દ્વારકામાં રશીયાની કંપનીના 30 કરોડના કોલસા ચોરીમાં કોના હાથ કાળા ?

દ્વારાકાના વાડીનારમાં આવેલી ન્યારા એનર્જી કંપનીમાં 5 દિવસમાં 68,381 મેટ્રિક ટન કોલસા જેની કિંમત રૂ. 30 કરોડની ચોરી થઈ છે. મુંબઈ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં 26 માર્ચ 2019ના ઓડિટ દરમિયાન કોલસા કૌંભાડનો પર્દાફાશ થયો હતો. કંપનીનાં કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખંભાળીયાથી 16 કિ.મી. દૂરના નાના માંઢા ગામે આવેલા એસાર કંપનીના કોલ સ્ટોક યાર્ડમાં આ જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો.  ગેટ પાસ વગર ટ્રક અંદર આવી શકતો નથી કે નથી બહાર જઈ શકતો. વાત પોલીસના ગળે ઉતરી રહી નથી. કોલસાનો જથ્થો સ્ટીમરમાંથી જ ઓછો ઉતારવામાં આવ્યો હોવાનો અથવા બારોબાર વેંચી દેવામાં આવ્યો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

થોડા વર્ષો પૂર્વે જ એસ્સાર ઓઈલ કંપનીને રશિયાની  ન્યારા કંપનીએ ઓવરટેક કરી લઇ વહીવટ હસ્તગત કરી લીધો હતો. હાલ એસ્સાર કંપની પાસે પાવર પ્રોજેક્ટ છે. ગત પુરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ન્યારા કંપનીએ કોલસાના સંગ્રહ માટે એસ્સાર કંપનીના બલ્ક ટર્મિનલનો ઉપયોગ કર્યો હતો. આ કંપની દ્વારા કોલસામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે. કોલસો વિદેશમાંથી પણ આયાત કરવામાં આવે છે. રીફાયનરી દ્વારા કોલસાા સંગ્રહ તથા જાળવણી માટેની જવાબદારી એસ્સાર બલ્ક ટર્મીનલ (સલાયા) સર્વિસ મીલીટેડ (ઈબીટીએસએલ) નામની કંપનીને સોંપવામાં આવી છે.

એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા) સર્વિસ લીમીટેડના જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ અને સિક્યુરીટી સ્ટાફે આ કારસ્તાન કરી કરોડો રૂપિયાનો જથ્થો બરોબર સગેવગે કરી નાખ્યો હોવાની ન્યારા કંપનીના અધિકારી અનીલ વિશ્વંભરએ વાડીનાર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ કરોડોનો ભંગાર ચોરાયો હતો

પ્રદુષણ ફેલાવવામાં પ્રશ્ને તો ક્યારેક ખેડૂતો અને સ્થાનિક લોકો અને બેરોજગારીના પ્રશ્ને એસ્સાર કંપની હંમેશા ચર્ચામાં રહી છે. રશિયન કંપની ન્યારા એનર્જી ન્યારા કંપનીએ એસ્સાર ઓઈલ કંપની ખરીદી ન હતી ત્યારે કંપની વિસ્તારમાંથી કરોડોનો કિંમતનો ભંગારનો જથ્થો પણ ચોરાયો હતો.

જામનગરના ભાજપના નેતાનું કોલસા કૌભાંડ

કોલસા કૌભાંડમાં ભાજપના નેતા અને હમણાં જ વિધાનસભાની પેટા ચૂંટણી લડેલા રાઘવજી પટેલના પુત્રએ કોલસા ચોરી કૌભાંડ કર્યું હતું. ત્યારે રાઘવજી કોંગ્રેસમાં હતા અને રાજ્યકક્ષાના પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદીએ કોલસા કૌભાંડ અંગે જાહેરમાં રાઘવજી પર આરોપો મૂક્યા હતા. રાઘવજીએ કોલસાની દલાલીમાં કાળા હાથ કરી કૌભાંડ કર્યું છે, એવો આરોપ તેમણે મુખ્ય પ્રધાનની હાજરીમાં મૂક્યો હતો.

ભાજપના રાઘવજીના પૂત્રએ એસ્સાર કંપનીએ બેડી બંદર વિદેશથી આયાત કરેલા કોલસાને કંપની સુધી લઇ જવા અંગે ટ્રાન્સપોર્ટરોને કામ આપ્યું હતું. કેટલાંક ટ્રાન્સપોર્ટરો આયાતી કોલસાની જગ્યાએ હલકી ગુણવત્તાનો કોલસો એસ્સાર કંપનીને આપતાં હતા. ઉચ્ચ ગુણવતા વાળો કોલસો બદલી નાંખી બારોબાર વેંચી નાંખતી 16 ખટારા પકડાયા હતા.  ટ્રાન્સપોર્ટ પેઢીના ભાગીદાર એવા પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલના પુત્ર જયેન્દ્ર ઉર્ફે બાબુ મુંગરાની 3 કલાક સુધી બંધ બારણે પુછપરછ કરી હતી. ટ્રાન્સપોર્ટરો, ટ્રક ચાલકો-માલિકો, બિલ્ટી બનાવનાર શખસો તથા મોરબીના રીસીવરો સહિ‌ત 35થી વધુ શખસો સામે રૂા.75 લાખની કિંમતના 1900 ટન કોલસો વગે કરી દીધો હતો.

પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલના પુત્ર જયેન્દ્ર સહિત તેની શિવકૃપા ટ્રાન્સપોર્ટના ભાગીદારો કૃષ્ણસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા અને ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, 16 ટ્રક ડ્રાઈવરો, 7 ટ્રક માલિકો, ચાર ટ્રાન્સપોર્ટરો, ખંભાળિયાના કર્ણકૃપા એન્ટરપ્રાઈઝ, કર્ણકૃપા રોડવેઝના 3 , સતીષ બાવાજી સહિત મોરબીના 4 શખસો, અરવિંદ નામનો શખસ સહિત 35 સામે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા.

ચોરી માટે જામનગર-દ્વારકા જાણીતું

દ્વારકામાં રૂ.182 કરોડ અને જામનગરમાં રૂ.17 કરોડની ખનીજ રોયલ્ટી બાકી હતી. ભાજપ સરકારમાં વર્ષ 2001 થી 2018 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરામીક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. દ્વારકાના ખંભાળીયામાં કાચા કોલસાનો કુદરતી ખજાનો ભરેલો પડેલો છે. અહીં ભાજપ અને કોંગ્રેસના રાજકારણીઓ એકબીજા સાથે મળીને કુદરતી ખજાનો લૂંટી રહ્યાં છે. બોક્સાઈટ અને લાઈમ સ્ટોન બેલાની 10 ટ્રક કણઝાર પાસેથી ખાણ અને ખનિજ વિભાગે પકડી પાડી છે. માલ પકડાયા પછી ખાણીયા ચોર લોકોને રૂ.30 લાખનો દંડ પણ ફટકારેલો છે. રાતના સમયે અહીં અધિકારીઓ સાથે મળીને ખાણ માફાયાઓ ખનિજ ચોરી કરે છે. જેના રાજનેતાઓનું રક્ષણ મળેલું છે. સરકારને રોયલ્ટી ન આપીને તે આવા રાજનેતાઓ અને અધિકારીઓને આપે છે. તેમની 10 ટ્રક જપ્ત કરી લેવામાં આવી હતી.  ટ્રક દીઠ 3 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આવી અનેક પ્રકારની લૂંટ અહીં થઈ રહી છે.

અધિકારીઓ તેમને પકડે છે તો તેમના પર હુમલા પણ કરે છે. જામનગરમાં ખનિજ વિભાગના એક કર્મચારી પર ટ્રક ચઢાવી દઈને મારી નાંખવાનો પ્રયાસ થયો હતો.