Morbi’s defection challenged Gujarat BJP President CR Patil’s non-Congress theory, how is politics?
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાયમ વિવાદી વ્યક્તિ રહ્યાં છે. તેઓએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમિયાન કોરોના ફેલાવવાની સાથે કોંગ્રેસને ભાજપમાં ન ફેલાવા દેવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. કોંગ્રેસના એક પણ માણસને ભાજપમાં નહીં લેવામાં આવે એવી તેમની જાહેરત બાદ તેમના પક્ષમાં ઓછામાં ઓછા 100 પક્ષાંતર થયા છે. છેલ્લાં બે દિવસ પહેલા મોરબીમાં ચૂંટણી જીતવા મોટું પક્ષાંતર ભાજપમાં થયું છે. મોરબીમાં પક્ષાંતર, ભ્રષ્ટાચાર અને બળવો સાથે સાથે ચાલે છે. તે હવે ગંદી રાજનીતિનો એક ભાગ બની ગયું છે.
ભાજના પ્રદેશ પ્રમુખ પાટીલની અનૈતિકતા અહીં પ્રદર્શિત થઈ છે. પક્ષાંતર કરનાર મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ અને કોંગ્રેસના નેતા કિશોર ચીખલીયા ગઈકાલે ભાજપમાં જોડાયા હતા. તેમને કોંગ્રેસમાંથી ટીકિટ ન મળતા ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતાં જ તેમણે હાર્દિક પટેલ સહિતના નેતાઓ સામે આર્થીક વ્યવહારના આક્ષેપ કર્યા હતા. જેને પગલે હાર્દિક પટેલે એ જે યાજ્ઞિક દ્વારા માનહાની અંગે નોટીસ ફટકારી છે. ફોજદારી અને દીવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
ભાજપનો રંગ
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ જેવી એક પ્રધાન જેવી સત્તા કોંગ્રેસે આપી હોવા છતાં ચીખલીયાએ ભાજપમાં જોડાતાં જ કહ્યું હતું કે, કોંગ્રેસે મારી કદર કરી નથી. મોરબી જિલ્લા કોંગ્રેસના લલિત કગથરા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જેવાઓએ વ્યવહારો કરીને પાયાના કાર્યકર્તાનો ખેલ પાડ્ય છે. મને મારુ ભવિષ્ય હવે કોંગ્રેસમાં દેખાતું નથી.
ભાજપની વિચારધારા સાથે જોડાયો છું. 2017મા પણ આ જ લોકોએ મારા પર ખેલ પાડ્યો હતો. મને બદનામ કરવામાં આવ્યો હતો. તેથી હું ભાજપમાં જોડાયો છું.
ઉમેદવારે પક્ષાંતર કરાવ્યું
સી આર પાટીલે કહ્યું કે કોંગ્રેસીઓ ભાજપમાં ન જોઈએ પણ તેમણે કોંગ્રેસથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજાને ટિકીટ અપાવી છે. ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ જાહેર કર્યું હતું કે, મોરબી જિલ્લા કોંગ્રેસનું રાજકારણ ખાડે ગયું છે. ભાજપ મહાસાગર છે. જેટલા લોકો કોંગ્રેસમાંથી આવશે તે તમામને આવકારાશે. ભાજપની મોરબીમાં જંગી જીત થશે.એવું જ થયું ચીખલીયા સાથે કોંગ્રેસના 8 મહત્વના નેતાઓ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસના 35 નેતાઓ જોડાયા
18 જૂલાઈ 2020માં સૌરભ પટેલ, સાસંદ મોહન કુંડરિયા, ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને પૂર્વ ધારાસભ્ય મેરજાની હાજરીમાં મોરબીના કોંગ્રેસના 35 જેટલા નેચાઓ, અગ્રણીઓ , કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેમાં મોરબી તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ ,અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોના સરપંચો હતા. કોંગ્રેસના આગેવાનો મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસરાજ પંચોટીયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કાંતિ મિસ્ત્રી, નવા સાદુંળકાના માજી સરપચ પરસોત્તમ પંચોટીયા, જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી ભરત માકાસણાં, ભરતનગરના માજી સરપંચ રમેશ પટેલ, ઉધોગકાર દુલા સીતાપરા સહિત જુદીજુદી સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો સહિત 35 લોકો ભાજપમાં જોડાયા હતા.
પક્ષાંતરથી આત્મનિર્ભર ભાજપ
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. હવે ભાજપ પક્ષાંતર કરાવીને કોંગ્રેસના નેતાઓને લઈને આત્મ નિર્ભર બની રહ્યો છે. તેથી ભાજપના પ્રખર નેતા અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃત્તિયા પક્ષથી નારાજ છે અને બકરીને કાઢવા અને ઊંટને ન પ્રવેશવા દેવા માટે તેમના પર દબાણ છે. આમ સી આર પાટીલની નીતિને અમૃત્તિયા ટેકો આપી રહ્યાં છે.
ભાજપ સરકાર પર કૌભાંડનો આરોપ
કિશોર ચીખલીયા પર એસીબીમાં થયેલ કેસ પાછો ખેંચવા અને જિલ્લા પંચાયતમાં ફરી પ્રમુખ બનાવવા માટેની ભાજપે કમિટમેન્ટ કર્યું હોવાનું માનવામાં આવે છે. વળી 29 ઓક્ટોબર 2018માં મોરબી જિલ્લા પંચાયતમાં 334 તળાવો માંથી 46 તળાવો બનાવવામાં કૌભાંડ થયા હતા. તે ભાજપની રૂપાણી સરકારે મંજૂર કર્યા હોવાનો આરોપ કિશોર ચિખલિયાએ મોરબી જિલ્લા પંચાયતની ભરી સભામાં મૂક્યો હતો. તેની તપાસ થઈ છે. તે જ દિવસે મોરબી જિલ્લા પંચાયતમાં 217 એકડ ખેતીની જમીન બિન ખેતી કરી દેવામાં આવી હોવાનો આરોપ કિશોર ચિખલીયા પર મૂકવામાં આવ્યો હતો. આ આરોપ તેના પક્ષ કોંગ્રેસ દ્વારા જ મૂકવામાં આવ્યો હતો.

મોરબીના પ્રભારી મંત્રી સૌરભ પટેલ
મોરબીના પ્રભારી વીજ પ્રધાન સૌરભ પટેલ અને સાંસદ મોહન કુંડારીયા પક્ષાંતર કરાવવા અંગત રસ લઈ રહ્યાં છે. કોંગ્રેસમાંથી નેતાઓ આવે તો જ ભાજપ જીતે તેમ હોવાથી તેઓએ તેમના પ્રમુખ સી આર પાટીલની નોન કોંગ્રેસની થિયરીને પડકારી રહ્યાં છે. તેમ અમદાવાદના જાણીતા પત્રકાર દિલીપ પટેલે કહ્યું હતું.
400 કાર્યકરો ભાજપ-કોંગ્રેસમાં જોડાયા
2007માં કોંગ્રેસમાં મેરજા જીત્યા હતા. 2012માં યોજાયેલી ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ પાસે ટિકિટ માગી હતી. પણ કોંગ્રેસે ટિકિટ આપતા તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં આશરે ત્રણેક વર્ષ રહ્યા પછી ફરી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની સાથે મોરબી, હળવદ, વાંકાનેર, સુંદરી સહિતના વિસ્તારના આશરે 400 જેટલા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હતા.
મોરબીમાં પક્ષાંતરનો મોર કેમ કળા કરે છે
મોરબી જિલ્લા પંચાયત કોંગ્રેસમાં વારંવાર બળવો કે પક્ષાંતર કેમ થાય છે? મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ફરી એક વખત 10 જાન્યુઆરી 2019માં બળવો થયો હતો. બાંધકામ સમિતિમાં અધ્યક્ષ માટે કોંગ્રેસ દ્વારા દિનાબેન કામરીયાને માટે આદેશ આપવામાં આવ્યો હતો. છતા કોંગ્રેસના 3 સભ્યોએ બળવો કરીને અમુભાઈ હુંબલને અધ્યક્ષ તરીકે બેસાડી દેવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાં બગાવત કરનાર હેમાંગ રાવલને કારોબારી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પૂર્વ પ્રમુખ ભરત સોલંકી અને હાલના પ્રમુખ અમિત ચાવડાની જાણમાં મોરબીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો. તેઓ હવે ભાજપમાં સ્થળાંતર કરી ગયા છે.
20 કરોડનો ભ્રષ્ટાચાર
સિંચાઈ સમિતિમાં રૂ. 20 કરોડના ભ્રષ્ટાચાર સંદર્ભે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પકડાયા હોવાથી કોંગ્રેસના કોઈ સભ્ય સિંચાઈ સમિતિનું સળગતું ઘર લેવા તૈયાર નથી. તેથી તેના કોઈ અધ્યક્ષ કે સભ્ય બનવા કૌઈ તૈયાર ન થતા ખાલી રાખવામાં આવી હતી. સામાજિક ન્યાય સમિતિના પીંકુ ચૌહાણ અધ્યક્ષ બન્યા હતા. બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ પદે પાસના આગેવાન નિરેશ એરવાડીયાના પત્ની રેખાબેનની વરણી કરવામાં આવી હતી.
પેરિસ ઓફ ધ ઇસ્ટ- મોરબી
મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 22 સભ્યોમાંથી 20 સભ્યો કોંગ્રેસના છે. ભાજપના માત્ર 2 સભ્યો ચૂંટાયા હતા. અહીં ભાજપનું ધોવામ છે. તેથી ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતે તેમ નથી. તેથી સી આર પાટીલની જાણમાં પક્ષાંતર થયા છે.
કોંગ્રેસ પાસે જંગી બહુમતી હોવા છતા બળવાનું રણશીંગુ ફૂંકાયું હતું. કોંગ્રેસ પક્ષે પ્રમુખ તરીકે મુકેશ ગામી અને ઉપપ્રમુખ તરીકે કિશોર ચીખલીયાને મેન્ડેટ આપ્યો હતો. અમી પરાસરા અને હસમુખ મુછડીયાએ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરીને ચીખલીયા સામે બળવો કર્યો હતો. કોંગ્રેસના 17 સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. અઢી વર્ષ પછી મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોર ચીખલિયાએ પ્રમુખપદ માટેની દાવેદારી નોંધાવી હતી.
કિશોર ચિખલીયા કારોબારી સમિતિના અધ્યક્ષ હતા ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો હતા. કારોબારીમાંથી હવે તેઓ પ્રમુખ બનવા માટે બળવો કર્યો હતો. તેમની સામે પણ ભરત સોલંકીએ કોઈ પગલા ન લીધા ન હતા. આમ ચીખલીયા બળવો કરવા માટે જાણીતા છે. હવે તેઓ ભાજપમાં પક્ષાંતર કરી જઈને પોતાની સત્તા મેળવવા ફાંફા મારી રહ્યાં છે. ભાજપના પ્રમુખ પાટીલ તેમને સત્તા આપશે પણ ખરા.

50 કરોડનો ભ્રષ્ટાચાર
મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ દ્વારા ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે જિલ્લા પંચાયતની કારોબારીમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો ઘાટ સર્જાયો હતો. મોરબી જિલ્લા પંચાયતના 8 સભ્યોએ તેમની પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોર ચીખલીયા સહિત 14 સભ્યો સામે ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી સામે પણ ધ્યાન દોરેલું હતું પણ ભરત સોલંકીએ પણ ભ્રષ્ટાચારી નેતાઓ સામે કોઈ પગલા ભર્યા ન હતા. તેનું રહસ્ય બધા જાણે છે.
કોંગ્રેસના વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા અહીં બળવાખોરોને કાયમ પ્રોત્સાહિત કરતા આવ્યા છે. વાંકાનેત કોંગ્રેસના પ્રમુખ અને પંચાયતના સભ્ય હરદેવસિંહ જાડેજા પણ એટલા જ જવાબદાર છે. બળવાને હવા આપનાર જીવન કુંભાવાડિયા, અમુ હુંબલ સૌથી વધારે જવાબદાર છે. પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ કોઈ જ પગલા લીધા ન હતા. તેથી અહીં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વારંવાર પક્ષ બદલે છે. જે ભાજપને જીતાડે છે. તેથી પાટીલને પક્ષાંતર વગર ચાલે તેમ નથી.
રૂ. 14 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
કોંગ્રેસના 8 સભ્યોએ બંડ પોકારી જિલ્લા પંચાયતમાં બિનખેતી સહિતની બાબતોમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની લેખિત રજૂઆત કરી હતી. તપાસની માગ કરી હતી. આ આરોપોનો સામનો કરવાના બદલે પક્ષાંતર કરાવવામાં આવી રહ્યાં છે.
બળવો
20 જૂન 2017મા કોંગ્રેસના 16 સભ્યોએ સભાખંડમાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા પાસેથી વ્હીપ સ્વીકારવા ઈનકાર કર્યો હતો. બીજા ઉમેદવારને મત આપી પ્રમુખ બનાવ્યા હતા. પ્રમુખ માટે મુકેશ ગામીને મેન્ડેટ અપાયો હતો પણ કિશોર ચીખલિયાએ બળવો કરીને પ્રમુખ બની ગયા હતા. ઉપપ્રમુખ ગુલામ પરાસરાને ચૂંટયા હતા. 6 સભ્યે જ મુકેશ ગામીને મત આપ્યાં હતા. આમ પોતાના પક્ષ સામે જ ચીખલીયાએ બળવો કર્યો હતો. જે હવે ભાજપના શરણે જઈને કોંગ્રેસને હરાવવા મેદાને પડ્યા છે.
નોટીસ
23 જૂને 16 બળવાખોર સભ્યોને પક્ષ દ્વારા કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી. વ્હીપનો ઉલાળીયો કરી કારોબારી ચેરમેન કિશોર ચિખલીયાને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા તેમજ ઉપપ્રમુખ તરીકે પણ પોતાના જૂથનાને જ ચૂંટયા હતા. નોટીસોના જવાબો મળ્યા બાદ પક્ષ દ્વારા આગળની કાર્યવાહી કરવી જોઈતી હતી પણ પક્ષને નુકસાન કરનારને પૂર્વ પ્રમુખ ભરત સોલંકીએ છાવર્યા હતા. મોરબીમાં જૂથવાદ ઊભો કરનાર ભરતસિંહ સોલંકી પોતે હતા. જમીન NA કરી ભ્રષ્ટાચારના નાણા કોંગ્રેસની ચંડાળ ચોકડી તેનો વહીવટ કરતી હતી. તેમને મદદ કરનારા લોકો હવે પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. બળવાખોર જૂથના પ્રમુખ કિશોર ચિખલીયાએ ત્યારે જાહેર કર્યું હતું કે, નિર્ણયો વખતે કોંગ્રેસ સંગઠ્ઠન અને તેના આગેવાનો તેમની મનમાની ચલાવે છે.
બળવાખોર ક્યા સભ્યોને નોટીસ?
સોનલ જાકાસણીયા, પ્રભુ મશરૂ ઝીઝુવાડીયા, નિર્મલા ભીખુ મઠીયા, અમુ રાણા હુબલ, શારદા રાજુ માલકિયા, મનીષા સરાવડીયા, ધર્મેન્દ્ર જસમત પટેલ, હીના ચાડમિયા, જમના મેઘાણી, ગીતા જગદીશ દુબરિયા, કિશોર ચીખલીયા, મહેશ રાજકોટીયા, હરદેવસિંહ જાડેજા, કુલસુ અકબર બાદી, ગુલામ પરાસરા તથા પીન્કુ ચૌહાણનો સમાવેશ થયો હતો. પછી તેમની સામે ભરત સોલંકીએ કોઈ પગલા ન લેતા 10 જાન્યુઆરી 2019મા ફરી એક વખત બળવો થયો હતો. પક્ષાંતરધારા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે સમયે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા પંચાયતના સદસ્યોએ બળવો કરી પક્ષની વહીપનો અનાદર કર્યોને એક તરફી મતદાન કરી સત્તા કબજે કરીએ દુઃખદ ઘટના ગણાવી હતી. હવે તેમણે પોતાની જીત માટે આ લોકોની મદદ લેવા પક્ષાંતર કરાવી રહ્યાં છે.
કેવો છે ઔદ્યોગિક જિલ્લો
મોરબી જિલ્લો સૌરાષ્ટ્રનું પેરીશ છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજ નિકળે છે. અહીં પાટીદારોનો પટ્ટો છે. તેઓ આર્થિક રીતે મજબૂત થયા છે. સીરામીકના 1,200 કારખાના છે. આ માટે મોટા પ્રમાણમાં ખેતીની જમીન બિન ખેતી થઈ રહી છે. તેવામાં કૉંગ્રેસે મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જયંતીભાઈ પટેલની જાહેરાત કરી છે. 3 નવેમ્બર 2020એ મોરબી સહિત 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.


English






You must be logged in to post a comment.