[:gj] ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું વિતરણ કરાયું[:]

[:gj]રાજકોટ, તા. 08

રાજ્ય સરકારે રાજકોટ શહેરમાં દશેરાના દિવસે 229.75 કરોડના વિકાસના કામોની શરૂઆત કરી છે. રાજ્યના સામાન્ય નાગરિકો માટે ઘરનું ઘર યોજના હેઠળ આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું મુખ્યપ્રધાને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યની પ્રજાને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું હતું કે, વિજયાદશમી એ દૈવી શક્તિના અનિષ્ટ તત્ત્વો પરના વિજયનું પ્રતીક છે, આથી આ તહેવારની ઉજવણી પૂર્ણ ઉમંગ સાથે સમગ્ર જનસમાજ દ્વારા કરવામાં આવે છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોની મનોકામનાઓનો પડઘો પાડતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિક માટે ‘‘ઘરનું ઘર’’ એ જીવનનો હાશકારો છે. આજે આવાસ મેળવનારા બડભાગી લાભાર્થીઓના જીવનમાં આજનો દિવસ સીમાચિન્હ  પુરવાર થશે, એવો ભાવ પણ તેમણે રજૂ કર્યો હતો. તેમણે રાજ્યસરકારની નીતિઓના ચિતાર વર્ણવતા કહ્યું હતું કે રોટી-કપડા-મકાન જેવી રાજ્યના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ રાજ્યસરકાર માટે સદૈવ પ્રથમ પ્રાથમિકતા રહી છે, જેને સત્વરે સાકાર કરવા માટે રાજ્યસરકાર શક્ય તમામ પ્રયત્નો કરી છૂટશે.

રાજ્યનો હેપીનેસ  ઇન્ડેકસ વધારવાની રાજ્યસરકારની નેમ પણ તેમણે સ્પષ્ટપણે વ્યકત કરી હતી તથા આવાસ, બગીચા, રિવરફ્રન્ટ, ઓવરબ્રિજ, ટાઉનહોલ વગેરેના નિર્માણથી રાજ્ય સરકાર આ પથ પર મક્કમપણે પ્રગતિ કરી રહી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. રાજયના પ્રત્યેક જરૂરતમંદ નાગરિકોને તેમની માલિકીનું ઘર પૂરૂં પાડવાની મુખ્યપ્રધાને આ તકે ખાતરી ઉચ્ચારી હતી. તથા ગરીબ નાગરિકોને પાકા સરનામાવાળા ઘરની ઓળખથી બુલંદ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થશે, એમ પણ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાને રૂડા દ્વારા રૂ. ૪.૧૦ કરોડના ખર્ચે માધાપરથી ચોકથી માલિયાસણ ચોક સુધી નાખવામાં આવેલી એલ.ઇ.ડી. લાઈટીંગ સિસ્ટમ અને રૂ. ૧૨.૬૨ કરોડના ખર્ચે વાવડી વિસ્તારની ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ તથા રૂ. ૪૪.૭૫ કરોડના ખર્ચે મોટા મવામાં બનનારા ૧૯૨ આવાસો અને રૈયા ખાતે બનનારા ૧૨૮ આવાસોનું ડિજિટલી ખાતમુહૂર્ત કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૨૧૭૬ આવાસો અને શોપિંગ સેન્ટરનું પણ મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ તમામ આવાસો માટેનો કમ્પ્યુટરાઇઝડ ડ્રો પણ કરાવ્યો હતો. તથા આવાસ બાંધકામ યોજનાની સહાયના ચેકનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું.[:]