રેલવે ટ્રેક પર સિંહોનાં મોતનાં મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા માટે ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલવે સહિતનાં વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રેન્જ આઇ.જીની અધ્યક્ષતામાં સિંહનાં રહેણાંક વિસ્તારમાં અનધિકૃત પ્રવૃત્તિ તથા શંકાસ્પદ લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે મોનીટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય નવ સંરક્ષક ડી.ટી વસાવડા, જૂનાગઢ રેન્જ હેઠળનાં પોલીસ અધિક્ષક, વીજતંત્રનાં અધિકારી, રેલવેનાં અધિકારી તથા ખાણખનિજ, માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
ફાઇબર બ્રેક્સ ઓપ્ટિકલ કેકનોલોજીના ઉપયોગથી ટ્રેનનાં ચાલકને સિંહોનાં આવન જાવન અંગે એલાર્મ દ્વારા જાણકારી મળશે. આવી રીતે સિંહોનાં ટ્રેન હડફેટે મોત નિવારવામાં આવશે.