આ વખતે ગણેશજીને શાંતિ છે…!

Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

દિલીપસિંહ ક્ષત્રિય

તમે સુરતમાં રહ્યા હોય અથવા તો સુરત વાસી હોવ તો એક વાત નો ખ્યાલ તમને તો હશે જ કે સુરતના પાણીની જ કહી અનોખી મજા છે જે સુરતના લોકોને કે પછી સુરતમાં આવીને રહેનારા લોકોને મોજીલા બનાવી દે, દરેક તહેવાર સુરતમાં રંગે ચંગે ઉજવાય છે, પછી તે કોઈ પણ ધર્મ નો કેમ ન હોય, આ બધી ઉજવણી અને તહેવારોમાં સુરતીઓને ગણેશ ઉત્સવ ખુબ પ્રિય છે, દરવર્ષે તમે ગણેશ ચતુર્થી વખતે સુરત પહોંચી ગયા હોવ તો તમને ભૂલથી એવું લાગે કે જાણે તમે મહારાષ્ટ્રમાં છો, નિત નવા પંડાલો, ઠેકઠેકાણે ગણેશજીની મૂર્તિઓ અને હા જોરજોરથી વાગતા ડી.જે., બસ મારો પ્રશ્ન અહીં જ શરૂ થાય છે કે દર વખતે અને ધીમે ધીમે દર વર્ષે સુરતમાં ગણેશ પંડાલોનું ચલણ વધતું જ જાય ક્યાંક તો એવું બને છે કે એક સોસાયટીમાં બે ગ્રુપ હોય તો એક જ સોસાયટીમાં બે ગણેશ તમને જોવા મળે.

મૂળ મુદ્દાની વાત કરું તો ડી.જે. જ્યાં પૂર્ણવિરામ મુક્યો હતો એ વાત કે ગણેશ પંડાલો માં તમે જ્યાં જાવ ત્યાં જોર જોરથી કાન ફાટી જાય એવા સ્વરે ડી.જે. મોડી રાત સુધી વાગતા હોય, આપણ ને ડી.જે.સામે કે પછી વોલ્યુમ સામે વાંધો હોય એ તો સમજ્યા પણ જે પ્રકારના ગીતો વાગે છે એ ડી.જે.માં અને જે પ્રકારના કૃત્યો થાય છે એ સાંભળીને મારું તમારું જ નહિ બધાનું માથું શરમથી ઝૂકી જાય, પંડાલમાં બેઠેલા ગણેશ પણ કદાચ વિચારતા હશે કે આ લોકો આવા ધતિંગ કરી ને મારી પૂજા કરે એના કરતા ન કરે તો સારું ( ગયા વર્ષે ગણેશની મૂર્તિ લાવતી વખતે દારૂની છોળો ઉડાડતો સુરતનો વીડિયો આ વાતની સાક્ષીમાં છે), અને આ તો પકડાયા એ ચોર જેવું હતું, કે માત્ર એ લોકો નહિ ઘણી જગાઓએ સુરતમાં ગણેશ પંડાલમાં આવું થતું સામાન્ય જોવા મળતું,

હવે ઉપરનું વાંચી ને ઘણા બધા મારા સામે એટલે કે લેખક સામે ન જાણે કેટ કેટલા પ્રશ્નો કરશે, કેટ કેટલી ગાળો ( સુરતી) બોલતા હશે, પણ મારો અહીં કોઈની આસ્થા ને નીચી દેખાડવા નો કે પછી એમની લાગણી દુભાવવાનો પ્રશ્ન નથી, પહેલા મારા કેટલાક પ્રશ્નો છે એ દિલ પર હાથ મૂકી વિચારજો પછી તમને જે ઠીક લાગે એ કહી શકો છો…
તમે વિચારો કે એક બાજુ તમારે ભક્તિ કરવી છે,જોરશોર થી ગણપતિ ને ઘરે અને મંડપ માં લઇ જવા છે,ત્યારે એમના આગમન સમયે ઘરમાં માં બાપ સામે પણ ન વગાડી શકાય એવા ગીતો ભગવાન ને બેસાડીને વગાડવા કેટલા યોગ્ય છે ?

શું ગણપતિ એમના સ્થાને બેઠા બેઠા એવું નહિ વિચારતા હોય કે આના કરતા તો મને ન લઇ જાય તો ય સારું, અરે તમારા ઘરે મહેમાન ને રંગેચંગે લાવો છો ત્યારે શું એનું અપમાન કરો છો ? એને ન ગમતું હોય એવી રીતે એને ઘર માં બેસાડો છો ? તમારા મેહમાનને તો જમવા માં જે ભાવતું હોય એ શું કામ બનાવો છો,તમે નક્કી કરી ને જે હોય એ બનાવી ને આપી દેવાય ને ? જો તમે એવું નથી કરતા તો આ તો ભગવાન છે એમની સાથે કેમ એવું કરો છો ? એમની ગરિમા જળવાય,ભક્તિ ભાવ ઉભો થાય એવા વાતાવરણ નું નિર્માણ કરો, શું કામ આવો દેખાડો અને ઘોંઘાટિયા વાતાવરણ નું નિર્માણ કરવું,

વાત ગીતો પૂરતી સીમિત નહતી રહેતી કેટલાક ગણેશ પંડાલ માં તો જુગાર સુદ્ધા રમાડાતો હોય છે,અનેક વખત પોલીસ સાથે આવાજ કેટલાક મુદ્દે ઘર્ષણ પણ થાય છે,જોકે પોલીસ બિચારી જાણી જોઈ કેટલીક વાતો અવગણે પણ છે, શક્ય હોય ત્યાં સુધી ધર્મના નામે વિવાદ ટાળે છે,પણ ગણેશ મંડપ માં ગણેશની હાજરી માં આવું બધું કરવું શું યોગ્ય છે? પહેલા તમારી જાત ને એક વાર પ્રશ્ન કરી જુઓ..?

શું ગણેશ આવું શીખવાડે છે ? શું ગણેશને માત્ર આવું કરવા માટે લઇને આવો છો ? જરા વિચારો કે શું ગણેશ ને આ ગમતું હશે ? શું આ ગણેશ ની ગરિમાનું અપમાન નથી ? ગણેશ આ જ શીખવાડે છે ?

ધર્મ અને સમ્માન એક સિક્કાની બે બાજુ જેવા છે,તહેવાર ઉજવો,ઉત્સવ ઉજવો,પણ જે ભગવાન માટે ઉજવો છો,એની ગરિમા ને એનું માન તો જાળવો? ક્યાં સુધી ધર્મના નામે ધતિંગ કરતા રહેશો જોતા રહેશો,સરકાર બિચારી નાની મૂર્તિઓ બનાવો,નાની મૂર્તિઓ બનાવોની બૂમો પાડી પાડી ને થાકી ગઈ પણ આપણે દેખાડાના જમાના માં માનીએ એટલે એની મૂર્તિ કરતા તો મારી મૂર્તિ મોટી જ હોવી જોઈએ,પૂજા અને પૂજા વિધિ ક્યારેય કોઈ ને તકલીફ પડે કે અગવડ પડે એવું શીખવાડતી નથી,તો આપણે શું કામ પૂજા વિધિ ને બહાને ભગવાન નું અપમાન કરી ને લોકો ને તકલીફ પહોંચાડીએ,

ચાલો આ તો ગણેશ પંડાલો ની વાત થઇ હવે મૂળ મુદ્દાની એટલે કે વિસર્જનની વાત કરીએ તો, આપણે શું કરતા હતા ? એક તો પેહલા સરકારના નિયમ વિરુદ્ધ મોટી મોટી મૂર્તિઓ લાવવાની પછી વિસર્જન વખતે પણ ગમે તેમ કરી ને દરિયા માં પધરાવવાની અને બીજા દિવસે એ મૂર્તિઓ ન ડૂબે તો પાછી કિનારે કચરા માં પડી રહે છે( અનેક છાપાઓ એ વિર્સજન ના બીજા દિવસે મૂર્તિઓ ની દુર્દશાના ફોટો છાપ્યા છે,વિશ્વાસ ન હોય તો ગુગલ કરી લેવું) શું ગણેશ ને આવી રીતે વિસર્જન પછી કચરા માં પડી રહેવું સારું લાગતું હશે ? શું આવા દ્રશ્યો જોઈ ને આપણો આત્મા ડંખતો નથી જેમને આપણે દસ દિવસ સંપૂર્ણ માન-પાન સાથે ઘરે રાખ્યા, એમની પૂજા વિધિ કરી અને એમને નદી માં પધરાવ્યા પછી જે દુર્દશા થઇ એને માટે કોણ જવાબદાર ? ભાઈ, ક્યારેક બીજા કોઈ માટે નહિ તો ભગવાન ગણેશ માટેતો વિચારો,,

કદાચ આવા બધા કારણોને લીધે જ ભગવાને આપણને શીખવાડવાનો સમય આપયો છે, કોરોનાના કારણે આ વર્ષે કદાચ ગણેશજીને સુરત જ નહિ આખા દેશમાં શાંતિ હશે, ગણેશજી બધાના ઘરે પધારશે.આ ઘરની પૂજામાં પણ આપણે એટલું ધ્યાન રાખીએ કે દેવ આરાધ્ય છે એમની પૂજા થાય, એમનું અપમાન ન કરાય કે પછી એમનું અપમાન થતું હોય એવા કૃત્યો ન કરાય, અને જો એવું કરવું જ હોય તો પછી ભગવાનની પૂજા ન કરાય.

જય ગણેશ..!