક્ષ્ય રખાયો છે. હજું ભાજપમાં કોંગ્રેસ કૂળના ફૂટેલા નેતાઓની ભરતી ચાલું છે.