Forest Minister Arjun Modhwadia silent despite illegal mines and resorts in Gir
સિંહોના કોરીડોરમાં ગેરકાયદે ખાણો, રિસોર્ટ, હોટેલ, હોમસ્ટે, ફાર્મહાઉસ
દિલીપ પટેલ
અમદાવાદ, 27 જૂન 2026
ગીરના જંગલ અને ગીરનારથી સિંહ તથા વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. એન.ઓ.સી., એન.એ. સહિતની ઢીલાશના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગીર જંગલની અને અભયારણ્ય અને ઇકો સેન્સેટીવ ઝોન આસપાસ 3 જિલ્લામાં 500 જેટલા રિસોર્ટ, હોટલ, હોમ સ્ટે, ફાર્મ હાઉસ છે. જે લોકપ્રિય રિસોર્ટ છે તે એક દિવસ અને રાતના રૂ.4થી 5 હજાર ચાર્જ વસૂલે છે.
ઇકો-સેન્સિટિવ ઝોનના નિયમોનો ભંગ કરતા આશરે 150 ગેરકાયદેસર હોસ્પિટાલિટી એકમો અને રિસોર્ટને વન વિભાગ તથા હાઇકોર્ટ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. 2025–2026માં જિલ્લા કલેક્ટરોના અહેવાલ મુજબ અનેક હોટેલ-રિસોર્ટોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સરકારે જાહેરમાં કુલ સંખ્યા જાહેર કરી નથી. જે 500 આસપાસ હોવાની સંભાવના છે.
કેટલો વિસ્તાર
25, સપ્ટેમ્બર 2024માં નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં 3 જિલ્લાના 196 ગામો અને 17 નદીઓ છે.
ગીર રક્ષિત વિસ્તારમાં આજુબાજુનો કુલ 1 લાખ 84 હજાર 466 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
ઇકો- સેન્સિટિવ ઝોન 2.78 કિ.મી.થી 9..50 કિ.મી. છે.
જેમાં 17 નદીઓના રિવર કોરિડોર અને સિંહોના અવરજવર વાળા 4 મહત્વના કોરિડોર છે.
જૂનાગઢ જિલ્લાના તાલુકા જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના, મેંદરડાના 59 ગામ છે.
અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના 72 ગામો છે.
ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના 65 ગામો છે.
196 ગામોના 24 હજાર 680 હેક્ટર વન વિસ્તાર છે. 1 લાખ 59 હજાર 686 હેક્ટર બિન-જંગલ વિસ્તાર છે.
પહેલા 10 કિલોમીટરનો ઈકો- સેન્સિટીવ ઝોન હતો.
10 વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારિત વિગતો, સિંહ દ્વારા કરાતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરિડોર તથા રિવર કોરિડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાયો હતો.

જૂનાગઢઃ
જૂનાગઢના ગીર-સોમનાથ જિલ્લામાં કલેકટરના અહેવાલ મુજબ કુલ 308 રિસોર્ટ, હોમસ્ટે, હોટેલની 17 જૂન 2026માં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 87 યુનિટ્સ જ કાયદા પ્રમાણે હતા. 221 યુનિટમાં ગંભીર અને નાની ગેરરીતિઓ મળી આવી હતી. 163 યુનિટમાં નાની ખામીઓ અને 58 યુનિટમાં ગંભીર પ્રકારના નિયમભંગ નોંધાયા હતા. 191ને કારણદર્શક નોટિસો આપી હતી. અગાઉથી કાયદાકીય કાર્યવાહી હેઠળ લેવાયેલા 28 યુનિટમાંથી 20 હોસ્પિટાલિટી યુનિટ્સને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યા હતા.
અમરેલીઃ
અમરેલી જિલ્લામાં 29 હોસ્પિટાલિટીની તપાસ કરવામાં આવી જેમાં 3 યુનિટ નિયમો મુજબ હતા.
25 યુનિટમાં વ્યાપક ખામીઓ મળી આવી હતી, જેમાં 15 યુનિટમાં નાની અને 10 યુનિટમાં ગંભીર પ્રકારની ગેરરીતિ હતી. બિન-કૃષિની મંજૂરી વિના જમીનનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સરકારી જમીન પર ગેરકાયદેસર રિસોર્ટ ચાલી રહ્યા હતા. 25ને કારણદર્શક નોટિસ આપી હતી.
પીપિયા
ઘારીના પીપિયા પાસે રિઝર્વ ફોરેસ્ટ જમીનને રહેણાંક હેતુ માટે બિનખેતીની મંજૂરી બાદ શરતોનું ઉલ્લંઘન કરાયું છે.
ઘારી તાલુકાના પીપળીયા ગામમાં રિઝર્વ ફોરેસ્ટ જમીનને અડીને આવેલી સર્વે નંબર 148/5 પૈકી 6,385 ચોરસ મીટર જમીનને વર્ષ 2018માં કલેક્ટર દ્વારા માત્ર રહેણાંક હેતુ માટે બિનખેતી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 34 જેટલી આકરી શરત રાખવામાં આવી હતી. પરંતુ આજે આ રહેણાંક હેતુની જમીન પર તમામ શરતોનો ભંગ કરીને અહીં મોટા પાયે આલીશાન ગેરકાયદેસર હોટલ અને રિસોર્ટ ધમધમી રહ્યા છે.
બિનખેતીની મંજૂરીમાં 34 શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો એક પણ શરતનો ભંગ થશે તો મંજૂરી રદ થશે.
નામચીન વ્યક્તિના ખાસ મહેમાન બનેલા અનેક મહાનુભાવોએ રિસોર્ટમાં નિરાંતે કાર્યક્રમ યોજ્યા હોવાની ચર્ચા છે. અહીં હોટેલોમાં યોજાતા લગ્ન પ્રસંગો અને પાર્ટીમાં મોડી રાત્રે ફટાકડા ફોડવામાં આવે છે તથા ઘોંઘાટ કરવામાં આવે છે, જેના કારણે વન્યજીવોને ખલેલ પહોંચે છે.
રિઝર્વ ફોરેસ્ટની દીવાલ તોડી ગેરકાયદે રસ્તો, પ્રવાસન વિભાગે હોમસ્ટેનું લાયસન્સ રદ કર્યું છતાં હજુ બેરોકટોક ધમધમતો રિસોર્ટ છે.
વડી અદાલત
ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કલેક્ટરો દ્વારા વ્યક્તિગત સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા. આ સોગંદનામામાં ગીર વિસ્તારમાં ચાલતા હોસ્પિટાલિટી યુનિટમાં વ્યાપક સ્તરે કાયદાકીય ગેરરીતિ થતી હોવાનું જણાયું હતું.
અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કલેકટરોને અહેવાલ રજૂ કરવાનો વડી અદાલતે અગાઉ આદેશો કર્યા હતા.
2014થી ગુજરાત હાઈકોર્ટમાં ગીરની આસપાસના અનધિકૃત હોટેલ-રિસોર્ટો અંગે સુઓ મોટો PIL ચાલી રહી છે.
2025માં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રે એક જ અભિયાનમાં 13 ફાર્મહાઉસ અને રિસોર્ટ સીલ કર્યા હતા. તેઓ પરવાનગીની શરતોનું ઉલ્લંઘન કરીને વ્યાવસાયિક રીતે ચાલતા હોવાનું જણાયું હતું.
જૂન 2026માં ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી દરમિયાન ગીરની સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ અને હોટેલોના મુદ્દે સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો હતો
વન વિભાગ, મહેસૂલ વિભાગ, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પોલીસ વચ્ચે સંકલન કરીને ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પણ કાગળ પર રહી છે.
હાઈકોર્ટની મુખ્ય ચિંતા એ હતી કે, એશિયાટિક સિંહોના રહેઠાણ પર વધતું માનવીય દબાણ. અનિયંત્રિત પ્રવાસન. જંગલની આસપાસ હોટલ અને રિસોર્ટની વધતી સંખ્યા. પર્યાવરણ અને વન કાયદાના અમલમાં ઢીલાશ.વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ.
વડી અદાલતના આદેશોની સમય સારણી
2014માં ગુજરાત હાઈકોર્ટમાં ગીરની આસપાસ ગેરકાયદે હોટેલ-રિસોર્ટ, જંગલ વિસ્તારમાં વ્યાવસાયિક પ્રવૃત્તિ અને સિંહોના આવાસ પર અસર અંગે સુઓ-મોટો કાર્યવાહી શરૂ થઈ. મુદ્દો પ્રથમ વખત ન્યાયિક દેખરેખ હેઠળ આવ્યો.
2015માં રાજ્ય સરકાર અને વન વિભાગને ગીરની આસપાસના રિસોર્ટ, જમીન ઉપયોગ અને પરવાનગીઓની વિગતો રજૂ કરવા સૂચનાઓ. ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ.
2016માં જિલ્લા કલેક્ટરોને બિનઅધિકૃત બાંધકામો અને ખેતીની જમીનના વ્યાવસાયિક ઉપયોગની તપાસના આદેશ. મહેસૂલ અને વન વિભાગ વચ્ચે સંકલન.
2017માં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને ટાઉન પ્લાનિંગની મંજૂરીઓની ચકાસણી શરૂ. નિયમન પ્રક્રિયા કડક બનવા લાગી હતી પણ પછી કંઈ ન થયું.
2018માં ગીર ઇકો-સેન્સિટિવ ઝોનમાં નવા બાંધકામ અને પ્રવાસન પ્રવૃત્તિઓ અંગે વધુ સાવચેતીની માંગ. પર્યાવરણ સુરક્ષા મુદ્દો કેન્દ્રમાં આવ્યો.
2019માં વિવિધ રિસોર્ટ સામે જમીન ઉપયોગ બદલવાની મંજૂરી, NA, બાંધકામ મંજૂરી વગેરે અંગે તપાસ. કાયદાકીય ઉલ્લંઘનનું વર્ગીકરણ.
2020માં COVID દરમિયાન પ્રવાસન ઘટ્યું છતાં બાંધકામ અને પરવાનગી સંબંધિત કેસો ચાલુ રહ્યા. કોર્ટની દેખરેખ યથાવત રહી હતી.
2021માં વન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ચકાસણીઓ. મેદાની ચકાસણીમાં વધારો.
2022માં ગીર આસપાસ વધતા રિસોર્ટ વિકાસ અંગે ફરી ચિંતા વ્યક્ત; વિવિધ વિભાગોના અહેવાલ માંગવામાં આવ્યા. વિકાસ સામે સંરક્ષણનો પ્રશ્ન.
2023માં ગેરકાયદે રિસોર્ટ, ફાર્મહાઉસ અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અંગે વધુ વ્યાપક સર્વે. કાર્યવાહી માટે આધારભૂત યાદી તૈયાર કરી હતી.
2024માં હાઈકોર્ટે સરકારને અસરકારક અમલ અંગે સવાલો પૂછ્યા અને વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ માંગ્યા. ન્યાયિક દબાણ વધ્યું હતું છતાં કંઈ ન થયું.
2025માં ગીર વિસ્તારમાં અભિયાન ચલાવી 13 ગેરકાયદે ફાર્મ હાઉસ/રિસોર્ટ સીલ કરાયા; અનેકને નોટિસ અપાઈ. પ્રથમ મોટા પ્રમાણની દૃશ્યમાન મેદાની કાર્યવાહી.
2026માં હાઈકોર્ટે ફરી રાજ્ય સરકાર પાસે ગીરની સરહદે આવેલા ગેરકાયદે રિસોર્ટ, બફર ઝોનમાં બાંધકામ અને કાર્યવાહી અંગે તાજો અહેવાલ માંગ્યો; કાર્યવાહી ચાલુ. મુદ્દો હજુ પૂર્ણ રીતે નિષ્પન્ન થયો નથી.
ગીર પ્રવાસનને કારણે રિસોર્ટનું પ્રમાણ વધુ છે:
તાલાલા
સાસણ ગીરનું મુખ્ય પ્રવાસન કેન્દ્ર; હોટલ અને રિસોર્ટ સૌથી વધુ સંખ્યા છે.
હરિપુરમાં ખેતીની જમીનનો વ્યાવસાયિક ઉપયોગ, ફાર્મ સ્ટે છે.
ભોજડેમાં નવા રિસોર્ટ વિકાસ અને જમીન રૂપાંતર કર્યું છે.
ચિત્રોડમાં રિસોર્ટ, ફાર્મહાઉસ, બફર ઝોનની નજીકની પ્રવૃત્તિ ચાલે છે.
બોરવાવમાં ખાનગી રિસોર્ટ અને હોમસ્ટે ઘણા છે.
મેનદરડા રોડ વિસ્તાર પ્રવાસન આધારિત વિકાસ થયો છે.
મેંદરડામાં બીલખા તરફનો વિસ્તાર રિસોર્ટ ઘણા છે.
ઉના જામવાળા ગીર પૂર્વ વિસ્તારના રિસોર્ટ છે.
ઊના ધારી રોડ વિસ્તારમાં ફાર્મહાઉસ અને ઇકો-રિસોર્ટ છે.
ધારી સરસીયા વિસ્તાર ગીર પૂર્વ ઝોનમાં પ્રવાસન વિકાસ થયો છે.
જિલ્લાવાર રિસોર્ટના ગામ
ગીર સોમનાથ જિલ્લો
સાસણ, ભોજડે, ચિત્રોડ, હરિપુર, જામવાળા, બોરવાવ છે.
જૂનાગઢ જીલ્લો
મેંદરડા આસપાસના ગામો, ભીલખા તરફનો વિસ્તાર છે.
અમરેલી જીલ્લો
ધારી, સરસીયા, ચાંચાઈ વિસ્તારમાં રિસોર્ટ છે.
ગીરના અભયારણ્ય અને જીવસૃષ્ટિ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય 1965માં 1412 ચો.કિ.મી. છે. જેમાં 258 ચો.કિ.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને 1153 ચો.કિ.મી. અભયારણ્ય છે.
ઉપરાંત વેરાવળ પાસે પાણીયા અને ધારી અને વિસાવદર પાસે મીતીયાળા વન્યજીવન અભયારણ્ય છે.
સિંહની સંખ્યા
જુનાગઢના નવાબ દ્વારા 1900ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને રક્ષિત જાહેર કરાયેલા. ત્યારે ફક્ત 15 સિંહ બચ્યા હતા. 2015માં ગીર અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહ હતા. 2020માં 674 હતા.
મે 2025ની 16મી એશિયાટિક સિંહ ગણતરી મુજબ:
ગુજરાતમાં કુલ સિંહ 891 હતા.
ગીર નેશનલ પાર્ક, ગીર અભયારણ્ય, પારણિયામાં 384 હતા – 43%.
મહેસૂલી, ખેતરો અને બિન-સંરક્ષિત વિસ્તાર 507 સિંહ હતા, 57%.
અંદાજે 1 હજાર જેવા સિંહ હવે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ અને અંદાજે 35,000 ચો. કિમી. વિસ્તારમાં ફેલાયેલા છે.
જીવસૃષ્ટિ
600થી વધુ વનસ્પતિની પ્રજાતિ છે. અતિ શુષ્ક સાગનું જંગલ છે.
2375 જાતની પ્રાણી પ્રજાતિ , 39 જાતના સસ્તન પ્રાણીઓ, 300 પ્રકારના પક્ષીઓ, 37 સરીસૃપો અને 2 હજારથી વધુ કીટકો છે.
માંસાહારી પ્રાણીઓ એશિયાઇ સિંહ, દીપડો, જંગલી બિલાડી, પટ્ટીત ઝરખ, શિયાળ, નોળિયો, જબાદીયું, રતેલ, રણ બિલાડી અને કાંટાળી-ટીપકાળી બિલાડી છે.
શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ-નીલગાય, સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસ કાળિયાર ક્યારેક દેખાય છે.
નાના સસ્તન પ્રાણી શાહુડી, સસલા, કીડીખાઉ છે.
સરીસૃપોમાં મગર(ભારતમાં સૌથી વધુ સંખ્યા), તારક કાચબા, ઘો છે.
ખેચર સૃષ્ટિમાં 300 પ્રજાતિના પક્ષીઓ છે. મૃત ભક્ષી પક્ષીઓમાં ગીધની 6 પ્રજાતિ છે.
ચોટલીયો સાપમાર, ગરુડ, મોર બાજ, મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથા પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ છે.
રિસોર્ટ ભાજપના નેતાઓ ગાંધીનગરથી કામ કરાવી લે છે. હોમસ્ટે રદ કર્યો તો જંગલમાંથી રસ્તો કરી દીધો છે.
બાબરકોટ માઈનીંગ
અમરેલી જિલ્લાના બાબરકોટ અનામત જંગલમાં સિમેન્ટ કંપની માટે ખાણકામ લીઝ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાત સરકાર મંજૂરી આપવાની છે.
પ્રોજેક્ટમાં ગીર પૂર્વ વન વિભાગમાં 75.94 હેક્ટર અનામત જંગલ જમીનનું ડાયવર્ઝન શામેલ છે, જે એશિયાટિક સિંહો, દીપડા અને અન્ય અસંખ્ય વન્યજીવ પ્રજાતિઓ માટે એક મહત્વપૂર્ણ નિવાસસ્થાન કાયમી ધોરણે નાશ પામશે. વન વિભાગના ડેટા દર્શાવે છે કે પ્રસ્તાવિત ખાણકામ ઝોનમાં બચ્ચા અને સબડલ્ટ સહિત 40 થી 50 સિંહોનો સમાવેશ થાય છે. તેથી પ્રદેશમાં માનવ-પ્રાણી સંઘર્ષ વધારશે.
તેનો વન્યજીવન કાર્યકરોએ સખત વિરોધ કર્યો છે, અને ચેતવણી આપી છે કે આ પ્રોજેક્ટ વન્યજીવોના નિવાસસ્થાન અને ગીર પ્રદેશના ઇકોલોજીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાને પત્ર લખીને ઘણા લોકોએ દરખાસ્તને ફેંકી દેવા વિનંતી કરી છે.
પ્રોજેક્ટ માટે 5,000 પરિપક્વ વૃક્ષો કાપવાની જરૂર પડશે, જે વન સંરક્ષણ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે.
બાબરકોટ ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના બે યુનિટ, નર્મદા સિમેન્ટ લિમિટેડ અને ગુજરાત સિમેન્ટ વર્ક્સ ફેક્ટરી છે. આ બંને કંપનીઓ પાસે ગામની આશરે 9 હજાર વીઘાથી વધુ જમીનનું માઈનિંગ લીઝ છે.
વન્યજીવન કોરિડોર
ખાણકામથી વિક્ષેપ, પ્રદૂષણ અને જંગલી પ્રાણીઓના આકસ્મિક મૃત્યુ થશે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના મેનેજમેન્ટ પ્લાનમાં આ વિસ્તારને એક મહત્વપૂર્ણ દરિયાકાંઠાના જંગલ અને એશિયાટિક સિંહ કોરિડોર તરીકે ઓળખવામાં આવ્યો છે.
લાંબા ગાળાના ઇકોલોજીકલ પરિણામો ભોગવવા પડશે. નજીકની ખેતીની જમીનને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે.
ગીર પ્રદેશના સમગ્ર ઇકોસિસ્ટમ પર પ્રતિકૂળ અસર કરશે. ખાણકામ પર્યાવરણને પ્રદૂષિત કરશે, વન્યજીવન નિવાસસ્થાનનો નાશ કરશે અને દરિયાકાંઠાના ઇકોલોજીને અસર કરશે.
સુપ્રીમ કોર્ટના અવલોકનો અને ચુકાદાઓનું ઉલ્લંઘન કરતી દેખાય છે.
ખાણકામ પ્રમાણમાં નાનો વિસ્તાર હોવા છતાં પર્યાવરણીય રીતે નોંધપાત્ર ખલેલ પહોંચાડશે.
જુનાગઢ વન્યજીવન વર્તુળના વન સંરક્ષક રામ રતન નાલા છે.
ખાણકામ કામગીરી ધારી, રાજુલા અને જાફરાબાદને જોડતા મુખ્ય વન્યજીવન કોરિડોરને વિક્ષેપિત કરી શકે છે, જેના કારણે સિંહોને પીપાવાવ તરફ સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. વિસ્થાપનથી સિંહ રેલવે ટ્રેક અને માનવ વસાહતોની નજીક ધકેલાઈ શકે છે, જેનાથી ટ્રેન અકસ્માતો અને સ્થાનિક સમુદાય સાથે અથડામણનું જોખમ વધી શકે છે.
ગ્રામ પંચાયત
બાબરકોટ સરપંચના પ્રવક્તા અનક સાંખટએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વનવિભાગના તમામ અધિકારીઓને જમીન ન આપવા કહ્યું છે. જ્યારે ધારી વનવિભાગના અધિકારીઓ જમીન આપવા અભિપ્રાય આપ્યો છે. કંપની 12 વર્ષથી ડોળો માંડીને બેઠી છે. 2016 સુધીમાં અનેક વન અધિકારીએ સિંહોની સુરક્ષાને ધ્યાને રાખી આ માઇનિંગ પ્રોજેક્ટને નકારી કાઢ્યો હતો.
અમારા વિસ્તારમાં સિંહ ખુબ જ મોટી સંખ્યામાં રહે છે. જમીન કંપનીને સોંપવાથી ગામમાં સિંહ સાથે ઘર્ષણ પણ વધશે. જમીન કંપનીને સોંપવામાં ન આવે. અમારા વિસ્તારમાં સિંહ ન હોવાનો ખોટો અભિપ્રાય જે અધિકારીએ કંપની સાથે મળી આપ્યો છે, તે ખોટો છે. તેની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
2016થી અત્યાર સુધીમાં અન્ય અનેક માઈનિંગ પ્રોજેક્ટ નકારી કાઢ્યા છે,
કનુ કળસરિયા
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગાંધીવાદી વિચારધારા ધરાવતા ખેડૂત નેતા અને સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલના અધ્યક્ષ, ડૉક્ટર, પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયા દ્વારા વિરોધ કર્યો હતો.
ધારાસભ્ય
ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ વન પ્રધાન અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને ખાણો સામે વાંધો ઉઠાવ્યો હતો. જંગલમાં માઈનિંગની મંજૂરી આપવાથી એશિયાઈ સિંહોના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થશે. તંત્રની બેધારી નીતિ છે. PCCF, CF અને DCF સહિતના ઉચ્ચ વન અધિકારીઓના મૌન છે. સિંહ માનવ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે અને ગ્રામજનો તથા સિંહ વચ્ચે સંઘર્ષ વધવાની ભીતિ છે.
વન વિભાગ અને સરકાર તાત્કાલિક ધોરણે આ મંજૂરી રદ કરે.
વન પ્રધાન
અર્જુન મોઢવાડીયાએ જાહેર કર્યું હતું કે, મારા ધ્યાને આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. અમે કોઈપણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગની મંજૂરી આપતા નથી .

ખાણો
2026માં વન્યજીવ બોર્ડના સભ્યો અને પર્યાવરણવિદોએ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી રજૂઆત કરી છે કે ગીર (ખાસ કરીને ધારી અને અમરેલી ડિવિઝન)માં પર્યાવરણના નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી રહી છે.
સિંહોના કોરિડોર અને જંગલની ધાર પર ચાલતી આ ભારે મશીનરીની પ્રવૃત્તિઓ સિંહ, દીપડા અને અન્ય વન્યજીવોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો કરે છે અને માનવ-વન્યજીવ સંઘર્ષ વધારે છે.
ગીર જંગલ અને તેની આસપાસના ઇકો-સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર ખાણકામની પ્રવૃત્તિઓ RTI, વન વિભાગ અને NGTના અહેવાલોમાં 30 થી 67 ગેરકાયદેસર લાઈમસ્ટોન અને રેતીની ખાણો હોવાનું જણાય છે.
ઇકો-સેન્સિટિવ ઝોનમાં ખનનને કાયદાકીય મંજૂરી મળતી નથી.
2015-16માં વન વિભાગના સર્વે અને RTIમાં એવું બહાર આવ્યું હતું કે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ઘાંટવડ, જામવાળા, આમદ્રા, સુરવા, અંકોલવાડી વગેરે વિસ્તારોમાં 30થી વધુ ગેરકાયદેસર પથ્થરની ખાણો ચાલી રહી હતી.
શિંગવડા નદીના પટમાં ચાલતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ અંગે અગાઉ ગુજરાત હાઈકોર્ટે 67 જેટલી સેન્ડ-માઇનિંગ કરતા એકમો બંધ કરવાના આદેશો આપ્યા હતા.
ભૂતકાળ
20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મી.ની અંદર 3.2375 હેક્ટર (32,375 મીટર) જમીન શિવ મિનરલ્સને લાઈમ સ્ટોન કાઢવા ખાણ માટે વિજય રૂપાણીએ ગેરકાયદે આપી દીધી હતી. જ્યાં સિંહ અને જંગલના પ્રાણીઓની વસતી છે. થોડા જ વર્ષ અગાઉ જૂનાગઢ અને ગીર વિસ્તારની આસપાસ 40 જેટલી લાઇમ સ્ટોનની ખાણો દીનુ બોઘા સોલંકી અને તેના પરિવારજનો દ્વારા ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો કલેક્ટરને થઈ હતી.
ગીરમાં હડમતીયા વિસ્તારમાં ચાલતી ખાણો વિશે અમિત જેઠવાએ ફરિયાદ તકીને ખાણમાં દીનુ સોલંકીને 40 લાખનો દંડ થયો હતો. અંબુજા સિમેંટના બે વહાણોને કંડલા બંદરે સીલ કરાવવામાં જેઠવાની ભૂમિકા હતી. અમિતે ગેરકાયદે ચાલતી ખાણોની તપાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. 20મી જુલાઈ 2010ના દિવસે હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઈ હતી. જેમાં 192માંથી 155 સાક્ષી હોસ્ટાઇલ થઈ ગયા હતા.
નેસડી ગામના સરવે નંબર 47માં ચાલતા સ્ટોન ક્રશર અને બ્લાસ્ટ બંધ કરાવીને કંપની પાસેથી દંડ સાથે રોયલ્ટી વસુલવા માટે ગુજરાત સરકારમાં લાયન નેચર ફાઉન્ડેશનનાં પ્રમુખ ભીખુભાઈ બાટાવાળા ફરિયાદ કરી હતી.
ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનું મુલ્યાંકન કરવા કહેવાયું. એનજીટીએ જી.પી.સી.બી.ને 24 જુલાઇ, 2019 સુધીમાં લેવાયેલી કાર્યવાહીની વિગતવાર રજૂઆત કરવાનું કહ્યું હતું. અરજીમાં જણાવ્યું કે, સીઇઆએ દ્વારા અગાઉથી પર્યાવરણીય મંજૂરી વગર ચૂનાના પથ્થરની ખાણો ખોદવામાં આવી. અરજદાર દ્વારા 20 ખાણિયો ઓળખાયા હતા.
ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખાણના ગુનામાં અદાલતે 1 માર્ચ 2019ના રોજ 2 વર્ષ 9 મહિનાની સજા ઈ.સ.1995ની ખનીજ ચોરીમાં ફટકારી હતી, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
ગુજરાતી
English