વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં

ગાંધીનગર, 17 માર્ચ 2020
ભારતમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરી રિન્યુબલ એનર્જીમાં 1 લાખ 75 હજાર મેગાવોટ વીજ ઉત્પાદનનું ભારતે વચન આપ્યું છે. ગુજરાત રાજયમાં હાલ કુલ 8738 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન થઈ રહ્યું છે. જને વર્ષ-2022 સુધીમાં 22 હજાર મે.વોટ સુધી લઈ જવા ગુજરાતે ખાસ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે કચ્છમાં 80 હજાર હેક્ટરમાં ૨૫ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય તેવા વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે. સરકારી વીજ ઉત્પાદક કંપની એનટીપીસી ગુજરાતના કચ્છમાં અલ્ટ્રા-મેગા સોલાર પાર્ક સ્થાપવા આયોજન કરી રહી છે. કંપની આ પ્રોજેક્ટમાં રૂ.20,000 કરોડનું રોકાણ કરશે અને 5000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે.

ગુજરાતમાં રૂફ ટોપમાં 1.25 લાખ લોકોએ અરજી કરી છે. જેના દ્વારા 500 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાશે.

દિવસે વિજળી
ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળે તે માટે રાજ્ય સરકારે ‘દિનકર યોજના’ અમલી બનાવી છે. ત્રણ વર્ષ માટે કુલ રૂ. 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે રૂ. 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. અગાઉ 6776 મેગાવોટ વીજળી ઉત્પાદન હતુ જે આજે 29452 મેગાવોટે પહોંચ્યું છે. જેમાં 475 ટકાનો વધારો થયો છે વર્ષ-1995માં 563 સ્ટેશનોની સરખામણીમાં આજે 1972 છે. 350 ટકાનો વધારો થયો છે. અગાઉ રાજયમાં ટ્રાન્સફોર્મરો 1.09 લાખ હતાં જે આજે વધીને 16 લાખ થયા છે.

વીજ જોડાણ
0.58 કરોડ વીજ જોડાણોની સામે આજે 1.56 કરોડ સુધી પહોંચ્યા છે. ખેડૂતો 4.28 લાખ વીજ જોડાણોમાં વધારો કરી 17.42 લાખ કર્યા છે. અગાઉ આ આવક રૂ.2883 કરોડ હતી જે આજે વધીને રૂ.50 હજાર કરોડ સુધી પહોંચી છે.

ખેડૂતોને સબસીડી
વર્ષ-1960 થી વર્ષ-2016 સુધી 7 લાખ વીજ જોડાણો હતા. આ વર્ષે જ 1.25 લાખ જોડાણો આપવામાં આવશે. સામાન્યતઃ એક વીજ જોડાણ પાછળ ખેડૂતોને રૂ. 1.50 લાખનો ખર્ચ થાય છે જેમાં ખેડૂતે માત્ર રૂ.15 હજાર જેવી નજીવી કિંમત ભરવાની થાય છે, જયારે બાકીનો ખર્ચ રાજય સરકાર ભોગવે છે. રાજય સરકારે કૃષિ વીજ જોડાણ પાછળ રૂ.1800 કરોડનો ખર્ચ કર્યો છે. સાડા સાત એચ.પી.થી ઉપરની મોટરનો જે તફાવત હતો એ એકસરખો કરીને એનો લાભ તમામ ખેડૂતોને આપ્યો છે.

ડાંગ, નર્મદા અને દાહોદમાં 45 હજાર જોડાણ આપવામાં આવ્યા હતા જયારે વર્ષ-1995 પછી અમારી સરકારે આ વિસ્તારમાં 2 લાખ 75 હજાર વીજ જોડાણો આપ્યા છે.

ગેસ ગ્રીડ જોડાણ
17 થી 18 લાખ કુટુંબોને ગેસ જોડાણ, એક કરોડ લોકોને આનો સીધો લાભ મળ્યો છે. ગેસ ગ્રીડ હેઠળ રાજયના તમામ જિલ્લાઓને જોડવામાં આવશે. દરેક જિલ્લાને જોડવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્યના તમામ જિલ્લાઓને ગેસ ગ્રીડથી જોડતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત બનશે.

અગરીયા
મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા અગરીયાઓને મીઠાના અગરમાંથી પાણી ખેંચવા માટે સોલાર આધારિત પંપ આપવામાં આવ્યા છે. જ્યારે મીઠુ પકવવાની સિઝન ન હોય ત્યારે આ તમામ સોલાર પેનલને એકસ્થાને એકત્રીત કરીને સૌર ઊર્જા ઉત્પાદન કરવામાં આવશે અને તેમાં વધારાની વીજળીનું વેચાણ કરીને અગરીયાઓ તેમાંથી આવક મેળવશે.