[:gj]લાંચીયા જેએમ ભરડાવને નોકરીથી દૂર કરી દેવાયા[:]

[:gj]આઠ લાખ રૂપિયાની લાંચ લેવા મમતે જેતપુરના DySP જે. એમ. ભરવાડને રાજ્ય સરકાર દ્વારા ફરજ મોકુફ હેઠળ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસથી ભાગતા ફરતા હતા. ધોરાજી કોર્ટ દ્વારા જે. એમ. ભરવાડને ભાગેડુ જાહેર કરવાના આદેશ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી જે. એમ. ભરવાડ ACB સમક્ષ હાજર થયા હતા.

ACBએ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘ફરીયાદીના મિત્રનાઓને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટના ગુનામાં નામ ખુલેલ હોય, જે કેસમાં ફરીયાદીના મિત્રને માર નહીં મારવા માટે, તેમજ કંઇ પણ પુછપરછ નહીં કરવા સારૂ જે. એમ. ભરવાડ, નાયબ પોલીસ અધીક્ષક, જેતપુરના વતી પોલીસ કોન્સ્ટબલ વિશાલકુમાર ગોવિંદભાઇ સોનારાનાઓએ ફરીયાદી પાસેથી રૂપિયા 8,00,000ની લાંચ માંગી, સ્વીકારી તારીખ 03/08/2016ના રોજ ચાર વાગે ધોરાજી બાયપાસ હાઈ-વે પાસે આવેલા આવકાર હોટલ, ધોરાજી મુકામે પકડાઇ ગયેલ.

ગુનાની ગંભીરતા મુજબ જે. એમ. ભરવાડ તત્કાલીન, નાયબ પોલીસ, અધીક્ષક, જેતપુરનાઓને તારીખ 23/12/2019ના ગુજરાત સરકાર ગૃહ વિભાગના આદેશ મુજબ ‘ફરજ મોકુફી હેઠળ’ મુકવામાં આવેલ છે. ફરજ મોકુફી દરમ્યાન તેઓનુ મુખ્ય મથક પોલીસ અધિક્ષકની કચેરી, છોટા ઉદેપુર ખાતે રાખવામાં આવેલ છે.’

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 3 ઓગસ્ટ 2016ના રોજ જેતપુર સીટી પોલીસમાં ફરજ બજાવતા હથિયારી કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ ફરિયાદીને તેના મિત્રનું નામ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયારના ગુનામાં ખુલ્યું હોવાનું કહ્યું હતુ, ત્યારબાદ ફરિયાદીને DySP સમક્ષ રજૂ ન કરવા, તેની પૂછપરછ ન કરવા અને માર નહીં મારવાના બદલામાં DySP જે. એમ. ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલે ફરિયાદી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી અને કોન્સ્ટેબલ વચ્ચે લાંચની રકમને લઇને થોડી રકજક થઈ હતી અને અંતે 10 લાખમાંથી 8 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.

ફરિયાદી DySP અને કોન્સ્ટેબલને લાંચ આપવા માંગતો ન હતો. જેથી તેને ACBને આ સમગ્ર મામલે જાણ કરી હતી અને ACBના અધિકારીઓ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતુ. જે સમયે ફરિયાદીએ કોન્સ્ટેબલને લાંચ આપી. તે સમયે કોન્સ્ટેબલ વિશાલે DySP જે. એમ. ભરવાડને ફોન કરીને લાંચ આવી ગયાનું કહ્યું હતુ, ત્યારબાદ આ તમામ પૂરાવાઓના આધારે ACBના અધિકારીઓએ કોન્સ્ટેબલને 8 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.

ત્યારબાદ ACBએ DySP જે. એમ. ભરવાડની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ DySP જે. એમ. ભરવાડ ફરાર થઈ ગયા હતા અને તમને ધોરાજી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. આગોતરા જામીનની અરજી કોર્ટે નામંજૂર કરી હતી, ત્યારબાદ DySP જે. એમ. ભરવાડની કાર અમદાવાદ હાઈ-વે પરથી મળી આવી હતી પરંતુ DySP જે. એમ. ભરવાડ મળી આવ્યા નહોતા. ફરાર થયેલા DySP જે. એમ. ભરવાડને પકડવા માટે કોર્ટ દ્વારા ધરપકડનો વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ DySP જે. એમ. ભરવાડે ગુજરાત હાઈકોર્ટમાં વોરંટ નાબુદ કરવાની અરજી કરી હતી અને તે અરજી હાઈકોર્ટે નકારી હતી.

DySP જે. એમ. ભરવાડ પોલીસ પકડમાં આવતા ન હોવાના કારણે ACBએ તેમને ભાગેડુ જાહેર કરવા માટે ધોરાજી કોર્ટમાં અરજી કરી હતી. અરજી બાદ ACB દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પૂરાવાઓના આધારે ધોરાજી કોર્ટે DySP જે. એમ. ભરવાડને ભાગેડુ જાહેર કર્યા હતા અને ત્યારબાદ તેઓ સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન લઇને રાજકોટ ACB સમક્ષ હાજર થયા હતા અને તેમનું નિવેદન નોંધાવ્યું હતું.[:]