ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ
ગાંધીનગર, 15 મે 2021
અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે.
20 કિલોનો 280થી 300 ભાવ અત્યારે છે. સામાન્ય રીતે 500થી 600 ભાવ હોય છે. કોરોના પહેલા હોળી પર 670ના ભાવ હતો. કોરોના આવતાં તે અડધો થઈ ગયો છે. આમ શ્રીમંતોના ઘઉંના ભાવ પણ તૂટીને તળિયે ગયા છે. હાલ સરેરાશ 20 કિલો ઘઉંના રૂપિયા 300-350 છે. તેમ છતાં ખરીદ કરનારા કોઈ નથી. ભાલિયા ઘઉં અને પિયત ઘઉંના ભાવનો કોઈ ફેર રહ્યો નથી.
ધારાસભ્ય શું કહે છે
અહીંના ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ કહે છે કે, અમદાવાદ જેવા શહેરમાં બિન પિયત ઘઉંનું અલગ બજાર બનાવો. બિનપિયત ઘઉંના ટેકાના ભાવ અલગ કરવા જોઈએ. હાલ ભાવ 20 કિલોના રૂપિયા 300 માંડ મળે છે. સરકારે માલ વેચાય તે માટે નવી બજાર ઊભી કરવી પડશે. ખેડૂત પાસેથી વેપારીઓ નીચા ભાવે ઘઉં ખરીદે છે. સરકારે ટેકાના ભાવો જાહેર કરેલા છે તેમાં ઘઉંના 100 કિલોના રૂપિયા 1975 છે. તે ભાલિયા ઘઉંમાં 4 ગણાં હોવા જોઈએ. કારણ કે એક વીઘે 5થી 7 મણ ઘઉં ઉતરે છે. તેથી ઓછા ભાવે તે વેચવા ખેડૂતોને પોસાય તેમ નથી. એક વીધાએ ખેડૂતોને રૂપિયા 5 હજાર મળે છે.
ખાસ બજાર વ્યવસ્થા
ભાલિયા ઘઉંનો ભાવ બીજા ઘઉં કરતાં 3 ગણો વધું હોવાથી તે મોટા ભાગે શ્રીમંતોના ઘઉં તરીકે જાણિતા છે. ભાલિયા ઘઉં વેચવા અને ખરીદવા માટેની ખાસ પ્રકારની બજાર છે. અલગ પ્રકારની વેપાર પદ્ધતિ છે. ભાલિયા ઘઉં કોઈ ખેડૂત એપીએમસીમાં વેચવા જતાં નથી. અમદાવાદના વેપારીઓ 90 ગામોમાં ફરીને ઘઉં ખરીદે છે. ખેડૂતો પોતે પોતાના ગ્રાહકોને સીધા આપે છે. ભાલના ખેડૂતો 5 વર્ષ પહેલાં અમદાવાદમાં ટ્રેક્ટર લઈને જતાં અને ઘરેઘરે ફરીને ભાલિયા ઘઉં વેચતા હતા. પણ હવે તે બંધ થઈ ગયું છે. ભાલની નજીકની ખેત ઉત્પાદન બજાર સમિતિ ધંધુકાની છે જ્યાં કોઈ ખેડૂત ભાલિયા ઘઉં વેચવા જતાં નથી. મોટા ભાગના ખેડૂતો પોતાના માલનું સીધું વેચાણ કરે છે. આમ ખેડૂતોને ખરેખર તો બીજા ઘઉં કરતાં 3.50 ગણો ભાવ મળવો જોઈએ. પણ 25થી 50 ટકા ભાવ ફેર માંડ મળે છે.
ખેડૂતો પહેલા અમદાવાદ શહેરમાં જઈને ઘરેઘરે જઈને વેચતાં હતા જે છેલ્લા 5 વર્ષથી બંધ થઈ ગયું છે.
ભાલમાં ઘઉંનું વાવેતર
ભાલિયા ઘઉં 20200 હેક્ટરમાં થાય છે. હેક્ટર દીઠ 756 કિલો ઉતારો મળે છે. જ્યારે બીજા ઘઉં 2800થી 3 હજાર કિલો એક હેક્ટરે પાકે છે. જ્યાં સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ઘઉંની વાવણી થાય છે. માર્ચથી એપ્રિલમાં પાક તૈયાર થાય છે.
દાઉદખાની ઘઉં
ભાલિયા ઘઉં કે જેને અમદાવાદના લોકો દાઉદખાની ઘઉં તરીકે જાણે છે. દાણા લાંબા, સુંદર અને ભરાવદાર હોય છે. 2011માં ભૌગોલિક ઓળખ (જીઆઈટેગ) આપવામાં આવેલો છે. ગુજરાત ઘઉં-1 તરીકે જાણીતો છે. ખંભાતના અખાતના સૌરાષ્ટ્ર કાંઠે ભાલ પ્રદેશ છે.
ભાલ પ્રદેશ
વિશ્વનું પ્રથમ બંદર લોથલ ભાલમાં છે. અહીં સિંધુ અને સરસ્વતી નદી વહેતી હતી. જેનો કાંપ ઠલવાઈને પ્રદેશ બનેલો છે. ભાલ વિસ્તાર 2 લાખ હેક્ટરમાં ફેલાયેલો છે. અમદાવાદ, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર, ખેડા જિલ્લાના 94 ગામો મળીને ભાલ પ્રદેશ બને છે. ભાલિયા ઘઉં અમદાવાદ જિલ્લાના ધંધુકા, બાવળા, ધોળકામાં મોટા પ્રમાણમાં ઘઉં પાકે છે. ખેડાના માતર તથા આણંદના તારાપુર અને ખંભાતમાં થાય છે. ભાવનગર, વલ્લભીપુર વિસ્તારમાં બિન પિયત ઘઉં પાકે છે.
https://allgujaratnews.in/gj/?p=47028
જમીનમાં જ ભેજ
જમીન પર ચોમાસાના પાણી ભરાઈ રહેવાના કારણે અંદર ભેજ રહે છે. તે ભેજના આધારે જ ભાલના ઘઉં થાય છે. જેના ભરાવદાર કઠણ દાણામાં પ્રોટીન વધું હોય છે. તેથી ઊંચા ભાવ મળે છે. એમિનો એસિડ ગ્લુટેનથી સમૃદ્ધ છે. કેરોટિનની માત્રા ઊચી છે. પાણીનું ઓછું શોષણ કરે છે.
ભાલિયા ઘઉંનો વપરાશ
ડ્યુમ કે મેકરોની ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. સોજી, પાસ્તા,નાસ્તા, કેક, બેકરી, રોટલી, ભાખરી, બિસ્કીટ બનાવવા વપરાય છે.
2021માં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટન તમામ પ્રકારના ઘઉંનું ઉત્પાદન થવાની ધારણા છે.
જિલ્લો હેક્ટર ઉત્પાદનટન ઉત્પાદકતા
અમદાવાદ 136473 308031 2257
ભાવનગર 10572 33989 3215
આણંદ 58824 181291 3082
બોટાદ 7419 19840 2674
ગુજરાત 1366200 —– 2804
ખાતરનો વપરાશ
હવે ભાલના બિનપિયત ડ્યુરમ (ભાલિયા) ઘઉંની ખેતી માટે યુરિયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઝિંક સલ્ફેટ, જંતુનાશક દવા અને સિંચાઈ કરવામાં આવે એવા બિયારણો શોધીને આણંદ કૃષિ યુનિવર્સિટીના ધંધુકા કૃષિ સંશોધન કેન્દ્ર વૈજ્ઞાનિક દ્વારા ભલામણ કરવામાં આવી છે.
ગુજરાતમાં દરેક વ્યક્તિ દીઠ 3 કિલો અને કુલ 15.88 કરોડ કિલો રાસાણિક ખાતર ઘઉંમાં વાપરવામાં આવે છે. પણ ભાલિયામાં આવા ખાતર મોટાભાગે ઓછા વપરાય છે. ગુજરાતમાં 250 કરોડ કિલો ઘઉંમાં 16 કરોડ કિલો રસાયણો વપરાય છે. એક કિલો ઘઉં બનાવવા 15 ગ્રામ રસાયણ વપરાય છે. જે ભાલિયામાં ઓછા વપરાય છે.
રૂપાણીની નીતિ
ગુજરાતની રૂપાણી સરકારે 2015માં સજીવ ખેતી નીતિ બનાવી અને ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવી છે. પણ જ્યાં સજીવ ખેતી થાય છે તે ઘઉંના પૂરતાં ભાવ મળતા નથી.
2015માં ગુજરાતમાં 41,950 હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી. જે 5 વર્ષમાં બે ગણી વધી હોવાનો અંદાજ કૃષિ વિભાગનો છે. જેમાં ચણા, મકાઈ, મગફળી, કપાસ, જીરૂ, આંબા અને ઘઉંનો સામાવેશ થાય છે. ભારતમાં રૂ.2 લાખ કરોડ અને ગુજરાતમાં 10 હજાર કરોડનું સજીવ ઉત્પાદન થાય છે. જેમાં ભાલિયા ઘઉંનો સૌથી મોટો હિસ્સો સદીઓથી રહ્યો છે.
https://allgujaratnews.in/gj/?p=46382&preview=true