[:gj]ગામના સરપંચો સાથે વાત કરતાં રૂપાણી[:]

[:gj]કોરોનાને કારણે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં ગ્રામીણ વિસ્તારોમાં

મહામારી કોરોના વાયરસને પગલે દેશમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના છેવાડાના અંતરિયાળ ગામોના ગ્રામજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓ, આરોગ્ય સેવાઓ વગેરે નિયમીત મળે છે કે કેમ તેનું મોનિટરીંગ મુખ્યમંત્રી સ્વયં આ ગામના સરપંચો સાથે વાતચીત કરીને કર્યુ હતું.

વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના ૧૦ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તાર દસક્રોઇ તાલુકાના નાંદેજ, ભુજ તાલુકાના કુનરિયા, વડગામ તાલુકાના વડગામ, વંથલી તાલુકાના ખોરસા, રાજકોટ તાલુકાના ગઢકા, દાહોદ તાલુકાના  ચંદાવાડા, પારડી તાલુકાના પરિયા, વ્યારા તાલુકાના ચિખલવાવ, કરજણ તાલુકાના સિમલી અને તળાજા તાલુકાના ટીમણા ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં  રેશનની દુકાનો પર પૂરતો અનાજનો પુરવઠો છે કે નહિ, આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ, ગામમાં સફાઈની વ્યવસ્થા તેમજ દૂધ, શાકભાજી, કરિયાણું જેવી આવશ્યક ચીજવસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક વાતચીત કરી ફીડબેક મેળવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ સરપંચોને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે લોકો જનજાગૃતિ દાખવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ગામમાં ભેગા ના થાય અને ઘરમાં જ રહીને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હતી.

આ ગામોના સરપંચોએ મુખ્યમંત્રીશ્રીએ તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિની રજેરજ માહિતી મેળવી તેની આગવી સંવેદનશીલતાની અનુભૂતિ કરી હતી.

સરપંચોએ પણ રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકારીના પગલાંઓ, અનાજનો પૂરતો જથ્થો, સાફ-સફાઈ વગેરે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

 [:]