[:gj]12 હજાર સરપંચોના હક્કની લડાઈ [:]

[:gj]ગુંગી સરકાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

ગુજરાતના 12 હજાર જેટલાં સરપંચો પોતાના હક્ક માટે 10 મહિના જેવા લાંબા સમયથી લડાઈ લડી રહ્યાં છે. સરપંચોને એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર એક-એક કરીને તેમના હક્ક છીનવી રહી છે. તે પરત આપવા માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી. સરકારે તેનો કોઈ ઉકેલ લાવી નથી. તેઓ એવું માને છે કે, સરપંચો હવે રાજ્યપાલની જેમ શોભાના ગાંઠીયા જેવા બની ગયા છે. ફરી એક વખત ઊંઝામાં 200થી વધારે સરપંચો એકઠા થયા હતા અને તેમની 19 પડતર માંગણીઓ સાથે હક્ક પરત આપવા માટે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત પંચાયત પરિષદે અધિકાર પરત આપવા માટે રાજ્ય કક્ષાનું ગાંધીનગરમાં આંદોલન કરીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે રાજ્પાલે જેનો જવાબ આપ્યો પણ નથી. ગ્રામ્ય વિસ્તારની તાકાત વધતાં અને તેઓ ભાજપ વિરોધી બનતા આ હક્કો છીનવી લેવામાં આવ્યા હોવાના આરોપ મૂકાયા છે. સરપંચો મામલતદાર અને તલાટી-મંત્રીની દયા પર જીવે છે.

પંચાયત રાજની મહત્વની અને પાયાની સંસ્થા ગ્રામ પંચાયતને ગણવામાં આવે છે.

કયા હક્ક છીનવાયા  ?

ચેક પર સહી કરવાના હક્ક છીનવી લેવાયા.  પંચાયતમાં સરપંચની સત્તાઓ નક્કી કરવા અને તલાટી મંત્રી અને રેવન્યુ તલાટીની જવાબદારીઓ નક્કી નથી થઈ. સરકારના ઠરાવો, પરિપત્રો અને સૂચનાઓ સીધી પંચાયતને મળતી નથી, ગ્રામ પંચાયત માટે સ્ટાફ અને મહેકમ મંજૂર નથી, સરપંચોને ઓળખકાર્ડ મળે, ગ્રામ પંચાયતને ફાળવાતી ગ્રાન્ટો વસ્તીના આધારે મળે, તેમજ ગ્રામ પંચાયતના કામો ઉપર જી.એસ.ટી. રદ કરવાની માંગણી, ગરીબો માટે મકાનો બનાવવા પ્લોટની ફાળવણી, નાણાંની ફાળવણીમાં ભેદભાવ, મધ્યાહન્ન ભોજન યોજનામાં ગેરરીતિ, સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર બંધ કરવા, જમીનોના હક્ક છીનવવા, જંત્રીના દરો, ગૌચરની જમીનોના હક્કો, દરેક ગામને તલાટી આપવા, ચેકડેમની યોજનાઓ માટે હક્કો આપવા, સિંચાઈનું પાણી, મગફળી-કપાસના પોષણક્ષમ ભાવ આપવાની મુખ્ય માંગણીઓ છે. સરપંચ કોઈ પક્ષના હોતા નથી, તેમ છતાં ગુજરાતના મોટા ભાગના સરપંચ ભાજપ સરકારની વિરૃદ્ધમાં હોવાથી તેમના હક્કો છીનવવામાં આવી રહ્યાં હોવાનું તેઓ માની રહ્યાં છે.

પંચાયતી રાજ ખતમ

સમગ્ર ભારતમાં બળવંતરાય મહેતાએ ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કરી હતી. ગુજરાત 25 વર્ષ પહેલાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજમાં પ્રથમ નંબરે હતું. ભાજપનું શાસન આવ્યા બાદ 22 વર્ષ પછી તે 18માં સ્થાને ભારતના રાજ્યોમાં જતું રહ્યું હોવાનો તાજેતરમાં મુંબઈની એક સંસ્થા દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાં ગુજરાતનું ત્રીસ્તરીય – ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત – રાજ શ્રેષ્ઠ હતું. હવે આ ત્રણેય સંસ્થાઓ પાસેથી મહત્વના અધિકારો સરકારે લઈ લીધા છે. ગ્રામ સચિવાલય અને જિલ્લા સેવા સદન નામ આપવામાં આવ્યા છે પણ મહત્વના હક્ક હતા તે છીનવી લેવામાં આવ્યા છે. છેલ્લો હક્ક ખેતીની જમીન બિન ખેતી કરવા કે ન કરવાના હક્કો પંચાયતી રાજ પાસે હતા તે જાન્યુઆરી 2019થી રૂપાણી સરકારે છીનવી લીધા છે. ગુજરાતમાં લોકશાહી નહીં પણ અધિકારી શાહી સ્થાપિત કરી દેવામાં આવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રની ગ્રામ પંચાયતોની ગુજરાતની પંચાયતો કરતાં વધારે હક્કો આજે છે. જે સરપંચ સરકાર સામે બોલે કે જે ગામ ભાજપને મત ન આપે તેમની ગ્રાંટ આપવામાં સરકારી અખાડા થાય છે. ગ્રામ પંચાયતને કામ કરવા માટે કેટલા નાણાની જરૂર છે તે માટે બજેટની સત્તા આપી સરકાર પાસે ગ્રાંટ આપવાના પંચાયતના કાયદામાં જોગવાઈ કરવાની ખાસ આવશ્યકતા છે. તેમ નહીં થાય તો ગામડાઓ રાજકીય કિન્નાખોરીનો વધારે ભોગ બનશે.

1912થી આફત શરૂ

જાન્યુઆરી 2012માં ગુજરાતની 8170 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં 5661 ગ્રામ પંચાયતના સરપંચ એવા હતા કે જે ભાજપને સમર્થન આપતા ન હતા. જેમાં બિનહરીફ થયેલા સરપંચ તો 2372 હતા. તેમાં ઘણી પંચાયતોમાં તો સરકારે ધમકીનો પ્રયોગ કર્યો હોવાનું જાહેર કર્યું હતું. 22 વર્ષના ભાજપના શાસનમાં ગ્રામ્ય વિસ્તારની અવગણના કરવામાં આવી રહી હોવાથી આવું થયું હતું. જેની સીધી અસર લોકસભામાં તો ન દેખાઈ પણ 2017ની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરકાર વિરોધી માનસ ધરાવતાં ગામડાઓમાં ભાજપની વિચારધારાઓને જાકારો મળ્યો હતો. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવું સ્પષ્ટ જણાવ્યું હતું કે, 12 હજાર ગ્રામ પંચાયતોમાંથી 9800 ગામડાઓમાં ભાજપને ઓછા મત મળ્યા હતા અને કોંગ્રેસને વધું મત મળ્યા હતા. શહેરોમાં ભાજપને વધું મત મળતાં વધું ધારાસભ્યો ચૂંટાયા હતા અને સત્તા મેળવી હતી. આમ 2012થી સરપંચો ભાજપની વિરૃદ્ધ જતાં તેમના પર આફત શરૂ થઈ હતી.

મુખ્ય પ્રધાનના શહેર આસપાસ આંદોલન

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ શહેરની આસપાસના 52 ગામના ખેડૂતોએ 9 સપ્ટેમ્બર 2016માં રૂડા – રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ ખેડૂતોની જમીન લઈ રહી હતી, તેનો વિરોધ કરવા એકઠા થયા હતા. જો સરકાર જમીન લઈ લેશે તો 52 ગામના ખેડૂતો આત્મ વિલોપન કરશે એવી જાહેરાત કરી હતી. બાઘી, નારણકા, વિજયનગર, રાજગઢ, હડમતિયા બેડી, નાકરાવાડી, ધમલપર, ખેરડીજેવા ગામો હતા.

સહી સામે આંદોલન

નાણાકીય વહિવટમાં તલાટીની સહી ફરજિયાત કરવાનો પરિપત્ર સરકારે કર્યો ત્યારથી સરપંચો મોટા પાયે સરકાર સામે થઈ ગયા હતા. સુરેન્દ્રનગરના 200 સરપંચ રસ્તા પર આવી ગયા હતા અને રેલી કાઢી કલેક્ટરને કહી દીધું હતું કે અમારો હક્ક પરત કરો. પંચાયતને પરમેશ્વર ગણવામાં આવે છે, ત્યારે સરપંચોની સત્તા છીનવીને ભાજપ સરકાર સત્તાનું કેન્દ્રીકરણ કરવાને બદલે વિકેન્દ્રીકરણ કરી રહી છે. પંચાયત અધિનિયમમાં સુધારા કર્યા સિવાય માત્ર પરિપત્રને આધારે કરેલા નિર્ણય ગ્રામ પંચાયતોના અધિકાર પર સરમુખત્યારી તરાપ મારવા સમાન છે. આથી પરિપત્ર તાકીદે રદ્દકરવા માંગણી કરાઇ હતી. જો તેમ નહીં કરે તો 2017ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સરપંચોએ એલાન કહ્યું હતું. જે અહીં સાચું ઠર્યું હતું. સુરેન્દ્રનગરમાં ભાજપના ધારાસભ્ય એક જ ચૂંટાયા છે. આવું રાજ્યભરમાં થયું છે.

2018માં સરપંચોએ પરિવર્તન કર્યું

6 ફેબ્રુઆરી 2018માં 1182 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી. 241 પંચાયતો બીનહરિફ થઈ હતી. કૂલ 22036 ઉમેદવારો હતા. જેમાં સરપંચ માટે 5928 ઉમેદવારો હતા. પરિણામમાં 70 ટકા કોંગ્રેસ પક્ષ સર્મિથત સરપંચો અને સભ્યોનો ભવ્ય વિજય થયો હોવાનો ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો હતો. છે. ભાજપ સરકારની ગામડાં વિરોધી, ખેડૂત વિરોધી નીતિના કારણે પ્રજાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો હોવાનો કોંગ્રેસનો દાવો હતો. ભાજપે 80 ટકાનો દાવો કર્યો હતો. પણ વિધાનસભાના મત ભાજપને ગામડાઓમાં મળેલા તેની વિરૃદ્ધનો દાવો હતો.

ધારાસભ્યોને પગાર તો સરપંચોને પગાર આપો

ગુજરાત પંચાયત પરિષદે 6 ફેબ્રુઆરી 2018માં સરકાર સમક્ષ એવી માંગણી કરી હતી કે, ગામના પ્રથમ નાગરિક સરપંચોને ખિસ્સા ખર્ચ નિકળે એટલું દર મહિને રૂ.5 હજારનો પગાર આપવો જોઈએ. પંચાયત પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ કહ્યું કે જો ધારાસભ્યને એક લાખ, સંસદને વર્ષે રૂ.25 લાખથી વધારાનું માનદ વેતન મળતું હોય તો સરપંચને પણ પાંચ હજાર જેવી નજીવી રકમ માનદ વેતન તરીકે સરકારે આપવી જોઈએ. જે અંગે ઊંઝા તાલુકાના તમામ 65 ગામના સરપંચોએ આવી જ માંગણી કરી હતી.

પોલીસ પટેલ આપો

ઓક્ટોબર 2018માં ગુજરાતમાં પરપ્રાંતના લોકો પર હુમલા થયા ત્યારે અમદાવાદ જિલ્લામાં પરપ્રાંતીય પર હુમલા થશે તો જિલ્લાના 464 સરપંચોની જવાબદારી પોલીસ અને જિલ્લા વડાએ નક્કી કરી હતી. કેટલાંક સરપંચોએ ત્યારે કહ્યું હતું કે આ જવાબદારી પોલીસ પટેલ નિભાવતાં હતા. તે પ્રથા ફરી લાવો. સરકારે ગામડાઓની આ વ્યવસ્થા ઝૂંટવી લીધી છે અને હવે સરપંચને તે માટે જવાબદારી વધારી રહ્યાં છે. જો તેમ હોય તો ગુજરાતમાં પરપ્રાંતી પર હુમલા થયાં તેના માટે મુખ્ય પ્રધાન કે રાજ્યપાલ જવાબદાર હોવા જોઈએ, માત્ર સરપંચ જ કેમ ?

દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જંગ

ગુજરાતમાં જ્યારે પણ ઓછો વરસાદ પડે છે ત્યારે સરપંચ પર દબાણ વધી જતું હોય છે. કારણ કે સરકાર ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં વિલંબ કરતી હોય છે. તેથી દર વર્ષે સરપંચોએ તે માટે આંદોલનો કરવા પડતાં હોય છે. 2018-19માં વરસાદ ઓછો થવાના કારણે ઓછામાં ઓછા 5 હજાર ગામડાઓ અછતગ્રસ્ત છે પણ સરકારે તો માત્ર 52 તાલુકાને જ અછત હેઠળ લીધા છે. તેથી 20 જિલ્લાઓમાં ગામડાઓએ રજૂઆત કરવી પડી છે કે આંદોલન કરવા પડ્યા છે. મોબરીમાં આવું જ આંદોલન કરવા માટે 102 ગામના સરપંચોએ રેલી કાઢી હતી. આ વર્ષે ઓછામાં ઓછા 2 હજાર ગ્રામડાઓએ પોતાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે આંદોલનો કે દેખાવો કરવા પડ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્તર ગુજરાતનાં મોટા ભાગના તાલુકામાં અપૂરતો વરસાદ થતાં ખેતી નિષ્ફળ ગઈ છે.

કૃષિ નીતિ જાહેર કરો

ગ્રામ્ય અર્થતંત્ર કૃષિ આધારિત છે. તેથી પંચાયત પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ કહ્યું હતું કે, સરકારે કૃષિ નીતિ જાહેર કરીને ગ્રામ પંચાયતોને મજબૂત કરવી જોઈએ. પણ ગુજરાત સરકારે કૃષિ નીતિ જ બનાવી નથી. ઉદ્યોગોની નીતિ છે, પણ ખેતી નીતિ નથી. તેથી પંચાયતો નાણાંકિય અને રાજકીય રીતે સધ્ધર બનતી નથી. સરકારે ગ્રાંટ માટેના નિયમો આ નીતિ દ્વારા જાહેર કરવા જોઈએ.

સરપંચો અર્ધનગ્ન થયા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સરપંચો સરકારે નાણાકીય સત્તા આંચકી લેવાના સરકારના નિર્ણયની સામે 20 મે 2017માં રસ્તા પર ઉતરીને રેલી કાઢી હતી. તેઓ સરકાર લોકશાહી માટે કેટલી બેશરમ છે તે બતાવવા માટે સરપંચો એ જાહેરમાં ટોપલેસ થઈને અર્ધનગ્ન થયા હતા. છતાં તેમને આજ સુધી કોઈ અધિકારો આપવામાં આવ્યા નથી. ગુજરાતમાં હજારો સરપંચોએ પોતાના અધિકારો માટે દેખાવો કર્યા છે. પણ સરકારે તે ધ્યાને લીધા નથી. પંચાયત પરિષદ કરે છે કે, ગુજરાતના 9 હજાર સરપંચોએ આર્થિક સત્તા છીનવી લેવાનો વિરોધ કર્યો છે. પણ તેને ધ્યાને લેવામાં આવ્યો નથી. આ એટલા માટે કર્યું હતું કે પંચાયતો સરકાર વિરૃદ્ધ છે.

72 ગામ માટે સરકારી ગ્રાંટ 1.25 કરોડ

રાજુલા તાલુકાના 72 ગામને આયોજન અને એટીવીટી બાબતે માત્ર સવા કરોડ સરકારે રકમ ફાળવી હતી. તેથી 72 ગામના સરપંચો એકઠા થયા હતા અને સરકારના આવા કિન્નાખોરી ભર્યા વલણનો વિરોધ કર્યો હતો.  15 વર્ષ પહેલાં આ રકમ મળતી હતી. ત્યાર બાદ સરકારની આવક 700 ગણી વધી છે. તો ગ્રાંટ 10 કરોડ મળવી જોઈતી હતી. સરકારે ઓછી ગ્રાંટ આપી તેનું કારણ એ છે કે અહીંના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર ચૂંટાયા છે.

13 ગામની વાત કોઈએ સાંભળી નહીં

31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાનું હતું તે પહેલાં 29 ઓક્ટોબર 2018માં નર્મદાના 13 ગામના સરપંચોએ વડાપ્રધાન સમક્ષ પત્ર લખ્યો હતો. જેનો આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિયર ડેમ બન્યા બાદ અસરગ્રસ્તોને પડતી સિંચાઈ, પીવાના પાણીની તકલીફ અને બેરોજગારી દૂર કરવા અને જમીનના હ્કકો છીનવી લેવાયા છે તે અંગે પત્ર લખ્યો હતો. જેનો જવાબ આજ સુધી મળ્યો નથી. પત્રમાં લખ્યું હતું કે, અમે જ્યારે પણ અમારા અધિકારોની વાત કરીએ તો, પોલીસ અમારા પર દમનનો માર્ગ અપનાવે છે.[:]