રૂપાણી સરકારની પોલ ખોલી દે એવો જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ગૃહમાં ઘણાં વિલંબ બાદ રજૂ તો થયો પણ તેની નકલો ગુજરાતની જનતા કે તેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માટે આપવામાં આવ્યો નથી. એટલે કે તે જાહેર ગુપ્ત અહેવાલ બની ગયો છે. કોઈની પાસે તે ન જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આ પહેલા આવું ક્યારેય થયું ન હતું.

આ અહેવાલ 2012-13ના વર્ષના ગુજરાત સરકારના એકાઉન્ટન્ટ જનરલ – CAG – ઓડિટ અહેવાલો અંગે આદેશો આપવામાં આવ્યા છે. જેનો અમલ રાજ્ય સરકાર દ્વારા કરવો ફરજિયાત છે. રાજ્ય સરકારે જાહેર હિસાબ સમતિએ કરેલી ભલામણોનો શું અમલ કર્યો તેનો અહેવાલ પણ વિધાનસભામાં રજૂ કરવો પડે છે. લીધેલા કે લેવા ધારેલા પગલાં અંગે અહેવાલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે આપ્યો નથી. આમ ભારે લોખંડી ચુપકીદી સેવવામાં આવી રહી છે.

જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ હંમેશ વિરોધ પક્ષના કોઈ સભ્ય હોય છે. તેથી ઊનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ 2018-19ના વર્ષ માટેના અધ્યક્ષ છે. તેમણે આ આખરી અહેવાલ તૈયાર કરીને આપેલો છે. તે અગાઉ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અધ્યક્ષ હતા.

14મી ગુજરાત વિધાનસભાનો આ અહેવાલ જાહેર હિસાબ સમિતિએ તૈયાર કરતા પહેલા પાંચ વર્ષ સુધી તપાસ કરીને લાંબી કવાયત કરી હતી. જેમાં 17 એપ્રિલ 2015થી 6 માર્ચ 2018 દરમિયાન 159 બેઠક મળી હતી. જેમાં સરકારના અનેક દસ્તાવેજ તપાસ કરાયા હતા અને અધિકારીઓની જુબાન લેવામાં આવી હતી. જે કંઈ ગોટાળાઓ થયા હતા તેના માટે નિર્ણય લેનારા મોટાભાગના તમામ અધિકારીઓને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા.

આ સમિતિમાં જ્યાં સુધી તપાસ ચાલતી હોય ત્યાં સુધી તેની વિગતો પત્રકારો કે સભ્ય જાહેર કરી શકતા નથી. વિધાનસભામાં અહેવાલ રજૂ થાય પછી જ તેની વિગતો આઝાદ મીડિયા લખી શકે છે.

આ સમિતિને મીની હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. જે વિધાનસભા જેટલી સત્તા ધરાવે છે. જે તપાસ વિધાનસભામાં થઈ શકતી નથી તે જાહેર હિસાબ સમિતિ કરી શકે એવી તાકાત ધરાવે છે. ગુજરાત સરકારના એકાઉન્ટન્ટ જનરલ ને તપાસ માટે જાહેર હિસાબ સમિતિ સમક્ષ બોલાવાયા હતા.

ભરતી થતી નથી તેથી વહીવટમાં અસર

વિનિયોગ હિસાબોની તપાસ કરતાં સમિતિના ધ્યાને આવ્યું છે કે , મોટા ભાગના વિભાગોનાં નામાં વપરાયા ન હોય તેવી બચતો વિભાગોમાં કર્મચારીઓ અને અધિકારીઓની કાયમી ભરતીઓ ન થવાને કારણે થાય છે.

આથી તમામ વિભાગોને તેમની તેમજ તાબા હેઠળની તમામ કચેરીઓના મંજૂર મહેકમની જગ્યાઓ નવી ભરતી કરીને ભરવામાં આવે તેવી સમિતિ ભલામણ કરે છે.

સમિતિએ વિનિયોગ હિસાબોની તપાસ દરમ્યાન ઘણા કિસ્સાઓમાં અવલોકન કર્યું છે કે વિભાગો એક તરફ પૂરક માગણી કરે છે જ્યારે બીજી તરફ બચત રહેવા પામે છે. આથી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે જોવા જાહેર હિસાબ સમિતિએ વિભાગો માટે તાકીદ કરી છે.

મુલ્કી સચિવાલયના વિભાગો માહિતી અને પ્રૌદ્યોગિકી ખાતા હેઠળ અંદાજપત્રમાં નાણા તો મંજૂર કરાવે છે પણ જરૂરી તંત્રના અભાવે તેનો યોગ્ય ખર્ચ કરતા નથી. માટે દરેક વિભાગોમાં માહિતી અને પ્રૌદ્યોગિકી સદર હેઠળ જે નાણા ફળવાય તે નાણાનો પુરેપુરો ઉપયોગ થાય તે જોવા અને તે માટે જરૂરી તંત્ર ગોઠવવા સમિતિ ભલામણ કરી છે. (ક્રમશઃ)