[:gj]બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવામાં આવી છે. નહેર બનાવવાના કામમાં ભાજપના જાણીતા નેતાઓએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાથી વારંવાર તૂટી રહી છે. એક મહિનાના સમયમાં કેનાલમાં 16 ગાબડાઓ પડ્યા છે, તો કોઈ જગ્યા પર કેનાલ ઓવર ફ્લો થવાથી ખેડૂતોના ખેતર પાણી-પાણી થઇ જાય છે.
ખેડૂતોએ નર્મદા કેનાલનું નામ ગાબડા કેનાલ પાડ્યું છે. જેવું કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેવું તરત જ કેનાલમાં કોઈક ને કોઈ જગ્યા પર ગાબડું પડે છે. કેનાલમાં ગાબડા પડતા પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળે છે અને અંતે પાક નિષ્ફળ જાય છે.
7 ફેબ્રુઆરીના રોજ થરાદના કસવી ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ-1માં 60 ફૂટનું ગાબડું પડ્યું હતું. આટલું મોટું ગાબડું પડતા કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું. તેથી એક ખેડૂતે ત્રણ હેક્ટરમાં વાવેલા જીરાના પાકને નુકસાન થવા પામ્યું હતું. વારંવાર કેનાલોમાં ગાબડાં પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાવની રાછેણાની ડિસ્ટ્રીબ્યુટરી ઢેરીયાણાની સીમમાંથી પસાર થતી કેનાલમાં 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે બીજીવાર 20થી 25 ફૂટનું ગાબડુ પડ્યું હતું. વાવના અરજણપુરા સીમમાં રાત્રે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું હતું અને વાવની કુંડાળીયા માઇનોર કેનાલમાં રાત્રે ત્રીજી વખત કારેલી ગામની સીમમાં 50 ફૂટનું ગાબડું પડ્યું હતું. આમ એક જ રાત્રીમાં કેનાલમાં ત્રણ-ત્રણ ગાબડા પડ્યા હતા.
આ ઉપરાંત, સૂઇગામ પંથકમાં બનાવેલી મોરવાડા માઇનોર, સૂઇગામ કાણોઠી, સૂઈગામ બેણપ, સૂઇગામ મોરવાડા, સૂઇગામ ગોલપ અને નેસડા કેનાલ ઉપરાંત વાવ અને થરાદ પંથકની અનેક કેનાલોમાં અત્યાર સુધી મોટામોટા ગાબડા પડી ચુક્યા છે.[:]