[:gj]કોરોનાના 69 દર્દી સ્ટેબલ થઈ ગયા, સાજા થઈ રહ્યાં છે દર્દીઓ [:]

[:gj]1 એપ્રિલ 2020માં નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના ૩૧ સુરતના ૧૦, રાજકોટના ૧૦, ગાંધીનગરના ૧૧, વડોદરાના ૯, ભાવનગરના ૬, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક – એકનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૫૮૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે જેમાં ૧૫૦૧ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને ૮૨ કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. જે ૮૨ કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં ૬૭ કેસ સ્ટેબલ, ૩ વેન્ટિલેટર ઉપર અને ૬ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.

ડોક્ટર રવિએ કહ્યું કે, આજે જે નવા આઠ કેસ પોઝિટિવ આવ્યા છે એમાં અમદાવાદના પાંચ પુરુષ અને ત્રણ સ્ત્રીનો સમાવેશ થાય છે જે તમામ લોકલ ટ્રાન્સમિશનને પરિણામે પોઝિટિવ થયા છે.

કવોરન્ટાઈનમાં રહેલ વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં ૩૬૬ કોલ મળ્યા છે તે પૈકી ૧૯૨ કોલ મેન્ટલ હેલ્થને લગતા અને ૧૭૩ કોલ શારીરિક હેલ્થને લગતા છે. જે તમામને યોગ્ય માર્ગદર્શન અને જરૂર જણાય ત્યાં સારવાર આપવામાં આવી છે.

28 હજાર લોકોએ ફોન કર્યા

રાજય સરકારની હેલ્પલાઇન નંબર -૧૦૪ ઉપર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. તેની માહિતી આપતા ઉમેર્યું કે, અત્યાર સુધી ૨૮,૦૦૦ થી વધુ આવા કોલ આવેલ છે જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૪૯૬ જેટલા વ્યકિતઓને આ રીતે સારવાર પુરી પાડવામાં આવી છે.

ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૩૦/૦૩/૨૦૨૦ સુધીમાં ૭૩૮ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.  વધુમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી રાજયના ર૮ બીજા સેન્ટરો ખાતે આ તાલીમ શરૂ કરી ૧૪૦૦ જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટીલેટર કેરની તાલીમ આપવામાં આવશે. એટલું જ નહિ,  ૨૩૬૭ તબીબો, ૧૩૦૦ જેટલા આયુષ, ૨૬૦ ફીજીયોથેરાપીસ્ટ, ૨૬૬ ડેન્ટલ સર્જન અને ૫૦૦૦ જેટલા સ્ટાફ નર્સને COVID-19 ને લગતી આનુષંગિક તાલીમ આપવામાં આવશે.

૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. તે ઉપરાંત રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસ્થિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.

રાજ્યમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે ૨૫૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવનાર છે. આમ કુલ રાજયમાં ૪૬૫૦ બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે. તો બીજી તરફ રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરી અને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ ,પી.પી.ઇ. કીટ ૩.૫૮ લાખ  અને ટ્રીપલ લેયર માસ્ક ૧.૨૩ કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ૧૫૦ વેન્ટીલેટર ખરીદીના આદેશો અપાઇ ગયેલ છે. તે ઉપરાંત COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.[:]