ગુજરાતમાંથી 20 લાખ મજૂરો હિજરત કરી જતાં 2 લાખ ઉદ્યોગોને મુશ્કેલી

ગાંધીનગર, 14 મે 2020

ગુજરાતથી 14 મે 2020 સુધીમાં 262 કોરોના હિજરત માટે વિશેષ ટ્રેન ગુજરાત બહાર મોકલી છે. જેમાં કુલ 3.90 લાખ કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધું છે. કુલ 20 લાખ મજૂરો અત્યારસુધીમાં હિજરત કરી ગયા હોવાનો અંદાજ મજૂર સંગઠનો માની રહ્યાં છે.

જેના કારણે 2 લાખ કારખાનાઓ અને કચેરીઓ કામ નહીં કરી શકે. બીજી એટલી જ બંધ કરવી પડશે. મોટા કારખાનાઓ છે તેમાંથી આ હિજરત થઈ નથી. પણ છૂટક મજૂરી કરતાં મજૂરો ગુજરાત છોડી ગયા છે. જેમાંથી મોટા ભાગે ક્યારેય પરત નહીં ફરે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, દેશમાંથી 640 કોરોના વિશેષ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે. તેમાં સૌથી વધુ 262 ટ્રેન એટલે કે 41 ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે. 3.34 લાખ હિજરતી મજૂરોને લઈ ગઈ છે.

13 મે 2020ના રોજ 37 હીજરતી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે. જેમાં ઉત્તરપ્રદેશ 27 ટ્રેન, બિહાર 5 ટ્રેન, ઓરિસ્સા 3 ટ્રેન અને મધ્યપ્રદેશ 1, છત્તીસગઢ 1 ટ્રેન છે. અમદાવાદ 10 ટ્રેન, સુરત 12 ટ્રેન, રાજકોટ 4 ટ્રેન, વડોદરાથી 3 ટ્રેન ગુજરાત બહાર ગઈ છે. 37 ટ્રેનમાં 56800 મજૂરો હિજરત કરી ગયા છે. કુલ 3.90 લાખ લોકો હિજરતી ટ્રેનમાં ગુજરાત છોડી ગયા છે.