[:gj]લેખિત નિવેદન રજૂ કરી પોલીસ અધિકારીઓ પર આરોપ કરાયા[:]

[:gj]ગાંધીનગર, તા. 18

પાટીદારો પર વર્ષ 2015માં થયેલા દમનની તપાસના મામલે રચવામાં આવેલા પૂંજ તપાસપંચ સમક્ષ આજે બે અગ્રણીઓએ પોતાનાં લેખિત નિવેદન આપ્યાં હતાં, જેમાં પાસના તત્કાલીન કન્વીનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અમરિષ પટેલે પોતાના નિવેદનમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ ઈન્સ્પેક્ટર પર દમન કરવાના અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવાના આરોપ લગાવ્યા છે.

આ અંગે મળતી વિગત અનુસાર નિવેદનમાં બંધારણની મર્યાદામાં રહીને આંદોલન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. કેમ કે કેટલાક પોલીસ અધિકારીઓએ પાટીદારો દ્વારા બંધારણની મર્યાદા તોડીને આંદોલન કરાયું હોવાનો લગાવાયો હતો. આ સંદર્ભે નિવેદનમાં એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, પાટીદારોએ બંધારણની મર્યાદા તોડીને આંદોલન કર્યું, તો પોલીસ દ્વારા કરાયેલું દમન શું બંધારણની મર્યાદામાં રહીને કરાયું હતું.

નિવેદનમાં લગાવાયેલા આરોપ

પૂંજ તપાસપંચમાં આપેલા નિવેદનમાં એવો આરોપ લગાવાયો છે કે, અમદાવાદના જીએમડીસી મેદાનમાં શાંતિથી ઉપવાસ પર બેઠેલા પાટીદારો પર મોટી સંખ્યામાં આવી પહોંચેલી પોલીસની ફોર્સ દ્વારા અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ સેક્ટર-1ના તત્કાલીન પોલીસ અધિકારી રાજીવ રંજન ભગત અને જે.સી. પટેલ દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મંચ પર ઉપસ્થિત મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે એવું પણ કહ્યું કે, આ મેદાનની તમામ લાઈટો બંધ કરીને પહોંચેલી પોલીસ ફોર્સે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો અને તેમાં ઘણા લોકોને ઈજા થઈ હતી. આ ઉપરાંત અધિકારી ભગતે ઉપસ્થિત મહિલા પાસે અઘટિત માગણી પણ કરી હોવાનો આરોપ નિવેદનમાં લગાવાયો છે.

ઉપરાંત 25 અને 26મી ઓગસ્ટ 2015 દરમિયાન પોલીસ દ્વારા અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પાટીદારોના ઘરમાં ઘૂસી જઈને માર મારવાના તેમજ સોસાયટીઓમાં પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કરવાના પણ સીસીટીવી ફૂટેજ પંચ સમક્ષ અગાઉ અરજદારોએ રજૂ કર્યા છે. આટલું ઓછું હોય એમ પોલીસ દ્વારા આડેધડ ગોળીબાર કરીને 14 જેટલા નિર્દોષ લોકોની હત્યા પણ કરવામાં આવી હોવાના આરોપ નિવેદનમાં લગાવાયા છે.[:]